Kolkata, તા.11
ભારતીય ક્રિકેટ ટીમનાં પૂર્વ કેપ્ટન અને BCCIના પૂર્વ અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને તેમની પત્ની ડોના ગાંગુલીને જાનથી મારી નાખવાની ધમકીભર્યા પત્રો મળવાની ઘટના સામે આવી છે. આ મામલે કોલકાતા પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
ગાંગુલીને છેલ્લાં કેટલાક મહિનાઓથી આપત્તિજનક ટિપ્પણીઓ વાળા પત્રો મળી રહ્યાં હતાં, જેને શરૂઆતમાં સામાન્ય વ્યક્તિનો ગુસ્સો સમજીને ગંભીરતાથી લેવામાં આવ્યો ન હતો. પરંતુ સોમવારે તેમની ઓફિસમાં આવેલા બે નવા પત્રોમાં દંપતી ઉપરાંત તેમના નજીકના લોકોને પણ નુકસાન પહોંચાડવાની અને હત્યા કરવાની સ્પષ્ટ ધમકી આપવામાં આવતાં સ્થિતિ વધુ નાજુક બની છે.
ધમકીઓનું પ્રમાણ વધતાં સૌરવ ગાંગુલીની ઓફિસ દ્વારા દક્ષિણ કોલકાતાના ઠાકુરપુકુર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પત્ર મોકલનાર તરીકે ‘અરુણ’ નામનાં વ્યક્તિનું નામ સામે આવ્યું છે. પ્રાથમિક કડીઓના આધારે એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ ચિઠ્ઠીઓ ઉત્તર 24 પરગણા જિલ્લાનાં બેલઘરિયા વિસ્તારમાંથી કુરિયર મારફતે મોકલવામાં આવી છે.
ઘટનાની ગંભીરતાને જોતાં કોલકાતા પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી દીધી છે. અધિકારીઓની એક વિશેષ ટીમ કુરિયર એજન્સીના નેટવર્કને ખંખોળી રહી છે જેથી ડિલિવરી ટ્રેલની જાણકારી મેળવી શકાય.
આ સાથે જ શંકાસ્પદ વ્યક્તિ સાથે જોડાયેલા મોબાઈલ નંબર અને સિમ કાર્ડનું લોકેશન પણ ટ્રેસ કરવામાં આવી રહ્યું છે. પોલીસ એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે આ તમામ પત્રો એક જ વ્યક્તિ મોકલી રહ્યો છે કે તેની પાછળ કોઈ ગેંગ સક્રિય છે.
પોલીસ તંત્રનું કહેવું છે કે, આરોપીને વહેલી તકે ટ્રેક કરવા માટે તમામ ટેકનિકલ અને ગ્રાઉન્ડ લેવલના પાસાઓ પર કામ ચાલી રહ્યું છે. બીજી તરફ, આ સમગ્ર ધમકીભર્યા ઘટનાક્રમ અંગે સૌરવ ગાંગુલી કે તેમની પત્ની ડોના ગાંગુલી તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી

