Gandhinagar તા.2
સોના-ચાંદીના ભાવો સતત મંદીમાં ધકેલાતા રહ્યા હોય તેમ આજે વધુ ગાબડા હતા. સોનુ 1900 રૂપિયા તૂટ્યું હતું. ચાંદીમાં 23007 ગાબડુ હતું. ચોંકાવનારી બાબત એ હતી કે રોકડના ભાવ 10 ગ્રામે 6000થી વધુ નીચા હતા એટલે દાણચોરી-બારોબારનો જંગી માલ ઠલવાતો હોવાની અટકળો છે.
રાજકોટમાં આજે હાજર સોનાનો ભાવ 1900 તુટીને 156200 હતો. વિશ્વબજારમાં 4326 ડોલર હતું. જ્યારે કોમોડીટી વાયદામાં સોનુ 1025 રૂપિયા ગગડીને 150700 હતું. આ જ રીતે હાજર ચાંદી 2300ના ઘટાડાથી 237200 હતી. વાયદામાં 1895ના ઘટાડાથી 227655 હતી. જ્યારે વિશ્વ બજારમાં ભાવ 64.17 ડોલર સાંપડ્યો હતો.
વેપારીઓના કહેવા પ્રમાણે સોના-ચાંદીની મંદી પાછળ અનેક પરિબળો ભાગ ભજવી રહ્યા છે. અમેરિકાએ મોંઘવારી તથા ડોલરની મજબૂતી મામલે આક્રમક વલણ અપનાવવાનું અને વ્યાજદર વધારાના સંકેતથી ઇફેક્ટ હતી. આ સિવાય ભારત સરકાર સોના-ચાંદીની આયાત જકાત ફરી ઘટાડશે તેવી અટકળોથી પણ માનસ નબળું હતું.
ઝવેરીઓએ એમ કહ્યું કે માર્કેટમાં બીલ સાથેના તથા બીલ વિનાના (રોકડ વ્યવહાર)ના સોનાના ભાવનો તફાવત સૂચક છે. દાણચોરી-ગેરકાયદે સોનુ મોટા પ્રમાણમાં ઠલવાતું હોવાનું માની શકાય છે. હાજર બીલ સાથેનો સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 156200 હતો તે રોકડામાં 149500 બોલાતો હતો. ચાંદીમાં પણ સમાન સ્થિતિ હતી તેમાં 7000 જેવો ભાવફેર હતો.
સોના-ચાંદીમાં એકધારી મંદી વચ્ચે છેલ્લા એક સપ્તાહમાં સોનામાં 10500 નીકળી ગયા છે. જ્યારે ચાંદીમાં અંદાજીત 13000નો ભાવ ઘટાડો થયો હતો. વૈશ્વિક ઘટનાક્રમો માર્કેટમાં ઇફેક્ટ સર્જતા રહે તેવી શક્યતા છે.

