ફાલ્ગુની વસાવડા
આજે શ્રાવણનો પ્રથમ સોમવાર છે, અને શિવાલયોમાં ભક્તોની ભીડ ઉમટશે.
ભક્ત માટે ભગવાન શિવનું સાકાર નિરાકાર કોઈ પણ રૂપ સ્વરૂપ એ જ તેના તમામ દુઃખનું નાશ કરનાર છે. ભગવાનનું દર્શન કરતાં જ, તે ઔષધી જેવું કામ કરે છે, અને ભક્ત પોતાના આધિ, વ્યાધિ, ઉપાધિ, એમ ત્રણેય પ્રકારના દુઃખ ભૂલી જાય છે. એટલે કે ત્રિગુણાતિત થતો જાય છે, અને આખરે મૃત્યુના શાશ્વત સત્યનું સ્મરણ થતાં મોહમાયાના બંધનથી પણ છૂટે છે. ભક્ત ભગવાનને કહે છે કે, હે ભગવાન મને અમરત્વ જોઈતું નથી. પરંતુ હું જ્યાં સુધી જીવું ત્યાં સુધી મારા આ શરીરથી સંસાર સુખ મેળવતો રહું, અને મારા પુત્ર પૌત્રાદી પણ સુખી રહે, એવી કામના કરું છું. શંકરે સ્વર્ગલોક, પૃથ્વીલોક, અને પાતાળ લોકનો માનવી જીવનને માણી શકે, જીવનને સાર્થક કરી શકે,એ માટે સમુદ્રમંથનમાં નીકળેલું હળાહળ વિષ પી ને બહુ મોટી કરુણા કરી છે. શંકર આપણને શીખવે છે કે, વેરનું ઝેર તમે મને આપી દો, આ વિષની સાથે સાથે હું તેને પણ રાખી લઈશ, પણ તમે અંદરો અંદરનાં વહેવારોમાં પ્રેમનો વધારો કરો, પ્રેમનો અનુભવ કરો, અને પ્રેમ માટે સમર્પણ કરતા શીખો, તો જ તમે મારી ભક્તિ કરી કહેવાશે. તો શંકર ચરિત્રમાંથી એવી શીખ ગ્રહણ કરવા, શિવાલયે જઈ દર્શન કરવા જવું , પરંતુ જઈ શકાય નહીં, તો એની પૌરાણિક કથા મુજબ એનું મહાત્મ્ય જાણીને દર્શન કર્યાનો સંતોષ માનીએ. બાર જ્યોતિર્લિંગ છે, એટલે દર સોમવારે ત્રણ જ્યોતિર્લિંગનું મહાત્મ્ય જોઈશું.
સોમનાથ**પ્રથમ જ્યોતિર્લિંગ તરીકે જેને સ્થાન મળ્યું છે એ ગુજરાતનાં ગીર સોમનાથ જીલ્લાનું સોમનાથ, અને અતિ પ્રાચીન એવા આ મંદિરનો ઇતિહાસ પણ ખુબ જ રસપ્રદ છે. મોટો દરિયા કિનારે સ્થિત સૌરાષ્ટ્રના આ સોમનાથનું મંદિર ઉત્તમ સ્થાપત્યનો નમૂનો પણ છે, અને જે વિશાળ પટાંગણ અને ઐતિહાસિક કલાકારી ધરાવે છે.આટલી મોટી ઊંચાઈ અને પહોળાઈ ધરાવતું શિવલિંગ લગભગ બીજે ક્યાંય જોવા મળતું નથી.
