(નયના દવે દ્વારા)
Jamnagar તા.૧૫ઃ
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના વતની અને હાલ મહારાષ્ટ્રના ભિવંડી ખાતે રહેતા નિકેશભાઈ ભગવાનભાઈ કરણીયા મહાજનની માલિકીની જોગવડ ગામની જમીન અંગે નોંધાયેલી લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ ગુજરાત હાઈકોર્ટે રદ કરવાનો હુકમ કર્યો છે.
કેસની હકીકત મુજબ, નોકેશભાઈ ભગવાનભાઈ કરણીયા ની વડીલો પાર્જિત જમીન જોગવડ ગામે ખાતા નં. ૭૨ તથા સર્વે નં. ૮૪ અને ૩૧૧માં આવેલી હતી. આ જમીન જોગવડ ગામના હૈમતસિંહ દેવુભા કેર તથા હિતેન્દ્રસિંહ પ્રભાતસિંહ કેરને વાવેતર માટે આપવામાં આવી હતી. ત્યારબાદ જમીન ખાલી કરવા જણાવ્યા છતાં બંને વ્યક્તિઓએ જમીન ખાલી નહીં કરી તેમાં મગફળી તથા જુવારનું વાવેતર કરી પાકનો લાભ મેળવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.જમીનનો કબજો નહીં છોડતા નિકેશભાઈ કરણીયા દ્વારા મેઘપર-પડાણા પોલીસ સ્ટેશનમાં ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમની કલમ ૪(૩) મુજબ બંને સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.આ ફરિયાદને પડકારતાં બંને આરોપીઓ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં ફોજદારી અરજી કરવામાં આવી હતી. હાઈકોર્ટે કેસની હકીકતો અને રજૂ થયેલી દલીલોને ધ્યાનમાં લઈ બંને આરોપીઓ સામે નોંધાયેલી ફરિયાદ રદ કરવાનો હુકમ કર્યો હતો.આ કેસમાં બંને આરોપીઓ તરફથી વકીલ હિતેશ ડી. સોનગર, મોહિત ડી. પાનસુરીયા, ચોરાગ સોનગર તથા સાહિલ માંડવીયા એ રજૂઆત કરી હતી.

