Ahmedabad,તા.૩૧
અમદાવાદ-ગાંધીનગર વચ્ચે રોજિંદી અવરજવર અને બંને શહેરો વચ્ચેની સતત કનેક્ટિવિટીના કારણે ગાંધીનગરમાં સ્વાઈન ફ્લૂના વધતા કેસોએ અમદાવાદના આરોગ્યતંત્રની પણ ચિંતા વધારી છે. ગાંધીનગરમાં અગાઉ સગર્ભા મહિલા અને એક યુવક બાદ હવે લવારપુરના ૭૭ વર્ષીય વૃદ્ધનો સ્વાઈન ફ્લૂ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એક પછી એક ત્રણ કેસ સામે આવતાં ગાંધીનગરમાં સર્વેલન્સ વધારવામાં આવ્યું છે ત્યારે અમદાવાદમાં પણ શરદી, ઉધરસ અને તાવ જેવાં લક્ષણો ધરાવતા દર્દીઓને તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક સાધવા જણાવાયું છે.
ગાંધીનગરમાં હવે ત્રીજો કેસ સામે આવતાં આરોગ્ય વિભાગે અમદાવાદમાં શરદી ખાંસી જેવાં લક્ષણો ધરાવતા દર્દીઓ પર સર્વેલન્સ વધુ સઘન કર્યું છે. લવારપુરના ૭૭ વર્ષીય વૃદ્ધ છેલ્લા પાંચ દિવસથી શરદી, ઉધરસ અને તીવ્ર તાવથી પીડાતા હતા. સારવાર છતાં તબિયતમાં સુધારો ન થતાં ર૯ ઓગસ્ટે તેમનાં સેમ્પલ લેવામાં આવ્યાં હતાં. સરકારી લેબોરેટરીમાં થયેલા ટેસ્ટમાં સ્વાઈન ફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ઉંંમર અને તબિયતને ધ્યાનમાં રાખીને તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે રોજ હજારો લોકો નોકરી, શિક્ષણ, વેપાર અને સારવાર માટે અવરજવર કરે છે. તેથી પાડોશી શહેરમાં શ્વસનતંત્રના ચેપના કેસ વધતા હોય ત્યારે અમદાવાદમાં પણ લક્ષણો ધરાવતા દર્દીઓનું સમયસર ટેસ્ટિંગ અને ટ્રેકિંગ મહત્ત્વનું છે. ખાસ કરીને સગર્ભા મહિલાઓ, વૃદ્ધો અને અન્ય જોખમી જૂથોમાં ફ્લૂ જેવાં લક્ષણોને સામાન્ય શરદી માનીને અવગણવા નહીં. આરોગ્ય નિષ્ણાતોના મતે તાવ, સતત ઉધરસ, ગળામાં દુખાવો અથવા શ્વાસ લેવામાં તકલીફ જેવાં લક્ષણો જણાય તો જાતે દવા લેવાના બદલે તબીબી સલાહ લેવી અને જરૂરી હોય તો ટેસ્ટ કરાવવો.