સોમનાથનું પહેલું મંદિર 2000 વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવ્યું હોવાનું કહેવાય છે. સોમનાથ ને જૂનઈદ, મહંમદ ગઝની, અને ઔરંગઝેબ એ તોડી પાડ્યું હતું, પણ શિવલિંગનો નાશ કરી શક્યા નહોતાં. ઈતિહાસ મુજબ સોમનાથ મંદિરનો કેટલીય વાર વિનાશ થયો, અને ત્યારબાદ ફરી પાછું ઊભું થયું આ બતાવે છે, કે સત્યનો ક્યારેય પરાજય થતો નથી. સ્કંદ પુરાણ, શિવ પુરાણ, શ્રીમદ ભાગવત અને ઋગ્વેદમાં સોમનાથના મંદિરનો ઉલ્લેખ છે. આ જ્યોતિર્લિંગની પૌરાણિક કથા મુજબ, દક્ષ પ્રજાપતિની 28 પુત્રીઓ સાથે ભગવાન ચંદ્રનાં લગ્ન થયાં, અને તે એમાંથી ફક્ત એક રાણી એટલે કે રોહિણી સાથે જ સમય વ્યતીત કરતા હોવાથી, બાકીની પુત્રીઓ પિતાના ઘરે જઈ ફરિયાદ કરે છે. દક્ષ પ્રજાપતિ ચંદ્રને શ્રાપ આપે છે, કે તારો ક્ષય થશે. રોહિણી અને ચંદ્રદેવ શિવની ખૂબ આકરી તપસ્યા કરીને ભગવાન શંકર પ્રસન્ન થઈને 15 દિવસનો ક્ષય, અને 15 દિવસ ચડતી, એ રીતે ચંદ્રને વરદાન આપે છે. ભગવાન સોમ એટલે કે ચંદ્રમા પ્રસન્ન થઈને સોનાનાં લિંગની સ્થાપના કરે છે, અને અહીંની કપિલા હીરણ અને સરસ્વતીની ત્રિવેણીમા સ્નાન કરી ચંદ્ર પોતાનું રુપ પાછુ મેળવે છે. ત્યારબાદ ત્રેતાયુગમાં રાવણ ચાંદીના શિવલિંગની આ જગ્યાએ સ્થાપના કરે છે, અને ત્યારબાદ ભગવાન શ્રીકૃષ્ણ સ્વયં લાકડાના શિવલિંગની સ્થાપના કરે છે, ત્યારબાદ આ અત્યારનું શિવલિંગ અસ્તિત્વમાં આવ્યું છે, અહલ્યા બાઈએ બનાવ્યું છે.ભારતીય પ્રાચીન ગ્રંથો મુજબ સોમનાથ જ્યોતિર્લિંગની સ્થાપના અને પ્રાણ પ્રતિષ્ઠા ત્રેતા યુગમાં શ્રાવણ મહિનાની શુક્લ પક્ષની ત્રીજના રોજ કરવામાં આવી હતી.
મહાકાલેશ્વર** ભારતનાં નકશાનું હ્રદય એવી ઉજ્જૈન નગરીમાં એટલે કે હાલના મધ્યપ્રદેશની રાજધાનીમાં મહાદેવનાં બાર જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ બિરાજમાન છે, અને તે કાળના કાળ મહાકાલેશ્વરનાં નામે પ્રસિદ્ધ છે. આ નગરી પહેલાંના સમયમાં વિક્રમાદિત્યની રાજધાની અવંતિકા