શેઠવડાળા, ઉમાપાર્ક અને ગોલણીયા ગામે જાહેરમાં તીનપત્તીના જુગાર પર તવાઈ; રૂ.૫૩,૪૮૦ રોકડા સહિતનો મુદ્દામાલ કબજે
(નયના દવે દ્વારા)
Jamnagar તા.૨૪
જામનગર જિલ્લાના જામજોધપુર અને કાલાવડ પંથકમાં પોલીસે જુગારના અડ્ડાઓ સામે કાર્યવાહી કરી ત્રણ સ્થળે દરોડા પાડી જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા કુલ ૧૫ શખ્સોને ઝડપી લીધા હતા. શેઠવડાળા, જામજોધપુરની ઉમાપાર્ક સોસાયટી અને કાલાવડના ગોલણીયા ગામની સીમમાં હાથ ધરાયેલી આ કાર્યવાહીમાં પોલીસે કુલ રૂ.૫૩,૪૮૦ રોકડા તથા ગંજીપત્તાના પાના કબજે કરી જુગારધારા હેઠળ ગુના નોંધ્યા છે.શેઠવડાળા ગામે બસ સ્ટેન્ડ નજીકથી ભુપત આંબરડી તરફ જતા રસ્તે સોલાર પાસે બાવળના ઝાડ નીચે તીનપત્તીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. અહીંથી કિશનભાઈ પ્રકાશભાઈ આચાર્ય (ઉ.વ.૩૦), જયેશભાઈ મગનભાઈ ચાવડા (ઉ.વ.૩૦), કિશનભાઈ જીતેન્દ્રભાઈ જોષી (ઉ.વ.૩૩), રણજીતભાઈ ઉર્ફે રાણાભાઈ કરશનભાઈ કેશવાલા (ઉ.વ.૩૧), હરદાસભાઈ બોદાભાઈ હાડગરડા (ઉ.વ.૩૪) અને થવોઈ ગામના નરેશભાઈ પોલાભાઈ કનારા (ઉ.વ.૩૪) મળી છ શખ્સો ઝડપાયા હતા. પોલીસે તેમની અંગઝડતીમાંથી રૂ.૧૦,૦૦૦ અને જુગારના સ્થળેથી રૂ.૩,૮૫૦ મળી કુલ રૂ.૧૩,૮૫૦ રોકડા તથા ગંજીપત્તાના પાના કબજે કર્યા હતા.
બીજી તરફ જામજોધપુર પોલીસે ઉમાપાર્ક સોસાયટી, રીંગ રોડ નજીક જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા વિરમભાઈ સયદેભાઈ શાખસ (ઉ.વ.૪૫), ભારમલભાઈ માલદેભાઈ સંધીયા (ઉ.વ.૪૦) અને નવઘણભાઈ પેથાભાઈ આસાણી (ઉ.વ.૨૫)ને ઝડપી લીધા હતા. ત્રણેય પાસેથી અનુક્રમે રૂ.૮,૬૫૦, રૂ.૧,૦૫૦ અને રૂ.૩,૮૦૦ તેમજ જુગારના સ્થળેથી રૂ.૨૪૦ મળી કુલ રૂ.૧૭,૭૪૦ રોકડા અને ગંજીપત્તા કબજે કરાયા હતા.
આ ઉપરાંત કાલાવડ ગ્રામ્ય પોલીસે ગોલણીયા ગામની સીમમાં દુધાળા ડેમ પાસે સામંતભાઈ આલાભાઈ કરમુરની વાડી સામે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા છ શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે હંસરાજભાઈ મુળજીભાઈ કપુરીયા (ઉ.વ.૬૯), જીતેષભાઈ વલ્લભભાઈ કપુરીયા (ઉ.વ.૪૮), સામંતભાઈ આલાભાઈ કરમુર (ઉ.વ.૩૮), પિયુષગીરી દિનેશગીરી ગોસ્વામી (ઉ.વ.૨૮), લાલજીભાઈ આંબાભાઈ કપુરીયા (ઉ.વ.૭૦) અને દિનેશગીરી રતીગીરી ગોસ્વામી (ઉ.વ.૫૮)ને ઝડપી લીધા હતા. તેમની પાસેથી રૂ.૨૧,૨૭૦ અને જુગારના પટમાંથી રૂ.૬૨૦ મળી કુલ રૂ.૨૧,૮૯૦ રોકડા તથા ગંજીપત્તાના ૫૨ પાના કબજે કરાયા હતા.ત્રણે સ્થળે પોલીસે કુલ રૂ.૫૩,૪૮૦ રોકડા કબજે કર્યા છે. શેઠવડાળા, જામજોધપુર અને કાલાવડ ગ્રામ્ય પોલીસ દ્વારા પકડાયેલા તમામ ૧૫ શખ્સો સામે જુગારધારા કલમ-૧૨ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ગોલણીયા ગામના છ શખ્સોને બી.એન.એસ.એસ.ની કલમ ૩૫(૩) મુજબ નોટિસ આપી મુક્ત કરવામાં આવ્યા હતા.

