New Delhi,તા.01
મહેન્દ્ર સિંહ ધોની આઇપીએલ 2027 માં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) માટે ખેલાડી તરીકે રમશે કે કેમ તે અંગે ચિત્ર હજુ સ્પષ્ટ થયું નથી. CSK ના CEO કાશી વિશ્વનાથને ધોનીના ભવિષ્યને લઈને દરવાજા ખુલ્લા રાખ્યા છે અને જણાવ્યું છે કે ધોનીએ રમવાની ના પાડી નથી. જોકે સૂત્રોના જણાવ્યા અનુસાર 45 વર્ષીય ધોનીનું આગામી સીઝનમાં ખેલાડી તરીકે મેદાન પર ઉતરવું મુશ્કેલ દેખાઈ રહ્યું છે. જો ધોની ખેલાડી તરીકે નહીં રમે તો તે ફ્રેન્ચાઇઝી સાથે મેન્ટોર (સલાહકાર) ની નવી ભૂમિકામાં જોડાઈ શકે છે.ધોનીના ભવિષ્યને લઈને સૌથી મોટી ચિંતા તેમની ફિટનેસ અને ખાસ કરીને ઘૂંટણની સમસ્યા છે. વધતી ઉંમર સાથે આખી સીઝન માટે આકરી તૈયારી કરવી આસાન નથી. આઇપીએલ 2026 માં પણ ધોની એક પણ મેચ રમી શક્યે નહોતો, પરંતુ સમગ્ર સીઝન દરમિયાન તે ડગઆઉટમાંથી ખેલાડીઓનું માર્ગદર્શન કરતો જોવા મળ્યો હતો. આંતરરાષ્ટ્રીય અને ઘરેલુ ક્રિકેટમાંથી નિવૃત્તિ બાદ તેણે આઇપીએલ પહેલાં પૂરતી મેચ પ્રેક્ટિસ મળતી નથી, જે તેમના માટે મુખ્ય પડકાર છેCSK માટે માત્ર ધોની જ નહીં પરંતુ નવા હેડ કોચની પસંદગી પણ મોટો પ્રશ્ન છે. સ્ટીફન ફ્લેમિંગ અને CSK એ જુલાઈ 2026 માં પરસ્પર સંમતિથી અલગ થવાનો નિર્ણય લીધો હતો, જેની સાથે જ તેનો 18 વર્ષ જૂનો સંબંધ પૂરો થયો હતો. ફ્લેમિંગ 2009 થી કોચ હતો અને તેની આગેવાનીમાં ટીમે 5 ટ્રોફી જીતી હતી. હવે ઇંગ્લેન્ડની રેડ-બોલ ટીમના કોચ બનેલા ફ્લેમિંગના સ્થાને ભારતના પૂર્વ ક્રિકેટર હેમંગ બદનાનીનું નામ નવા હેડ કોચ તરીકે રેસમાં આગળ ચાલી રહ્યું છે.છેલ્લા કેટલાક દિવસોથી અહેવાલો વહેતા થયા હતા કે ધોનીએ CSK માં 25% હિસ્સેદારી માગી હતી. જોકે CEO કાશી વિશ્વનાથને આ તમામ અહેવાલોને તદ્દન પાયાવિહોણા ગણાવીને ફગાવી દીધા છે. તેણે સ્પષ્ટ કર્યું છે કે ધોની અને ફ્રેન્ચાઇઝી વચ્ચે હિસ્સેદારીને લઈને કોઈ વિવાદ નથી. હવે તમામ ફેન્સની નજર ધોનીના આખરી નિર્ણય પર ટકેલી છે કે તેઓ મેદાન પર રમતા દેખાશે કે ડગઆઉટમાંથી નવી ભૂમિકા ભજવશે.

