Rajkot,તા.૭
Rajkot જિલ્લાના ખેડૂતો વીજપોલના મુદ્દે ફરી રસ્તા પર ઉતર્યા છે. વીજળી કંપની દ્વારા ખેતરની વચ્ચે વીજપોલ ઊભા કરવાના વિરોધમાં આજે પડઘરી ગામે ભારે વિરોધ પ્રદર્શન યોજાયું. ખેડૂત હિત રક્ષક સમિતિએ આ મામલે ત્રણ દિવસના પ્રતિક ઉપવાસનું આંદોલન પણ જાહેર કર્યું છે.
પડઘરી ગામના મુખ્ય માર્ગ પર આજે સવારથી જ ટ્રેક્ટર, બેનર અને કાળા વાવટા સાથે ખેડૂતો એકઠા થયા હતા. “ખેડૂત વિરોધી નીતિ બંધ કરો”, “વીજપોલ હટાવો” જેવા નારા ગગન ગજવી રહ્યા હતા. ખેડૂતોનો આક્ષેપ છે કે વીજ કંપની કોઈ પૂર્વ સૂચના આપ્યા વિના સીધા ખેતરની વચ્ચે વીજપોલ ઊભા કરી રહી છે. જેના કારણે ખેતીનું કામ અટકે છે, ટ્રેક્ટર ફેરવવામાં તકલીફ પડે છે અને પાકને પણ નુકસાન થાય છે. ઘણા ખેડૂતોનું એમ પણ કહેવું છે કે, વીજ બિલમાં થયેલા વધારા અને ખેતી માટે ઓછી વીજળી મળવાને કારણે તેઓ પહેલેથી જ પરેશાન છે ઉપરથી આ વીજપોલનો ત્રાસ.
“અમે અનેક વખત વીજ કંપની અને તંત્રને લેખિત રજૂઆત કરી. પણ કોઈ સાંભળતું નથી. ખેડૂતને કોઈ પૂછતું જ નથી. આજે પડઘરી ખાતે વિરોધ કર્યા બાદ અમે નિર્ણય લીધો છે કે આગામી ૩ દિવસ સુધી અમે પ્રતિક ઉપવાસ કરીશું. સવારે ૧૦થી સાંજે ૫ સુધી ગામના ચોકમાં ઉપવાસ ચાલશે. જો ૩ દિવસમાં નિર્ણય નહીં આવે, તો આંદોલનને અમે રાજકોટ કલેક્ટર કચેરી સુધી લઈ જઈશું.” – મનોજ પનારા, ખેડૂત હિત રક્ષક સમિતિના આગેવાન, રાજકોટ
ખેડૂતોની મુખ્ય ૩ માંગ છેઃ જે વીજપોલ ખેતરની વચ્ચે નખાયા છે, તેને તાત્કાલિક હટાવીને રસ્તાની સાઈડમાં નખવામાં આવે. ખેતી માટે ૧૨ કલાક વીજળી સમયસર અને સસ્તા દરે આપવામાં આવે. નવા કનેક્શન અને વીજબિલના નામે થતી લૂંટ બંધ કરવામાં આવે.
ખેડૂતોનું કહેવું છે કે “અમારા ગામમાં ૬૦ જેટલી નોટિસ આપવામાં આવી છે અને આસપાસમાં મળી એમ ