New Delhi,તા.02
સપ્ટેમ્બર મહિનાની શરૂઆત સાથે જ દેશના અનેક રાજ્યોમાં આકાશી આફતે હાહાકાર મચાવ્યો છે. ઉત્તરાખંડ, આસામ, ઉત્તર પ્રદેશ, ઝારખંડ અને હિમાચલ પ્રદેશ સહિતના રાજ્યોમાં મૂશળધાર વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. પૂર, ભૂસ્ખલન અને મકાનો ધરાશાયી થવાની ઘટનાઓમાં ઉત્તરાખંડમાં 7 અને આસામમાં 4 લોકો સહિત અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે
ઉત્તરાખંડના અલ્મોડા, બાગેશ્વર, ટિહરી, નૈનીતાલ અને પૌડી જેવા જિલ્લાઓમાં વરસાદે ભારે તારાજી સર્જી છે. અલ્મોડાના ઉદયુડા ગામમાં મકાન પર કાટમાળ પડતાં બે મહિલાઓ અને એક બાળકનું મોત થયું છે, જ્યારે અન્ય એક ઘટનામાં નેપાળના બે મજૂરોના કાટમાળ નીચે દટાઈ જવાથી મોત થયા છે. પૌડીના કોટદ્વારમાં કોલ્હૂ નદીના તેજ વહાવમાં તણાઈ જવાથી ૨૬ વર્ષીય મા અને તેની દોઢ વર્ષની પુત્રીનું કરૂણ મોત નીપજ્યું છે.
રાજ્યમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે 3 નેશનલ હાઇવે સહિત 172 થી વધુ રસ્તાઓ બંધ થઈ ગયા છે. બાગેશ્વરમાં NH-109 બંધ થતાં એમ્બ્યુલન્સ સહિત સેંકડો વાહનો કલાકો સુધી અટવાયા હતા. સતત વરસાદને પગલે સોનપ્રયાગ ખાતે કેદારનાથ યાત્રા અટકાવી દેવામાં આવી છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખી નૈનીતાલ, ચંપાવત, ઉધમ સિંહ નગર અને પિથોરાગઢમાં શાળાઓ અને આંગણવાડીઓ બંધ રાખવાના આદેશ અપાયા છે.આસામના ગુવાહાટીમાં ભૂસ્ખલનની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. મથઘરિયા વિસ્તારમાં ભૂસ્ખલન થતાં એક જ પરિવારના દંપતી અને તેમની 11 વર્ષની બાળકી સહિત ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે અન્ય એક ઘટનામાં 65 વર્ષીય વૃદ્ધનું મોત થતાં આસામમાં કુલ મૃત્યુઆંક 4 પર પહોંચ્યો છે.
ઝારખંડમાં હવામાન વિભાગે ભારે વરસાદને પગલે 10 જિલ્લાઓમાં ‘ફ્લેશ ફ્લડ’ (અચાનક પૂર)ની ચેતવણી જારી કરી છે. ગઢવા, પલામૂ, સિમડેગા અને પશ્ચિમ સિંહભૂમ માટે રેડ એલર્ટ જ્યારે લાતેહાર, લોહરદગા અને ગુમલા જેવા જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. પૂર્વ સિંહભૂમના ડુમરિયામાં સૌથી વધુ 217 મીમી વરસાદ નોંધાયો છે. જમશેદપુરમાં ખરકઈ અને સ્વર્ણરેખા નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. સ્થિતિને જોતાં ગઢવામાં 2 અને 3 સપ્ટેમ્બરના રોજ તમામ શાળાઓ બંધ રાખવામાં આવી છે.

