અમરેલી જિલ્લા પંચાયતના ભાજપના સભ્ય વડીલોપાર્જિત જમીન મામલે પરેશાન કરતા હોવાનો દાવો
(મિલાપ રૂપારેલ દ્વારા)Amreli તા.૧૨
સાવરકુંડલા તાલુકાના ખોડિયાણા ગામના ખેડૂત સુરાગભાઈ ધાધલ સહિત ગ્રામજનો દ્વારા આજે જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવી જમીન મામલે ન્યાયની માંગ કરવામાં આવી હતી. ખેડૂત દ્વારા ભાજપના જિલ્લા પંચાયતના સદસ્ય વીરભદ્ર ડાભિયા સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. ખેડૂતના આક્ષેપ મુજબ, તેમના વડીલોપાર્જિત હક્કની જમીન ખાલી કરી દેવા માટે જિલ્લા પંચાયતના સભ્ય દ્વારા વારંવાર દબાણ અને ધમકી આપવામાં આવી રહી છે. તેમજ તેમની સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ અરજી કરવામાં આવી હોવાનો પણ ખેડૂતે આક્ષેપ કર્યો છે.
આ મામલે સાવરકુંડલાના નાયબ કલેક્ટર દ્વારા સુરાગભાઈ ધાધલને રૂબરૂ હાજર રહી આધાર-પુરાવા રજૂ કરવા માટે બોલાવવામાં આવ્યા હતા. જોકે, નાયબ કલેક્ટર સમક્ષ રજૂઆત કરવા પહોંચેલા ખેડૂતના કોઈ આધાર-પુરાવા કે જવાબ લેવામાં આવ્યા ન હોવાનો ખેડૂતનો આક્ષેપ છે. વધુમાં, નાયબ કલેક્ટર દ્વારા લેન્ડ ગ્રેબિંગની કાર્યવાહી દાખલ કરી દેવાની ધમકી આપવામાં આવી હોવાનો પણ ખેડૂતે દાવો કર્યો છે.
ખેડૂત અને ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે, વડીલોપાર્જિત જમીન અંગેના દસ્તાવેજો અને હક્કોની ચકાસણી કરવામાં આવે તથા જો કોઈપણ પ્રકારનું દબાણ કે અન્યાય થયો હોય તો યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે.