કહેવાતી. અવંતિ, અવંતિકા, ઉજ્જયીની, વિશાલા, નંદની, અમરાવતી, કનકશ્રૃંગા, પદ્માવતી, પ્રતિકલ્પા, ચૂડામણી વગેરે નામ પણ છે. મહાકાલના મંદિર સિવાય, સમ્રાટ વિક્રમાદિત્ય અને મહાકવિ કાલિદાસનું નામ ઉજ્જૈન સાથે જોડાયેલું હોવાથી એ પ્રખ્યાત છે. ભારતમાં એકમાત્ર શિવાલય એવું છે, જેમાં ભગવાન દક્ષિણાભિમુખ બેઠા છે, આથી તેને દક્ષિણામૂર્તિ પણ કહેવામાં આવે છે. વામ માર્ગીય સાધના માટે અઘોરીઓને તાંત્રિકો આવે છે, અને કાલભૈરવનુ મંદિર પણ અહીં આવેલું છે, આ મંદિર ભસ્મ આરતી માટે પ્રખ્યાત છે. વહેલી સવારે એટલે કે લગભગ ચાર વાગે મહાદેવના લિંગને ભસ્મનો શ્રૃંગાર કરવામાં આવે છે, પહેલા તો તાજી ચિતા પરથી ભસ્મ લઈને તેનું લેપન કરવામાં આવતું હતું, પરંતુ હવે કપિલા ગાયના ગોબરમાંથી બનેલા છાણા, શમી,પીપળો, પલાશ, વડ,અમલતાસ અને બોરના લાકડાઓને બાળીને તેની ભસ્મ બનાવવામાં આવે છે, જે બિલકુલ શિવપુરાણમાં ઉલ્લેખ થયાં મુજબ છે. જોકે અઘોરીઓની માંગણી છે કે મહાકાલની ભસ્મ આરતી પહેલાની જેમ જ તાજા મડદાની રાખમાંથી થાય. મહાકાલને સ્મશાનના અધિપતિ માનવામા આવે છે, જેથી શબની ભસ્મ તેમના શ્રૃંગારનુ કામ કરે છે. એવી પણ એક માન્યતા છે, કે મહાકાલને ચઢાવેલ ભસ્મને આરોગવાથી તમામ રોગો માંથી મુક્તિ મળે છે. દૂષણ નામના એક રાક્ષસની પૌરાણિક કથા પણ છે, જે બધાને ખૂબ જ પરેશાન કરી રહ્યો હતો, અને લોકોએ મહાકાલને પ્રાર્થનાં કરી કે હે મહાકાલ અમને આ રાક્ષસના ત્રાસમાંથી મુક્ત કરો, અને લોકોની રક્ષા અર્થે ભગવાન આશુતોષ પ્રગટ થયા, અને દૂષણનો ખાત્મો કરીને પરત જઇ રહ્યાં હતાં, ત્યારે ઉજ્જૈન વાસીઓએ તેમને અહીં જ રોકાઇ જવાં આગ્રહ કર્યો, અને ભગવાન શિવલિંગમાં સ્વયં જ્યોતિ સ્વરૂપે સમાઈ ગયાં, ત્યારથી આ મંદિર મહાકાલેશ્વરના નામે પ્રખ્યાત છે,
ઓમકારેશ્વર**ઓમકારેશ્વર મમલેશ્વર એમ બે શિવલિંગ આ જ્યોતિર્લિંગ મંદિર ધરાવે છે, અને ઓમકારેશ્વર આત્મા છે, તો મમલેશ્વર શરીર છે, અને જ્યાં સુધી મમલેશ્વરનાં દર્શન કરવામાં આવે નહીં, ત્યાં સુધી ઓમકારેશ્વરની યાત્રા અધૂરી ગણાય છે, આ મંદિર સાથે ત્રણ દંત કથા જોડાયેલી છે.
