(નયના દવે દ્વારા)
Jamnagar તા.૩
Jamnagar શહેરના લાલપુર બાયપાસ વિસ્તારમાં આવેલી બુદ્ધનગર વસાહતમાં જૂની અદાવતના ખાર રાખી મહિલા અને તેની માતા પર હુમલો કરવામાં આવ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે સિટી ’એ’ ડિવિઝન પોલીસ મથકે બે શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
ફરિયાદ મુજબ, લક્ષ્મીબેન હરીશભાઈ સાગઠીયા (ઉ.વ. ૬૦), રહે. બુદ્ધનગર, લાલપુર બાયપાસ, જામનગરે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેમના ભાણેજ સુજલ અને આરોપી મનસુખભાઈ બગડાના પુત્ર મેહુલ વચ્ચે મિત્રતા હતી. થોડા દિવસો અગાઉ મેહુલ અને ફરિયાદીની દીકરી કંકુબેન વચ્ચે બોલાચાલી થઈ હતી. તેનો ખાર રાખી શનિવારે રાત્રે મનસુખભાઈ દેવશીભાઈ બગડા તથા તેના પુત્ર નીલેષભાઈ મનસુખભાઈ બગડાએ ફરિયાદી અને તેમની દીકરીને ગાળો આપી હતી.
આ દરમિયાન નીલેષભાઈએ પોતાની છત પરથી મોટો પથ્થર ફેંકી ફરિયાદીના માથામાં માર્યો હતો. હુમલામાં લક્ષ્મીબેનને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી અને તેમને અંદાજે ૧૭ ટાંકા આવ્યા હોવાનું તેમજ માથામાં ફ્રેક્ચર થયું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
આ બનાવ અંગે સિટી ’એ’ ડિવિઝન પોલીસે ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ની કલમ ૧૧૮(૨), ૩૫૨, ૫૪ તેમજ જી.પી. એક્ટની કલમ ૧૩૫(૧) હેઠળ બંને આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

