Rajkot,તા.૧૭
Rajkot શહેરની હુડકો ચોકડી પાસે આવેલા રામપાર્ક વિસ્તારમાં આવેલા ઉત્તમ સોફા નામના કારખાનામાં શુક્રવારે સવારે લાગેલી ભીષણ આગમાં ગૂંગળામણના કારણે ૩૧ વર્ષીય ચેતન શેલડિયાનું કરુણ મોત નિપજ્યું છે. આગ લાગતા સમગ્ર કારખાનામાં ધુમાડાના ગોટેગોટા ફેલાઈ જતા ચેતન શેલડિયા બાથરૂમ પાસે પાછળની ગેલેરીમાં ફસાઈ ગયા હતા અને બેભાન હાલતમાં બહાર કાઢવામાં આવ્યા હતા. સારવાર માટે તેમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા.
ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર અશોકસિંહ ઝાલા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, પ્રાથમિક તપાસ મુજબ આગની ઘટના સવારે અંદાજે ૧૦ઃ૧૫ વાગ્યે બની હતી. કારખાનામાં સોફા બનાવવાના કામમાં વપરાતી ફોમ સહિતની જ્વલનશીલ સામગ્રીને કારણે આગે ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને સમગ્ર વિસ્તારમાં ગાઢ ધુમાડો છવાઈ ગયો હતો. ફાયર બ્રિગેડની ટીમે ઓક્સિજન માસ્ક પહેરી આગ પર કાબૂ મેળવવા અને રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી. કારખાનામાં આગ સમયે ચેતન શેલડિયા બાથરૂમ પાસેના પાછળના ગેલેરી વિસ્તારમાં ફસાઈ ગયા હતા. સ્થાનિકોની સૂચનાના આધારે રેસ્ક્યુ ટીમે તેમને બેભાન હાલતમાં બહાર કાઢ્યા હતા. કારખાનામાં જરૂરી ફાયર સેફ્ટીના સાધનો ઉપલબ્ધ હતા કે નહીં, તેમજ ફાયર સેફ્ટી ઇન્સ્ટોલેશનના નિયમોનું પાલન થયું હતું કે નહીં તે અંગે નોટિસ આપવામાં આવશે. ઉપરાંત ટાઉન પ્લાનિંગ વિભાગ પણ રહેણાંક વિસ્તારમાં ઔદ્યોગિક પ્રવૃત્તિ કાયદેસર રીતે ચાલી રહી હતી કે નહીં અને હેતુફેરની મંજૂરી લેવામાં આવી હતી કે નહીં તેની તપાસ કરશે.
આજીડેમ પોલીસ સ્ટેશનના પીઆઇ હરેશ પટેલ દ્વારા વાતચીતમાં જણાવવામાં આવ્યું હતું કે, ઘટના અંગે પોલીસે બીએનએસએસ કલમ ૧૯૪ હેઠળ અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે અને તમામ પાસાઓની તપાસ શરૂ કરી છે. આગના કારણોની તપાસ માટે એફએસએલને સ્થળ પર બોલાવવામાં આવશે તેમજ પીજીવીસીએલ અને ફાયર વિભાગ પાસેથી વિગતવાર અહેવાલ મંગાવવામાં આવશે. મૃતક ચેતન શેલડિયા રાજકોટના બાપા સીતારામ ચોક, શ્રદ્ધાપાર્ક વિસ્તારમાં રહેતા હતા. તેમના લગ્ન વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન થયા હતા અને તેમને ત્રણ વર્ષનો એક પુત્ર છે. કારખાનું છેલ્લા અઢી વર્ષથી તેમના સસરા નારણભાઈ કાકડિયા તેમજ સાળા દેવેન્દ્ર કાકડિયા સાથે ભાગીદારીમાં ચલાવવામાં આવતું હતું.
આ દરમિયાન મૃતકના ભાગીદાર તથા સાળા દેવેન્દ્ર કાકડિયાએ ગંભીર આક્ષેપો કર્યા છે. તેમના જણાવ્યા મુજબ છેલ્લા એક મહિનાથી વિસ્તારમાં વીજ વિક્ષેપ અંગે પીજીવીસીએલને અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી, છતાં સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવ્યું નહોતું. તેમણે એવો પણ આક્ષેપ કર્યો કે ઘટના બાદ તેઓ ફાયર વિભાગને જાણ કર્યા છતાં ફાયર બ્રિગેડ મોડી પહોંચી હતી અને શરૂઆતમાં રેસ્ક્યુ માટે જરૂરી ઓક્સિજન માસ્ક પણ ઉપલબ્ધ ન હોવાથી બચાવ કામગીરીમાં વિલંબ થયો હતો. તેમના મતે આ વિલંબના કારણે ચેતન શેલડિયાનું ગૂંગળામણથી મૃત્યુ થયું. હાલ પોલીસ, ફાયર વિભાગ અને અન્ય સંબંધિત એજન્સીઓ આગનું ચોક્કસ કારણ, સુરક્ષા નિયમોનું પાલન અને સંભવિત બેદરકારી સહિતના તમામ મુદ્દાઓની તપાસ કરી રહી છે.