માન્યતા અનુસાર પ્રથમ વિંઘ્ય પર્વત વિષેની છે. એક સમયે નારદ મુનિ ફરતાં ફરતાં વિંધ્ય પર્વતની મુલાકાતે આવ્યા. વિંધ્ય પર્વતે તેનું ભાવભીનું સ્વાગત કર્યું અને મુનિને રોકાઈ જવા અનુરોધ કર્યો. પોતાની પ્રશંસા કરતાં તેમણે કહ્યું કે આમ તો મારે કોઈ વાતની કમી નથી, નારદ મુનિ વિંધ્યનું અભિમાન પામી ગયાં, અને તેમણે વિંધ્યને મેરુ પર્વતની મહાનતા સંભળાવી,અને કહ્યું કે તેનું શિખર સ્વર્ગ જેટલું ઉંચુ છે, અને આમ કહી પોતે ચાલ્યા ગયા. તેથી વિંધ્યને મેરુની ઈર્ષ્યા થઈ, અને તેણે મેરુ કરતા મોટા બનવાનો નિર્ણય કર્યો. મેરુ કરતાં મોટા બનવા વિંધ્યએ શિવજીની ઉપાસના શરૂ કરી. વિંધ્યે શિવના પાર્થિવ લિંગ અને ઓમકારેશ્વરની લગાતાર છ મહિના સુધી પૂજા કરી,આથી શિવે પ્રસન્ન થઈ તેને ઈચ્છિત વરદાન આપ્યું. આટલો જૂનો ઈતિહાસ ધરાવતું મંદિર હોવાથી એ પુરાણ પ્રસિદ્ધ મંદિર તરીકે પણ ઓળખાય છે. સર્વ દેવો અને ઋષિ મુનિઓની વિનંતિથી શિવે લિંગના બે ભાગ કર્યાં. એક ભાગ ઓમકારેશ્વર કહેવાયો, અને બીજો ભાગ મમલેશ્વર કે અમરેશ્વર કહેવાયો. ભગવાન શિવે વિંધ્યને વધવાનું વરદાન તો આપ્યું, પણ એ શરત રાખી કે તે ક્યારેય શિવ ભક્તોના માર્ગમાં આડો નહિં આવે. વિંધ્યે વધવાનું ચાલું કર્યું પણ પોતાનું વચન પાળ્યું નહીં. તેણે સૂર્ય અને ચંદ્રનો માર્ગ રોક્યો. ઋષિમુનિઓ મદદ માટે અગસ્ત્ય ઋષિ પાસે ગયાં. અગસ્ત્ય મુનિ તેમના પત્ની સાથે વિંધ્ય પાસે આવ્યાં અને તેને મનાવી લીધો કે, જ્યાં સુધી તેઓ અને તેમના પત્ની પાછાં નહીં ફરે ત્યાં સુધી તે વધશે નહીં. તેઓ ફરી પાછાં ફર્યાં જ નહીં, અને વિંધ્ય વધ્યો નહીં.
બીજી એક દંતકથા મુજબ રાજા મંધાતનાં સમયની છે. ભગવાન રામનાં પૂર્વજ ઈક્ષ્વાકુ કુળનાં રાજા મંધાતએ ભગવાન શિવની ઉપાસના કરીને, તેમને અહીં જ્યોતિર્લિઁગ સ્વરૂપે પ્રગટ થવા મનાવ્યાં હતાં. અમુક વિદ્વાનો માને છે કે મંધાત રાજાના પુત્રો અંબરિશ અને મુકુંદ દ્વારા તીવ્ર તપસ્યા કરીને શિવને પ્રસન્ન કરાયાં હતાં. આને કારણે તે પર્વતનુઁ નામ મકંધાત પર્વત પડ્યું છે, અને શંકર ભગવાન બંનેને પ્રસન્ન થયા હોવાથી શિવલિંગ બે ભાગમાં વહેંચાઈ ગયેલું છે.
ત્રીજી દંતકથા મુજબ એક સમયે દેવો અને દાનવો વચ્ચે ભીષણ યુદ્ધ થયું હતું, જેમાં દાનવોનો વિજય થયો, અને દેવોએ ભગવાન શિવની તપશ્ચર્યા કરી, અને ફળ સ્વરૂપે ભગવાન શિવ ઓમકારેશ્વર સ્વરૂપે પ્રગટ થયા અને દાનવોને પરાસ્ત કર્યાં હતાં. તો ભગવાન શિવ સામેવાળાની પાત્રતા જોયાં વગર એમની પર કૃપા કરે છે, અને એટલે શ્રાવણી સત્સંગની ભક્તિ થકી આપણે પણ એની કૃપા પામીએ. બોલો ઓમ નમઃ શિવાય.
લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)

