Maharashtra,તા.૫
મહારાષ્ટ્ર એસોસિએશન ઓફ રેસિડેન્ટ ડોક્ટર્સએ ૫ ઓગસ્ટની મધ્યરાત્રિથી રાજ્યભરમાં અનિશ્ચિત સમય માટે હડતાળની જાહેરાત કરી છે. આ નિર્ણયને કારણે,કેઇએમ, સાયન, નાયર અને જે જે હોસ્પિટલો સહિત મુંબઈની તમામ સરકારી મેડિકલ કોલેજોમાં ઓપીડી સેવાઓ બુધવારે બંધ રહેશે. ઇમરજન્સી સેવાઓ કાર્યરત રહેશે. મહારાષ્ટ્ર મેડિકલ કાઉન્સિલ દ્વારા હોમિયોપેથીના ડોકટરોને છ મહિનાનો સર્ટિફિકેટ કોર્સ ઇન મોર્ડન ફાર્માકોલોજી પૂર્ણ કર્યા પછી નોંધણી અને આધુનિક દવાઓ લખવાની પ્રક્રિયાના વિરોધમાં રેસિડેન્ટ ડોકટરોએ આ હડતાળનું એલાન કર્યું છે.
એમએઆરડી કહે છે કે આ નીતિ અંગે સરકાર સાથે અનેક રાઉન્ડની ચર્ચાઓ થઈ હતી, પરંતુ કોઈ સંતોષકારક ખાતરી મળી નથી. સંગઠન કહે છે કે આ મામલો હાલમાં ન્યાયાલયમાં છે અને સ્પષ્ટ કાનૂની અને નિયમનકારી માળખા વિના આ નીતિનો અમલ દર્દીની સલામતી માટે અયોગ્ય રહેશે.એમએઆરડીએ માંગ કરી છે કે કોર્ટનો અંતિમ નિર્ણય ન આવે ત્યાં સુધી બીએચએમએસ સીસીએમપી નોંધણી પ્રક્રિયા તાત્કાલિક સ્થગિત કરવામાં આવે. સંગઠને રાજ્યભરના રેસિડેન્ટ ડોકટરોને લગતા લાંબા સમયથી ચાલતા મુદ્દાઓના ઉકેલની પણ માંગ કરી હતી.
મહારાષ્ટ્ર એસોસિએશન ઓફ રેસિડેન્ટ ડોક્ટર્સ અનુસાર, દર્દીઓને ગંભીર અસુવિધા ટાળવા માટે હડતાળના પહેલા ૨૪ કલાક, એટલે કે ૫ ઓગસ્ટના રોજ ઇમરજન્સી અને કેઝ્યુઅલ્ટી સેવાઓ ચાલુ રહેશે. જોકે, બહારના દર્દીઓની સેવાઓ, નિયમિત ફરજો, વૈકલ્પિક શસ્ત્રક્રિયાઓ અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ સંપૂર્ણપણે સ્થગિત કરવામાં આવશે. જો સરકાર દ્વારા કોઈ સકારાત્મક ઉકેલ નહીં આવે, તો ૬ ઓગસ્ટથી ઇમરજન્સી સેવાઓ પણ સ્થગિત કરવામાં આવશે, અને બધા રેસિડેન્ટ ડોક્ટરો અનિશ્ચિત સમય માટે હડતાળ પર ઉતરશે.
એમએઆરડી એ સ્પષ્ટતા કરી છે કે તેમનો વિરોધ કોઈપણ તબીબી વ્યવસ્થા અથવા તેના ડોક્ટરો સામે નથી, પરંતુ તેનો હેતુ દર્દીની સલામતી, વૈજ્ઞાનિક ધોરણોનું પાલન અને કાનૂની પ્રક્રિયાઓ સુનિશ્ચિત કરવાનો છે. રેસિડેન્ટ ડોક્ટરો બુધવારે સવારે ૧૦ વાગ્યા પછી મુંબઈની કેઇએમ સાયન, નાયર અને જેજે હોસ્પિટલો સહિત રાજ્યની તમામ સરકારી મેડિકલ કોલેજોમાં એકઠા થશે અને તેમનો વિરોધ શરૂ કરશે.

