New Delhi,તા.૨૯
કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ માર્ગ અકસ્માતને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે દર વર્ષે લાખો લોકો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામે છે. મોટાભાગના અકસ્માતો રોડ એન્જિનિયરિંગમાં રહેલ ખામીને કારણે થાય છે. ગડકરીએ કહ્યું કે મેં એન્જિનિયરને સલાહ આપતા કહ્યું છે કે હાઈવે પર એવા ડિવાઈડર બનાવવા જોઈએ કે લોકો તે કૂદી ન શકે.
તેમણે કહ્યું કે મેં ખૂબ જ ધ્યાનથી જોયું છે કે મોટાભાગના અકસ્માતો રોડ એન્જિનિયરિંગમાં ખામીને કારણે થાય છે, પરંતુ દરેક રોડ અકસ્માત માટે ડ્રાઇવરને જ જવાબદાર ઠેરવવામાં આવે છે પરંતુ એવું નથી. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે ભારતમાં દર વર્ષે પાંચ લાખ જેટલા માર્ગ અકસ્માત થાય છે. તેમાંથી ૧.૫ લાખ લોકો મૃત્યુ પામે છે અને ત્રણ લાખ લોકો ઈજાગ્રસ્ત થયા છે.
એફઆઇસીસીઆઇના રોડ સેફ્ટી એવોર્ડ્સ અને કોન્ક્લેવ ૨૦૨૪ને સંબોધતા, કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે, ભારતમાં યુદ્ધ, આતંકવાદ અને નક્સલવાદ કરતાં વધુ લોકો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામે છે. આના કારણે દેશને ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી)માં ત્રણ ટકાનું નુકસાન થાય છે. રોડ પ્રોજેક્ટ્સના નબળા વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ્સ (ડીપીઆર)ને કારણે બ્લેક સ્પોટ્સની સંખ્યામાં વધારો થયો છે.