Mumbai,તા.23
સ્ટાર્ટ અપની દુનિયાના હીરો ગણાતાં અશનીર ગ્રોવરની બાયોપિકમાંથી આમિરખાને તેના નિર્દેશક રાહુલ મોદી સાથે ક્રિયેટિવ મતભેદો પડયા હોવાનું જણાવી હટી ગયો હોવાનું જાણવા મળ્યું છે.
આ પ્રોજેક્ટમાં અશનીર ગ્રોવરની પત્ની માધુરી જૈન ગ્રોવરની ભૂમિકા શ્રદ્ધા કપૂર ભજવવાની હોવાની વાત છે. હાલ શ્રદ્ધા કપૂર અને રાહુલ મોદી ડેટિંગ કરી રહ્યાં હોવાનું કહેવાય છે. શ્રદ્ધા એક મોટા સ્ટુડિયોની સાથે આ ફિલ્મની સહનિર્માત્રી પણ બનવાની છે તેવી પણ વાત છે.
અશનીર ગ્રોવર કે ફિલ્મમેકર્સે આ ફિલ્મમાં આમિરખાન શ્રદ્ધા કપૂરનો હીરો બનશે કે કેમ તે બાબતે કોઇ નક્કર માહિતી આપી નહોતી. પણ હવે આમિરખાન આ ફિલ્મમાંથી હટી ગયો હોવાના અહેવાલો છે.
હાલ આમિરખાન તેની વિખ્યાત ફિલ્મ ‘થ્રી ઇડિયટ્સ’ની સિક્વલના શૂટિંગમાં વ્યસ્ત છે. જેમાં તે માધવન અને શર્મન જોશી સાથે લાંબા સમય બાદ કામ કરી રહ્યો છે.હવે આ ફિલ્મમાં અશનીરની ભૂમિકા ભજવવા માટે નવા નાની વયના હીરોની શોધ ચાલી રહી છે. આમિરખાન કે રાહુલ મોદીએ આ મામલે કશું સત્તાવાર જણાવ્યું નથી. શ્રદ્ધાના ચાહકોને એ ઇન્તેઝારી છે કે આ ફિલ્મમાં તેનો નવો હીરો કોણ બનશે.

