Mumbai,તા.03
નિતેશ તિવારીની બહુચર્ચિત ફિલ્મ ‘રામાયણ’માં સીતાની ભૂમિકા ભજવી રહેલી દક્ષિણ ભારતની અભિનેત્રી સાઇ પલ્લવી અભિનયની સાથે તેની સાદગી અને નેચરલ લુક માટે પણ જાણીતી છે. આજકાલ સેલેબ્સ કરોડો રૂપિયાની બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ સાઇન કરવા માટે આતુર હોય છે, ત્યારે સાઇ પલ્લવીએ વર્ષ 2019 માં 2 કરોડ રૂપિયાની ફેરનેસ ક્રીમની જાહેરાત ફગાવીને સમાજ સામે દાખલો બેસાડ્યો હતો.હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં સાઇ પલ્લવીએ એક જૂનો કિસ્સો વાગોળ્યો હતો. સાઇ પલ્લવીને એક ફેરનેસ ક્રીમની એડ ઓફર થઈ હતી. ત્યારે તેણે કહ્યું હતું કે ‘હું એવી કોઈ બ્યુટી પ્રોડક્ટનો પ્રચાર કરવા નથી માંગતી જે લોકોને પોતાની ત્વચાના રંગ પ્રત્યે અસુરક્ષિત કે ઓછો આત્મવિશ્વાસ અનુભવ કરાવે.’ સાઇ પલ્લવી વાસ્તવિક જીવનમાં પણ ખૂબ જ ઓછો અથવા નહીંવત મેકઅપ કરે છે. તેમનું માનવું છે કે દરેક વ્યક્તિએ તેમની ચામડીના કુદરતી રંગ અને દેખાવ પ્રત્યે આત્મવિશ્વાસ રાખવો જોઈએ.
આ નિર્ણય પાછળ સાઇ પલ્લવીએ તેની નાની બહેનનો પણ ઉલ્લેખ કર્યો હતો. સાઇ પલ્લવી તેની બહેન કરતાં થોડી વધુ ગોરી હતી. બહેન પણ ગોરી થઈ જાય તે માટે તેની માતા તેને ન ગમતાં શાકભાજી અને ફળો ખાવા માટે દબાણ કરતી હતી. બહેનને રંગના ભેદભાવના કારણે મુશ્કેલીમાં મૂકાતી જોઈને સાઇ પલ્લવીનું દિલ દુભાઈ ગયું હતું. તેણે વિચાર્યું કે જો તે પોતે જ ફેરનેસ ક્રીમની એડ કરશે, તો તે પોતાની બહેન અને સમાજના લાખો લોકો સાથે અન્યાય કરશે. આ જ લાગણી સાથે તેણે કહ્યું હતું કે, “આવી એડ કરીને હું, 2 કરોડ રૂપિયાનું શું કરીશ?’
સાઇ પલ્લવી કારકિર્દીની શરૂઆતમાં ચહેરા પરના ખીલના કારણે ખૂબ સંકોચ અનુભવતી હતી. વર્ષ 2015માં આવેલી તેની સુપરહિટ મલયાલમ ડેબ્યૂ ફિલ્મ ‘પ્રેમમ’ પહેલાં તે ચહેરાના ખીલ દૂર કરવા સેંકડો ક્રીમ વાપરતી હતી. પરંતુ ‘પ્રેમમ’ રિલીઝ થયા પછી દર્શકોએ તેને તેના ખીલ સાથે જ સ્વીકારી અને ભરપૂર પ્રેમ આપ્યો. આ અનુભવે તેને સમજાવ્યું કે સુંદરતા માટે પરફેક્ટ સ્કીન જરૂરી નથી, પણ આત્મવિશ્વાસ જરૂરી છે.સાઇ પલ્લવી ટૂંક સમયમાં જ નિતેશ તિવારીના નિર્દેશનમાં બની રહેલી ભવ્ય ફિલ્મ ‘રામાયણ: પાર્ટ 1’માં રામની ભૂમિકા ભજવી રહેલા રણબીર કપૂર સાથે સીતાના રોલમાં જોવા મળશે. આ ફિલ્મ 8 November 2026ના રોજ રિલીઝ થવાની છે.

