Srinagar,તા.૩૦
પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે) માં મુનીરની સેના દ્વારા કરવામાં આવેલ નરસંહાર અટકવાના કોઈ સંકેત દેખાતા નથી. મુનીરના સૈનિકો નિઃશસ્ત્ર લોકો પર ગોળીઓ ચલાવી રહ્યા છે. પીઓકેમાં પાકિસ્તાની સેનાના ગોળીબારમાં માત્ર બે દિવસમાં ૩૦ થી વધુ લોકોના મોત થયા છે. પીઓકેના લોકો ચૂંટણી, મોંઘવારી અને પાકિસ્તાની સેનાના અત્યાચારોનો વિરોધ કરી રહ્યા છે, અને પાકિસ્તાની સેના તેમને દબાવવા અને ડરાવવા માટે ગોળીઓ ચલાવી રહી છે. સમગ્ર પીઓકેમાં ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે જેથી લોકો પોતાનું દુઃખ દુનિયા સાથે શેર કરી ન શકે. હવે, આ ક્રૂરતા અંગે ભારત તરફથી નિવેદનો આવવા લાગ્યા છે. જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ પણ પીઓકેમાં પ્રદર્શનકારીઓ સામે બળપ્રયોગની નિંદા કરી છે.
મહેબૂબા મુફ્તીએ નિયંત્રણ રેખા પાર પ્રદર્શનકારીઓ સામે સેનાની કાર્યવાહીની પણ નિંદા કરી છે. પીડીપી પ્રમુખ મહેબૂબા મુફ્તીએ પીઓકેની પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી અને શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓ સામે બળપ્રયોગની નિંદા કરી. ઠ પર એક પોસ્ટમાં મહેબૂબાએ કહ્યું, “કાશ્મીરમાંથી આવી રહેલી તસવીરો હૃદયદ્રાવક છે અને શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓ સામે બળપ્રયોગનો ક્રૂર ઉપયોગ જોઈને દુઃખ થાય છે.”
મહેબૂબા મુફ્તીએ પાકિસ્તાન સરકારને વધુ માનવીય અભિગમ અપનાવવા અને બળપ્રયોગને બદલે વાતચીતનો વિકલ્પ પસંદ કરવા અપીલ કરી. તેમણે કહ્યું, “રિપોર્ટ્સ દર્શાવે છે કે પ્રદર્શનકારીઓની માંગણીઓ કાયદેસર છે અને તેનું નિરાકરણ લાવવું જોઈએ. કોઈ પણ દેશ પોતાના લોકોને નબળા પાડીને અથવા બંદૂકની અણીએ તેમના અવાજને દબાવીને મજબૂત બનતો નથી.” મહેબૂબાએ સરકારને કાર્યવાહી બંધ કરવા અને શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કરવાનું ટાળવાની અપીલ કરી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે “કાશ્મીરીઓ આદર, ન્યાય અને પોતાને વ્યક્ત કરવાનો અધિકાર ધરાવે છે, જુલમ નહીં.” અગાઉ, નેશનલ કોન્ફરન્સના વડા ફારુક અબ્દુલ્લાએ પણ કેન્દ્ર સરકાર અને આંતરરાષ્ટ્રીય સમુદાયને પીઓકેમાં નાગરિકોની હત્યાઓ અને મુશ્કેલીઓનો સામનો કરવા અપીલ કરી હતી.
આ દરમિયાન, કાશ્મીરના મુખ્ય મૌલવી, મીરવાઇઝ ઉમર ફારુકે, પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે) માં થયેલા ભયંકર કાર્યવાહી અને નાગરિક મૃત્યુ પર ઊંડી ચિંતા અને દુઃખ વ્યક્ત કર્યું. તેમણે ઇસ્લામાબાદને બળપ્રયોગ કરતાં વાતચીત, સંયમ અને રાજકીય સંવેદનશીલતાને પ્રાથમિકતા આપવા અપીલ કરી.

