Rajkot,તા.૩
Rajkot શહેરની ૩૬૪ આંગણવાડીઓમાં મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ સગર્ભા મહિલાઓને આપવામાં આવતો પોષણયુક્ત અનાજનો જથ્થો અનિયમિત રીતે મળતો હોવાનો મુદ્દો સામે આવ્યો છે. તુવેર દાળ, ચણા અને ખાદ્ય તેલનું છેલ્લા ત્રણ મહિનાથી વિતરણ ન થતાં અંદાજે ૨૫ હજારથી વધુ સગર્ભા મહિલાઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે તંત્રનું કહેવું છે કે જરૂરી જથ્થો આવી ગયો છે અને હાલ તેનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે.
તપાસ દરમિયાન રાજકોટના નારાયણનગર વિસ્તારમાં આવેલી એક આંગણવાડીમાં જાણવા મળ્યું કે ત્યાં છેલ્લા છ મહિનાથી ચણા, તુવેર દાળ અને તેલનો જથ્થો પહોંચ્યો જ નથી. આ કેન્દ્રમાં નોંધાયેલી આશરે ૨૫ મહિલાઓને નિયમિત માસિક જથ્થો મળવાને બદલે છ-છ મહિનાના અંતરે સામગ્રી આપવામાં આવતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
રાજકોટ મહાનગરપાલિકાના આઇસીડીએસ વિભાગના પ્રોગ્રામ ઓફિસર શારદાબેનના જણાવ્યા મુજબ શહેરની ૩૬૪ આંગણવાડીઓમાં આશરે ૨૫,૧૦૦ સગર્ભા મહિલાઓ નોંધાયેલી છે. તેમના જણાવ્યા પ્રમાણે ફેબ્રુઆરીથી જૂન ૨૦૨૬ સુધીની તુવેર દાળ અને ચણાનો જથ્થો તેમજ એપ્રિલથી સપ્ટેમ્બર ૨૦૨૬ સુધીનું ખાદ્ય તેલ તાજેતરમાં પ્રાપ્ત થયું છે અને તેનું વિતરણ હાલમાં ચાલી રહ્યું છે.
મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ પ્રથમ વખત ગર્ભવતી બનતી મહિલાઓને ગર્ભાવસ્થા દરમિયાન તેમજ બાળક બે વર્ષનું થાય ત્યાં સુધીના પ્રથમ ૧,૦૦૦ દિવસ માટે દર મહિને ૨ કિલો ચણા, ૧ કિલો તુવેર દાળ અને ૧ લીટર શુદ્ધ ખાદ્ય તેલ વિનામૂલ્યે આપવામાં આવે છે. આ યોજનાનો હેતુ માતા અને બાળકને પૂરતું પોષણ ઉપલબ્ધ કરાવવાનો છે.
બીજી તરફ રાજકોટ શહેર અને જિલ્લામાં આવેલી આશરે ૭૦૦ સસ્તા અનાજની દુકાનોમાં પણ છેલ્લા બે મહિનાથી તુવેર દાળનો પૂરતો જથ્થો ઉપલબ્ધ ન હોવાની માહિતી સામે આવી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ ઓગસ્ટ મહિનામાં જથ્થાનું વિતરણ કરવામાં આવશે, પરંતુ ઘણા વિસ્તારોમાં હજુ સુધી પુરવઠો પહોંચ્યો નથી.

