આલેખનઃ વિનોદ માછી નિરંકારી
સનાતન ધર્મમાં ભગવાન શ્રી ગણેશજીને ’પ્રથમપૂજ્ય’, ’વિઘ્નહર્તા’, ’બુદ્ધિદાતા’ અને ’મંગલમૂર્તિ’ તરીકે પૂજવામાં આવે છે.કોઈપણ પૂજા,અર્ચના,વ્રત,યજ્ઞ કે શુભ કાર્યનો પ્રારંભ ગણેશજીના સ્મરણ અને પૂજન વિના અપૂર્ણ ગણાય છે.પંચદેવ શિવ,વિષ્ણુ,દુર્ગા,સૂર્ય અને ગણેશ..ની પૂજામાં ગણેશજી મુખ્ય સ્થાન ધરાવે છે.’ગણેશ પુરાણ’, ’મુદ્ગલ પુરાણ’, ’શિવ પુરાણ’ અને ’બ્રહ્મવૈવર્ત પુરાણ’ જેવા ધર્મગ્રંથોમાં ભગવાન શ્રી ગણપતિના અવતાર,દિવ્ય લીલાઓ અને તેમના ગૂઢ સ્વરૂપનું ગંભીર શાસ્ત્રીય વિવેચન કરવામાં આવ્યું છે.ગણેશજી કેવળ આકૃતિ કે દેવતા નથી પરંતુ તેઓ પરબ્રહ્મના સાકાર સ્વરૂપ,સદબુદ્ધિ અને રિદ્ધિ-સિદ્ધિના સાક્ષાત દાતા છે.
ગણેશ પુરાણ અને શિવ પુરાણ અનુસાર ભગવાન શ્રી ગણેશજીનો દિવ્ય પ્રાગટ્ય-અવતાર ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચતુર્થીના દિવસે થયો હતો. શાસ્ત્રોક્ત વિધાન મુજબ ગણેશજીનું પ્રાગટ્ય બપોરે મધ્યાહ્ન કાળમાં થયું હતું તેથી ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિજીની મૂર્તિ સ્થાપના અને વિશેષ ષોડશોપચાર પૂજા બપોરના સમયે કરવી શ્રેષ્ઠ અને ફળદાયી માનવામાં આવે છે. ગણેશજી બુદ્ધિના અધિષ્ઠાતા દેવ છે.જ્યાં સદબુદ્ધિ હોય છે ત્યાં આપોઆપ ’શુભ’ અને ’લાભ’નો વાસ થાય છે.તેમની કૃપાથી સાધકને ધન,ધાન્ય, સમૃદ્ધિ અને સંતતિની પ્રાપ્તિ થાય છે.
શાસ્ત્રોમાં દશ દિવસના ગણેશોત્સવ ચતુર્થીથી અનંત ચૌદસ સુધી અને જળ વિસર્જન પાછળ અત્યંત સુંદર પૌરાણિક અને વૈજ્ઞાનિક રહસ્ય રહેલું છે.
મહાભારત લેખન કથામહર્ષિ વેદવ્યાસજી જ્યારે મહાકાવ્ય ’મહાભારત’ની રચના કરવા માંગતા હતા ત્યારે તેમણે ભગવાન ગણેશજીને લેખક બનવા વિનંતી કરી.ગણેશજીએ એક શરતે સ્વીકાર કર્યો કે વ્યાસજીએ અટક્યા વિના સતત બોલવું પડશે.ગણેશ ચતુર્થીના દિવસથી મહર્ષિ વ્યાસજી બોલતા ગયા અને ગણેશજી અવિરતપણે શબ્દશઃ લખતા રહ્યા.સતત ૧૦ દિવસ સુધી અહોરાત્ર લેખન કાર્ય કરવાને કારણે ગણેશજીના શરીરમાંથી પ્રચંડ તાપમાન ઉત્પન્ન થયું. દશમા દિવસે અનંત ચતુર્દશી/ચૌદસ જ્યારે વ્યાસજીએ આંખો ખોલી ત્યારે ગણેશજીનું શરીર અત્યંત તપી ગયું હતું.તેમના શરીરને શીતળતા આપવા માટે વ્યાસજીએ તેમના શરીર પર સુગંધિત માટીનો લેપ કર્યો.લેપ સુકાઈ જતાં ગણેશજીના શરીરને સંપૂર્ણ શીતળ કરવા વ્યાસજી તેમને સમીપના પવિત્ર જળાશય/તળાવમાં લઈ ગયા અને જળમાં સ્નાન કરાવ્યું.
