આઠ વર્ષથી ગ્રંથાલયને તાળાં !
જીજ્ઞેશ પટેલ
Manavadar તા.૫
વ્યક્તિનાં જ્ઞાનમાં પુસ્તકો વધારો કરે છે. અખબારો તથા પુસ્તકોનું વાચન વિચારોને વેગ આપે છે અને બૌદ્ધિક સ્તર ઊંચે લાવે છે. આવાં કારણોસર સરકાર ગામોગામ ગ્રંથાલય શરૂ કરી કરોડો રૂપિયા ખર્ચી ગ્રંથાલયોને પુસ્તકો મોકલે છે.ઘણા વાચકો પણ વર્ષો સુધી વંચાઈ ગયાં પછી પોતાનાં પુસ્તકો ગ્રંથાલયને દાન કરતાં હોય છે. પુસ્તકનું દાન તો સૌથી ઊંચું દાન ગણાય છે.
પરંતુ ભાજપ શાસિત માણાવદર નગરપાલિકા હસ્તકની નવાબી કાળની લાઈબ્રેરી હતી તેને આઠ આઠ વર્ષથી તાળાં મારી દેવાયાં છે અને ગ્રંથાલયના હજારો પુસ્તકો ગોડાઉનમાં ઢગલો કરી વિદ્યાદેવીનું પણ અપમાન કર્યું છે. ગોડાઉનમાં આ મૂલ્યવાન પુસ્તકો સડી રહ્યાં છે.
નવાબી કાળમાં પાંચ હજાર પુસ્તકો કવિ-લેખક વિનોદ જોશી જ્યારે ચીફ ઓફિસર હતા ત્યારે તેમણે ૨૦ હજાર રૂપિયાના પુસ્તકો વસાવ્યાં હતાં. સાહિત્ય અકાદમી ગાંધીનગર તરફથી આઠેક વર્ષ પહેલાં બે કોથળા ભરીને નવાં પુસ્તકો મોકલ્યા હતા.એ બધાં પુસ્તકો પાલિકાએ ઊધઇને ભેટ દઈ દીધા છે. તમામ અદ્ભુત પુસ્તકો કે જે ચારસો-પાંચસો વર્ષ પૂર્વે લખાયાં હતાં. તેમાં કેટલાંક હસ્તપ્રતો પણ હતી. અરબી, ઉર્દૂ, હિન્દી, અંગ્રેજી, મરાઠી, ગુજરાતી તેમજ સંસ્કૃતનાં પુસ્તકોની સંખ્યા મોટી હતી.ગોદામમાં સડી રહેલાં આ જ્ઞાનવર્ધક પુસ્તકોનો લાભ જનતાને મળે તે માટે અહીંના સાહિત્યકાર-સંશોધક ચંદ્રકાન્તભાઈ પટેલે નગરપાલિકાના હેડ સુપ્રિ. પરેશભાઈ જોશી સમક્ષ રજૂઆત કરી સડતાં પુસ્તકોને બચાવી તે પુસ્તકો માણાવદર તાલુકા સરકારી ગ્રંથાલયને સોંપી દેવા અનુરોધ કર્યો છે.ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ પરેશ જોશી પણ સાહિત્યરસિક વ્યક્તિ છે. તેમણે યોગ્ય કરવાની ખાતરી આપી છે.

