New Delhi,તા.06
ભારતમાં અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે હરણફાળ ભરવાની તૈયારી છે અને દેશનું પ્રથમ માનવરહીત અવકાશયાનથી દેશની પ્રથમ સ્પેસ લેબ માટે આયોજનબદ્ધ કામગીરી થઈ રહી છે.
આ અંગે સરકારે અપડેટ આપતા જણાવ્યું કે ભારતનું પ્રથમ માનવ રહિત અવકાશ સાહસ `ગગનયાન’ એ આ વર્ષના અંત પુર્વે જ લોન્ચ કરવાની યોજના છે. જયારે 2035 સુધીમાં ભારતની પોતાની સ્પેસ લેબ પણ તરતી થઈ જશે.
સરકારે લોકસભામાં માહિતી આપતા જણાવ્યું કે મહત્વાકાંક્ષી મીશન પર સમયબદ્ધ કામગીરી થઈ રહી છે અને આ માટે જરૂરી ટેકનોલોજી તથા સીસ્ટમ પર કામ થઈ રહ્યું છે. જેમાં ગગનયાન આ વર્ષના અંત સુધીમાં રવાના કરાશે.
આ અંગેની ટેકનોલોજી તથા સીસ્ટમનું પરિક્ષણ પુરુ થઈ રહ્યું છે. આ માટે હ્યુમન રેટેડ લોન્ચ વ્હીકલના તમામ પ્રોપલ્શન સ્ટેજ અને સ્ટ્રકચર નિર્માણ પુરુ થઈ ગયુ છે તથા એન્વાર્યમેન્ટલ કંટ્રોલ તથા લાઈફ સપોર્ટ સીસ્ટમ પણ તૈયાર છે.
આ યાનને થર્મલ પ્રોટેકશન સીસ્ટમ, ડીસેલરેશન સીસ્ટમ અને ક્રુ મોડયુલ અપ રાઈટીંગ સીસ્ટમ વિ.નું ડેવલપમેન્ટ એન્ડ ટેસ્ટીંગ પણ પુરુ થયુ છે. ઈસરાએ આ માટે ગગનયાનને રવાના કરવાની ફેસીલીટી પણ તૈયાર કરી લીધી છે.
આ પુર્વે ક્રુ એસ્કેપ સીસ્ટમ કટોકટીના સમયે અવકાશયાત્રીને બચાવી શકાય તે સીસ્ટમ પણ ચકાસાઈ ગઈ છે. આ મીશનમાં રોબોટ વ્યોમ મિત્રનું પણ પરિક્ષણ તૈયાર છે. સરકારે 2027 સુધીમાં આ પ્રકારના બે માનવ રહિત મીશન માટે ઈસરોને લીલીઝંડી આપી છે તો 2035 સુધીમાં દેશનું અંતરિક્ષ લેબ પણ લોન્ચ કરવાની તૈયારી છે. ગગનયાન સહિતના અંતરિક્ષ મીશન માટે 2024માં રૂા.20193 કરોડનું બજેટ મંજુર કરાયુ છે.