આ જ પૌરાણિક પ્રસંગના પ્રતીકરૂપે દર વર્ષે ગણેશ ચતુર્થી પર શુદ્ધ માટી કે ગાયના છાણથી બનેલી પાર્થિવ ગણેશ મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે. દશ દિવસ સુધી તેમને પ્રિય ભોગ અર્પણ કરી અહોરાત્ર પૂજા કરવામાં આવે છે.
આપણું શરીર પણ પંચભૂત પૃથ્વી,જળ,તેજ,વાયુ અને આકાશનું બનેલું છે અને અંતે તેમાં જ વિલીન થઈ જાય છે.આ જ સનાતન સત્યનું સ્મરણ કરાવવા અનંત ચૌદસના દિવસે શ્રી ગણપતિજીનું પવિત્ર જળમાં વિસર્જન કરવામાં આવે છે.
શાસ્ત્રો મુજબ ભાદરવા સુદ ચતુર્થીની રાત્રે ચંદ્ર દર્શન કરવું નિષિદ્ધ ગણાય છે.પૌરાણિક કથા અનુસાર એકવાર ગણેશજી ભોજન કરીને મૂષક પર જઈ રહ્યા હતા ત્યારે અચાનક મૂષક ચમકતાં ગણેશજી સમતુલન ગુમાવી બેઠા.આ જોઈને આકાશમાં સ્થિત ચંદ્રદેવે ગર્વથી ગણેશજીના ગજાનન સ્વરૂપનું હાસ્ય ઉડાવ્યું.અહંકારી ચંદ્રને પાઠ ભણાવવા ગણેશજીએ શાપ આપ્યો કે જે કોઈ આ દિવસે તમારા દર્શન કરશે તેના પર અન્યાયી આળ કે ચોરીનું કલંક લાગશે.
દ્વાપર યુગમાં સ્વયં ભગવાન શ્રી કૃષ્ણથી પણ ભૂલથી આ દિવસે ચંદ્ર દર્શન થઈ ગયું હતું જેના કારણે તેમના પર ’શમંતક મણિ’ ચોરી કરવાનો ખોટો આરોપ લાગ્યો હતો,બાદમાં શ્રી કૃષ્ણે જામ્બુવંત સાથે યુદ્ધ કરી મણિ મેળવી પોતાનું નિષ્કલંક સ્વરૂપ સિદ્ધ કર્યું હતું.
જો ભૂલથી ગણેશ ચતુર્થીના દિવસે ચંદ્ર દર્શન થઈ જાય તો દોષમાંથી મુક્તિ મેળવવા શાસ્ત્રોમાં દર્શાવેલા નીચેના સંસ્કૃત શ્લોકનો જાપ કરવો જોઈએ..
સિંહઃ પ્રસેનમવધીત્ સિંહો જામ્બવતા હતઃ, સુકુમારક મા રોદીઃ તવ હ્યેષ સ્યમન્તકઃ
હે સુકુમાર બાળક ! તું રોઈશ નહીં, પ્રસેનને સિંહે માર્યો અને તે સિંહને જામ્બુવંતે માર્યો,હવે આ શમંતક મણિ તારો જ છે. લોકપરંપરામાં આ દિવસે પડોશીના ઘરના છાપરા પર નાનો કાંકરો ફેંકીને જેથી તેઓ ક્રોધ કરે અને કલંક કટાઈ જાય ’હળવો દોષ’ મુક્ત કરવાની પણ પરંપરા છે પરંતુ શાસ્ત્રોક્ત શ્લોકનો પાઠ કરવો એ જ શ્રેષ્ઠ ઉપાય છે.
ઝીણી આંખો ગણપતિજીની અતિ સૂક્ષ્મ આંખો બારીક અવલોકન કરવાની ક્ષમતા દર્શાવે છે.તે માનવીને જીવનમાં સૂક્ષ્મ દ્રષ્ટિ રાખવાની પ્રેરણા આપે છે.આપણી દ્રષ્ટિ સૂક્ષ્મ રાખીને આપણને ખબર પણ ન પડે તે રીતે આપણામાં પ્રવેશતા દોષોને અટકાવવા જોઈએ.
મોટું નાક મોટું નાક દૂર દૂર સુધીની સુગંધ કે દુર્ગંધને ઓળખી શકવાની ક્ષમતા દર્શાવે છે. તત્વવેત્તા અને જ્ઞાની પુરૂષમાં દીર્ઘદ્રષ્ટિપણું-દૂરદર્શીપણું હોવું જોઈએ.પ્રત્યેક વાત કે પરિસ્થિતિની ગંધ તેમને અગાઉથી જ આવી જવી જોઈએ.
