Haryana,તા,13
હરિયાણા વિધાનસભાની ચૂંટણી પહેલા દેશની સૌથી અમીર મહિલા સાવિત્રી જિંદાલને ટિકિટ ન આપવામાં આવતા તેણે પક્ષ સામે બળવો કરીને અપક્ષ તરીકે નામાંકન ભર્યુ છે. 74 વર્ષીય સાવિત્રી જિંદાલે હિસાર વિધાનસભા મતવિસ્તારમાંથી ઉમેદવારીપત્ર ભર્યુ છે. ભાજપે તેના વર્તમાન વિધાનસભ્ય અને મંત્રી કમલ ગુપ્તાને પાંચમી ઓક્ટોબરે યોજાનારી ચૂંટણી માટે ઉમેદવાર બનાવ્યા છે.
ભાજપમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ
સાવિત્રી જિંદાલ દેશની જાણીતી ઉદ્યોગપતિ છે અને તેમના પુત્ર નવીન જિંદાલ કુરુક્ષેત્રમાં ભાજપના સાંસદ છે. આ વર્ષે થયેલી લોકસભા ચૂંટણી પહેલા જ 24 માર્ચે નવીન જિંદાલે કોંગ્રેસ છોડી ભાજપનો છેડો પકડ્યો હતો. ભાજપે તેમને તરત જ કુરુક્ષેત્રમાં સીટના મેદાન પર ઉતાર્યા. આ પહેલા તે બે વખત સાંસદ રહ્યા હતા. તેના થોડા દિવસ પછી સાવિત્રી જિંદાલે પણ હરિયાણાના મુખ્યમંત્રી નાયબસિંહ સૈની અને ભૂતપૂર્વ મુખ્યપ્રધાન મનોહરલાલ ખટ્ટરની હાજરીમાં હિસાર ભાજપનું સભ્યપદ ગ્રહણ કર્યુ હતું.
આ ચૂંટણીમાં ભાજપ સાવિત્રી જિંદાલને હિસારમાંથી ટિકિટ આપશે તેમ માનવામાં આવતું હતું, પરંતુ ભાજપે તેમને ટિકિટ આપી ન હતી. તેના પગલે તેમણે સ્વતંત્ર ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો હતો. હરિયાણામાં શાસક પક્ષ ભાજપની અંદર ટિકિટ વહેંચણીને લઈને બળવાની બાબત પર પક્ષના નેતા કરણદેવ કંબોજે નિર્દેશ આપ્યો હતો કે જો ટિકિટ ફાળવણીની પ્રક્રિયામાં સીએમ નાયબ સૈનીના અવાજને પ્રાધાન્ય આપવામાં આવ્યું હોત તો આ બળવો રોકી શકાયો હોત.
આ દરમિયાન પક્ષના દક્ષિણ હરિયાણાના વરિષ્ઠ નેતા રામ બિલાસ શર્માએ મહેન્દ્રગઢમાંથી દાવેદારી નોંધાવી હતી. પક્ષે તેમના બદલે મહેન્દ્રગઢમાંથી કંવરસિંહ યાદવને ટિકિટ આપી હતી. શર્મા મંત્રી રહેવા ઉપરાંત હરિયાણાના પક્ષપ્રમુખ પણ રહી ચૂક્યા છે. હરિયાણા ભાજપમાં અત્યાર સુધી 20થી વઘુ નેતાઓ ટિકિટ વહેંચણીના મુદ્દે પક્ષ છોડી ચૂક્યા છે.