New Delhi,તા,11
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હાલ કથિત એક્સાઇઝ પોલિસી કેસમાં જેલમાં બંધ છે. આ દરમિયાન કોર્ટ તરફથી તેમને ફરી એકવાર ઝટકો લાગ્યો છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે બુધવારે (11 સપ્ટેમ્બર) કેજરીવાલની ન્યાયિક કસ્ટડી 25 સપ્ટેમ્બર સુધી વધારી દીધી છે. કોર્ટની કાર્યવાહી દરમિયાન કેજરીવાલ તિહાર જેલથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા. સીબીઆઇએ કેજરીવાલ પર આરોપ મૂક્યો છે કે આમ આદમી પાર્ટીને કથિત કૌભાંડમાં ગેરકાયદેસર નાણાંથી લાભ થયો હતો.
21 માર્ચે ઇડીએ કરી હતી ધરપકડ
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનરની સીબીઆઈ દ્વારા 26 જૂને ધરપકડ કરવામાં આવી હતી. આ પહેલા 21 માર્ચે મની લોન્ડરિંગ કેસમાં ઇડી દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી. મની લોન્ડરિંગ કેસમાં કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી વચગાળાના જામીન મળી ગયા છે પરંતુ સીબીઆઈના કેસમાં તેમની ધરપકડના કારણે તેઓ હજુ સુધી જેલમાંથી બહાર આવી શક્યા નથી. અગાઉ 27 ઓગસ્ટે અને ત્યાર પછી 3 સપ્ટેમ્બરે કેજરીવાલની કસ્ટડી 11 સ્પટેમ્બર સુધી વધારવામાં આવી હતી, હવે ફરી એક વાર તેમની કસ્ટડી વધારવામાં આવતા 25 સપ્ટેમ્બર સુધી તેઓ જેલમાં રહેશે.
દુર્ગેશ પાઠકને મળ્યા જામીન
નોંધનીય છે કે, એક્સાઇઝ પોલિસી કેસમાં કેજરીવાલ સાથે તિહાર જેલમાં બંધ આપ પાર્ટીના અન્ય નેતાઓ પણ કોર્ટની કાર્યવાહીમાં જોડાયા હતા, ત્યારે કોર્ટ તરફથી આપના નેતા દુર્ગેશ પાઠકને મોટી રાહત મળી છે. કોર્ટે દુર્ગેશ પાઠકને એક લાખ રૂપિયાના જામીન બોન્ડ પર આ કેસમાં જામીન આપી છે.
દુર્ગેશ પાઠકનો ભાજપ પર પ્રહાર
જામીન મળતા જ આપના નેતા દુર્ગેશ પાઠકે ભાજપ પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, હું ઘણાં વર્ષોથી આ નાટક જોઇ રહ્યો છું. પીએમ મોદી ખોટા આરોપો દ્વારા આમ આદમી પાર્ટીને ખતમ કરવા માંગે છે. પરંતુ, હવે સત્ય સામે આવી રહ્યું છે અને એક પછી એક બધા જ નેતાઓ જેલથી બહાર આવી રહ્યા છે.