મોટા કાન મોટા કાન ’બહુશ્રુત’ હોવાનું દર્શાવે છે એટલે કે ઘણું બધું સાંભળીને જેમણે જ્ઞાનનિધિ વધારી છે છતાં હજુ પણ વધુ સત્સંગ સાંભળવા તૈયાર રહે છે.તેમના કાન સૂપડા જેવા છે.સૂપડાનો ગુણ છે કે સાર-તત્વને ગ્રહણ કરી લેવું અને કચરા-ફોતરાંને ફેંકી દેવા.
બે દાંત એક આખો અને બીજો અડધો ગણપતિને બે દાંત છે.એક અખંડ અને બીજો ખંડિત.આખો દાંત શ્રદ્ધાનું પ્રતીક છે અને તૂટેલો દાંત બુદ્ધિનું પ્રતીક છે.જીવનના સાચા વિકાસ માટે આત્મશ્રદ્ધા અને ઈશ્વરશ્રદ્ધા સંપૂર્ણ અખંડ હોવી જોઈએ.બુદ્ધિ કદાચ ઓછી હશે તો ચાલશે પરંતુ પ્રભુ પરમાત્મા ઉપર પૂર્ણ વિશ્વાસ હોવો આવશ્યક છે.પરમાત્માએ માનવને બે અમૂલ્ય ભેટ આપી છે શ્રદ્ધા અને બુદ્ધિ.આ બંનેનો સમન્વય થાય તો જ જીવનનો સાચો વિકાસ થાય છે.માનવીની બુદ્ધિ સીમિત હોવાથી આખરે તેને અખૂટ શ્રદ્ધાનો સહારો લેવો પડે છે.ખંડિત દાંત એ બુદ્ધિની મર્યાદાનું અને પૂર્ણ દાંત એ અખંડ શ્રદ્ધાનું પ્રતીક છે.
ચાર હાથ અને આયુધો ગણપતિજીને ચાર હાથ છે,જેમાં અનુક્રમે અંકુશ,પાશ,મોદક અને આશીર્વાદ આપતો હાથ અભયમુદ્રા છે.અંકુશ વાસના અને વિકારો પર નિયંત્રણ તથા સંયમ જરૂરી છે તે દર્શાવે છે.પાશ જરૂર પડે ત્યારે ઇન્દ્રિયોને નિયંત્રિત અને શિક્ષિત કરવાનું સામર્થ્ય પણ તત્વવેત્તાઓમાં હોવું જોઈએ તે દર્શાવે છે.મોદક મોદક એટલે જે ’મોદ’ આનંદ કરાવે તે. મહાપુરૂષોનો આહાર અને વિચાર આનંદ તથા સંતોષ આપે તેવો સાત્વિક હોવો જોઈએ.એક હાથમાં મોદક રાખીને તેઓ પોતાના વહાલા ભક્તોને આનંદ આપવા માટે બોલાવી રહ્યા છે.
વિશાળ પેટ વિશાળ પેટ બધી વાતો પચાવવાની અદભૂત ક્ષમતા દર્શાવે છે.સમુદ્રમાં જેમ બધું સમાઈ જાય છે તેમ મહાપુરૂષોના પેટમાં પણ દરેક વાત સમાઈ જાય છે.બીજાની સાંભળેલી વાતો કે રહસ્યો પોતાના વિશાળ પેટમાં ગુપ્ત રાખવાં-એ આનું સૂચન છે.
નાના પગ ગણપતિના પગ નાના છે.નાના પગ ‘‘ઉતાવળા સો બાવરા,ધીરા સો ગંભીર‘‘ એ કહેવતનો સાર સમજાવે છે.ટૂંકા પગ એ ગંભીરતા અને બુદ્ધિમત્તાનું લક્ષણ છે એટલે કે તેઓ પોતે જ ચંચળ થઈને દોડ્યા કરતા નથી પરંતુ પોતાની બુદ્ધિથી બીજાને યોગ્ય દિશામાં દોડાવે છે.
