દેશભરમાં ૧,૦૦,૮૪૩થી વધુ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓ માત્ર એક જ શિક્ષકના ભરોસે ચાલે છે
New Delhi, તા.૩૦
દેશમાં શિક્ષણના સુધારા અને ’સબ પઢેં, સબ બઢેં’ના દાવાઓ વચ્ચે એક ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે. કેન્દ્ર સરકારે રાજ્યસભામાં રજૂ કરેલા અધિકૃત આંકડા મુજબ, દેશભરમાં ૧,૦૦,૮૪૩થી પણ વધુ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓ માત્ર એક જ શિક્ષકના ભરોસે ચાલી રહી છે. રાજ્યસભામાં શિક્ષણ રાજ્ય મંત્રી જયંત ચૌધરીએ આપેલા આ જવાબથી સ્પષ્ટ થાય છે કે, કાગળ પર વિદ્યાર્થી-શિક્ષકનો ગુણોત્તર ભલે યોગ્ય દેખાતો હોય, પણ વાસ્તવમાં શિક્ષકોની ભારે અછત અને અસમાન ગોઠવણી છે.
યુનિફાઇડ ડિસ્ટ્રિક્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશન (ેંડ્ઢૈંજીઈ+) ૨૦૨૫-૨૬ના આંકડા અનુસાર, આ મામલે આંધ્ર પ્રદેશ દેશમાં સૌથી આગળ છે. રાજ્યમાં ૧૬,૩૫૭ શાળાઓ એવી છે જે માત્ર એક જ શિક્ષક દ્વારા ચલાવવામાં આવી રહી છે, જે રાષ્ટ્રીય આંકડાના ૧૬% કરતાં પણ વધુ છે. દેશની કુલ એક શિક્ષકવાળી શાળાઓમાંથી લગભગ ૬૫% શાળાઓ માત્ર ૭ રાજ્યોમાં જ આવેલી છે.
સૌથી વધુ અસરગ્રસ્ત ટોપ ૭ રાજ્યોઃ
આંધ્ર પ્રદેશઃ ૧૬,૩૫૭ શાળાઓ
ઝારખંડઃ ૯,૮૨૭ શાળાઓ
મહારાષ્ટ્રઃ ૯,૨૬૯ શાળાઓ
કર્ણાટકઃ ૮,૦૪૨ શાળાઓ
ઉત્તર પ્રદેશઃ ૭,૮૭૪ શાળાઓ
રાજસ્થાનઃ ૭,૨૦૦ શાળાઓ
પશ્ચિમ બંગાળઃ ૬,૭૬૯ શાળાઓ
અન્ય રાજ્યોની સ્થિતિ અને શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર પ્રદેશો
આ સમસ્યા માત્ર ચોક્કસ રાજ્યો પૂરતી સીમિત નથી, પરંતુ દેશના અન્ય ભાગોમાં પણ ફેલાયેલી છે. તેલંગાણામાં ૪,૭૯૩, તમિલનાડુમાં ૩,૯૫૭, અસમમાં ૩,૧૫૯, હિમાચલ પ્રદેશમાં ૩,૧૨૮, ઉત્તરાખંડમાં ૨,૬૫૫ અને છત્તીસગઢમાં ૨,૪૬૧ શાળાઓ એક શિક્ષકના ભરોસે ચાલે છે. બીજી તરફ કેટલાક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સ્થિતિ પ્રમાણમાં ઘણી સારી છે. કેરળમાં આવી માત્ર ૬૭, નાગાલૅન્ડમાં ૩૫, સિક્કિમમાં ૩૧, લદ્દાખમાં ૨૮, દિલ્હીમાં ૭ અને અંદમાન-નિકોબારમાં માત્ર ૧ શાળા જ એક શિક્ષક પર નિર્ભર છે. શિક્ષણ મંત્રાલયના જણાવ્યા મુજબ, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (દ્ગઈઁ) હેઠળ દેશમાં સરેરાશ વિદ્યાર્થી-શિક્ષક ગુણોત્તર યોગ્ય મર્યાદામાં છે. પ્રાઇમરી લેવલે દર ૧૯ બાળકો પર ૧ શિક્ષક, અપર પ્રાઇમરીમાં દર ૧૭ બાળકો પર ૧, સેકન્ડરીમાં દર ૧૫ બાળકો પર ૧ અને હાયર સેકન્ડરીમાં દર ૨૩ બાળકો પર ૧ શિક્ષકની સરેરાશ છે. પરંતુ આ સરેરાશ આંકડા એ વાસ્તવિકતાને છુપાવે છે કે જમીની સ્તરે એક જ શિક્ષકને અભ્યાસ કરાવવાની સાથે સાથે વહીવટી કામગીરી, મિડ-ડે મીલની દેખરેખ અને અલગ-અલગ ધોરણના બાળકોને એકસાથે ભણાવવાની ફરજ પડે છે. સંસદમાં મંત્રાલયે સ્પષ્ટતા કરી હતી કે શિક્ષકોની ભરતી, સેવાની શરતો અને શાળાઓમાં તેમની ગોઠવણી કરવાની જવાબદારી સંપૂર્ણપણે રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોની હોય છે. શિક્ષકોની નિવૃત્તિ, રાજીનામા, નવા પદોનું સર્જન અને ગ્રામીણ કે આદિવાસી વિસ્તારોમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં થતા સતત ફેરફારને કારણે પદો ખાલી રહેતા હોય છે. કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે રાજ્યોને પારદર્શક પ્રક્રિયા દ્વારા ખાલી જગ્યાઓ ભરવાની સલાહ આપવામાં આવે છે અને ’સમગ્ર શિક્ષા’ યોજના હેઠળ આ માટે નાણાકીય સહાય પણ પૂરી પાડવામાં આવે છે.

