જૂની અદાવતમાં ચાર શખ્સોએ માર માર્યાની ફરિયાદ; પોલીસે ગણતરીના કલાકોમાં ચારેયને ઝડપી તપાસ શરૂ કરી
(દિનેશ જોશી દ્વારા)
Kodinar તા.૧૯ઃ
કોડીનાર શહેરમાં બસ સ્ટેન્ડ સામેના વિસ્તારમાં મધરાત્રીના સમયે એક યુવાનને રોકી માર મારવા તેમજ તેના ઉપર ફાયરિંગ કર્યાના આક્ષેપ સાથેની ઘટના સામે આવતા ચકચાર મચી છે. બનાવ અંગે ઇજાગ્રસ્ત યુવાને ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવતા કોડીનાર પોલીસે ગણતરીના કલાકોમાં ચારેય આરોપીઓને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, ગત રાત્રિના આશરે દોઢ વાગ્યાના અરસામાં કોડીનારના સાગર નરસિંહભાઈ શિયાળ મોટરસાયકલ લઈને બસ સ્ટેશન પાસેથી પસાર થઈ રહ્યા હતા. દરમિયાન બસ સ્ટેન્ડ નજીક ઉભેલા કુલદીપભાઈ વાઢેર, બીપીનભાઈ વાઢેર, તુષાર ઉર્ફે ચંદુ ચુડાસમા તથા રિપલ ગોહિલ (રહે. પીપળી)એ સાગરભાઈને રોકી જૂની અદાવતના મામલે માર માર્યો હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.
ફરિયાદ મુજબ, હુમલા દરમિયાન કુલદીપભાઈ વાઢેર પાસે રહેલા હથિયારથી સાગરભાઈ ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનો પણ આક્ષેપ કરાયો છે. તેમજ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હોવાની ફરિયાદમાં વિગતો આપવામાં આવી છે.બનાવમાં ઇજાગ્રસ્ત સાગરભાઈ નરસિંહભાઈ શિયાળને સારવાર માટે કોડીનારની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાં કોડીનાર પોલીસ મથકના પી.આઈ. એન.વી. હરિયાણી સહિતનો પોલીસ સ્ટાફ તાત્કાલિક સરકારી હોસ્પિટલ પહોંચ્યો હતો અને ઇજાગ્રસ્તની ફરિયાદ નોંધી હતી.
ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી ઘટનાસ્થળે પહોંચી ચારેય શખ્સોને ઝડપી લીધા હતા. ફાયરિંગના આક્ષેપને પગલે પોલીસે ઘટનાસ્થળ તથા આસપાસના વિસ્તારોમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસવાની કાર્યવાહી પણ શરૂ કરી છે.હાલ પોલીસે ચારેય આરોપીઓની અટકાયત કરી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક રીતે જૂની અદાવતને લઈને આ બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે. જોકે, ફાયરિંગ થયું હતું કે કેમ તેમજ ઘટનામાં કયા હથિયારનો ઉપયોગ થયો હતો તે સહિતની વિગતો પોલીસ તપાસ બાદ સ્પષ્ટ થશે.

