Bhavnagar,તા.૮
ભાવનગર શહેરમાં ગણેશ ચતુર્થીના તહેવાર દરમિયાન મૂર્તિ વિસર્જનને લઈને મહાનગરપાલિકાએ મહત્વનો નિર્ણય લીધો છે. શહેરના વિવિધ તળાવો તથા અન્ય વોટર બોડીમાં વિસર્જન દરમિયાન અકસ્માતની શક્યતા ન રહે અને નાગરિકોની સુરક્ષા જળવાઈ રહે તે હેતુથી મૂર્તિ વિસર્જન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
ભાવનગરમહાનગરપાલિકા કમિશનર દ્વારા જાહેર કરાયેલા જાહેરનામા મુજબ, ૧૪ સપ્ટેમ્બરથી ૨૫ સપ્ટેમ્બર ૨૦૨૬ દરમિયાન શહેરના કુલ ૧૭ તળાવો અને વોટર બોડીમાં કોઈપણ પ્રકારની મૂર્તિનું વિસર્જન કરી શકાશે નહીં. તહેવાર દરમિયાન મોટી સંખ્યામાં લોકો એકત્ર થતા હોવાથી સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
મૂર્તિ વિસર્જન પર પ્રતિબંધ હેઠળ ગૌરીશંકર તળાવ એટલે કે બોરતળાવ ખોડિયાર તળાવ-રાજપરા, હજુરિયા તળાવ, પૂર્ણા તળાવ, અકવાડા મેઈન તળાવ, જત તળાવ-૧ અને જત તળાવ-૨, માલેશ્રી રિવર ચેકડેમ, નારી તળાવ, નારી-કરદેજ રોડ તળાવ, તરસમિયા તળાવ, જાળિયું તળાવ, ટબુડી તળાવ, ઝાંઝરિયા તળાવ, રુવાપરી તળાવ, ફૂલઝરિયા તળાવ અને ગંગાજળિયા તળાવનો સમાવેશ થાય છે.
મહાનગરપાલિકાના નિર્ણય પાછળ પાણીના પ્રદૂષણને પણ મહત્વનું કારણ માનવામાં આવી રહ્યું છે. તાજેતરમાં બોરતળાવમાં દશામાની મોટી સંખ્યામાં મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તળાવની સફાઈ માટે મહાનગરપાલિકાએ વિશેષ કામગીરી હાથ ધરવી પડી હતી.
તળાવોમાં પાણીની ગુણવત્તા જળવાઈ રહે અને વિસર્જન બાદ પ્રદૂષણની સમસ્યા ઊભી ન થાય તે માટે આ વખતે શહેરના તમામ વોટર બોડીમાં મૂર્તિ વિસર્જન પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. મહાનગરપાલિકાએ નાગરિકોને જાહેરનામાનું પાલન કરવા અને તહેવાર દરમિયાન સલામતી જાળવવા અપીલ કરી છે.