વાહન ઉંદર ગણપતિજીનું વાહન ઉંદર છે.મહાપુરૂષોના સાધનો ભલે નાના હોય પરંતુ સ્વભાવ એટલો નમ્ર હોવો જોઈએ કે જેથી તેઓ સહેલાઈથી સૌના હૃદયમાં કે ઘરમાં સ્થાન પામી શકે.બીજી એક વ્યવહારિક નીતિ પણ ઉંદર પાસેથી શીખવા જેવી છે ઉંદર જ્યારે કરડે છે ત્યારે ફૂંક મારીને કરડે છે જેથી સામેવાળાને તુરંત ખબર પડતી નથી.તત્વવેત્તા પણ કોઈને માર્ગદર્શિત કરે કે કડવી વાત કહે ત્યારે એવી મિઠાસ અને વિવેકથી કહે કે સાંભળનારને ખોટું ન લાગે અને કાર્ય પણ સિદ્ધ થઈ જાય. બીજું ઉંદર એ ચૌર્યવૃત્તિ કે ગ્રાહ્યતાનું પણ પ્રતીક છે-જ્યાંથી પણ જે સારૂં અને શ્રેષ્ઠ મળે તેને ગ્રહણ કરી લેવું અને તેનો સદુપયોગ કરવો.
જમણી બાજુ વળેલી સૂંઢ (સિદ્ધિવિનાયક) આ સ્વરૂપ સૂર્યનાડીનું પ્રતીક છે.આ મૂર્તિની પૂજામાં સખત નિયમો,વિધિ-વિધાન અને પવિત્રતા અનિવાર્ય છે.તે જલ્દી સિદ્ધિ આપે છે પરંતુ શિસ્ત માંગે છે.ડાબી બાજુ વળેલી સૂંઢ (ઋદ્ધિ-સિદ્ધિ દાતા) આ સ્વરૂપ ચંદ્રનાડીનું પ્રતીક છે.આ સ્વરૂપ અત્યંત સૌમ્ય ગણાય છે.ગૃહસ્થો માટે ઘરમાં ડાબી બાજુ વળેલી સૂંઢવાળા ગણેશજીની પૂજા કરવી સર્વોત્તમ અને સમૃદ્ધિદાયક મનાય છે.સીધી સૂંઢ આ સ્વરૂપ સુષુમના નાડીનું દર્શક છે,જે યોગીઓ અને સાધકો માટે ઈષ્ટ ગણાય છે.ગણેશજીની પૂજા અત્યંત સરળ પણ ભાવપૂર્ણ હોવી જોઈએ. પવિત્ર સ્થાન પર બાજોઠ મૂકી તેના પર લાલ વસ્ત્ર પાથરવું.તેના પર માટીના ગણપતિજીની સ્થાપના કરવી.નજીકમાં જળથી ભરેલો કલશ મૂકી તેના પર નારિયેળ અને આંબાના પાન મૂકવા.
દૂર્વા (ધરો) ગણેશજીને ૨૧ દૂર્વા મંજરી અર્પણ કરવી અત્યંત પ્રિય છે.અનાલાસુર નામના રાક્ષસનો દાહ શાંત કરવા ગણેશજીએ દૂર્વા ધારણ કરી હતી.ગણેશજીને લાલ સિંદૂરનું તિલક કરવું. ગણેશજીને મોદક અને બુંદીના લાડુ અતિ પ્રિય છે,જે જ્ઞાનના આનંદનું પ્રતીક છે. તાંબૂલ અને શમીના પાન ચડાવવાથી વિઘ્નો દૂર થાય છે. પૂજા દરમિયાન ‘‘ઓમ્ ગં ગણપતયે નમઃ‘‘ કે ગણેશ ગાયત્રી મંત્રનો જાપ કરવો.નિત્ય સવાર-સાંજ ગણેશ આરતી અને ગણેશ ચાલીસા કે સંકટનાશન સ્તોત્રનો પાઠ કરવો.
ભગવાન શ્રી ગણેશ કેવળ પૂજાના દેવ નથી પરંતુ તે ઉત્તમ જીવનશૈલી અને ઉચ્ચ બુદ્ધિમત્તાના માર્ગદર્શક છે.ગણેશ ચતુર્થીનો પાવન પર્વ આપણને શીખવે છે કે વિઘ્નોથી ડર્યા વગર બુદ્ધિ,ધૈર્ય અને વાણીના સંયમથી દરેક સમસ્યાનો ઉકેલ લાવી શકાય છે.જે ઘરમાં ભક્તિભાવથી ગણપતિ બાપ્પાનું સ્વાગત અને પૂજન થાય છે ત્યાંથી અજ્ઞાન,કલેશ અને દરિદ્રતાનો નાશ થાય છે તથા સુખ,શાંતિ,સદબૂદ્ધિ અને સમૃદ્ધિનો અખંડ વાસ થાય છે.

