Surat,તા.૨૫
સુરત જિલ્લાના માંડવી તાલુકાના ગોદાવાડી ગામમાં લૂંટ સાથે હત્યાની ગંભીર ઘટના સામે આવી છે. વાસુદેવ પટેલ અને તેમની પત્ની બે દિવસ માટે ધાર્મિક યાત્રાએ ગયા હતા, જ્યારે તેમની દીકરી નિધિકુમારી ઘરમાં એકલી હતી.
આ દરમિયાન ૨૩ ઓગસ્ટની રાત્રે અજાણ્યા શખ્સો ઘરમાં ઘૂસ્યા હતા. આરોપીઓએ યુવતીના હાથ બાંધી તેના માથા પર પ્લાસ્ટિકની થેલી પહેરાવી હોવાનું સામે આવ્યું છે. ત્યારબાદ ચાર્જિંગ કેબલના વાયરથી ગળું દબાવી તેની હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે. હત્યા બાદ આરોપીઓ યુવતીનો મૃતદેહ ધાબા પર સંતાડી ફરાર થઈ ગયા હતા.
ઘરમાં લૂંટના ઇરાદે ઘૂસેલા શખ્સોએ યુવતીને કાબૂમાં લેવા માટે તેના હાથ બાંધી દીધા હતા. ત્યારબાદ ગળું દબાવી હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ઘટનાએ સમગ્ર ગોદાવાડી ગામમાં ચકચાર મચાવી દીધી છે. આરોપીઓ ઘરમાંથી સોનાની ચેઇન, વીંટી, બ્રેસલેટ, રૂપિયા ૩૫ હજાર રોકડા, ચાંદીના સાકળા તેમજ યુવતીનો મોબાઇલ ફોન સહિત કુલ રૂપિયા. ૨.૫૨ લાખની મિલકત લૂંટી ગયા હોવાનું જણાવાયું છે.
યુવતીના માતા-પિતા ધાર્મિક યાત્રા પૂર્ણ કરીને રાત્રે આશરે સાડા ત્રણ વાગ્યે ઘરે પરત આવ્યા હતા. ઘરે પહોંચ્યા બાદ દીકરી જોવા ન મળતાં તેમણે શોધખોળ શરૂ કરી હતી. આ દરમિયાન નિધિકુમારી મૃત હાલતમાં મળી આવી હતી. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અને આરોપીઓ સુધી પહોંચવા માટે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

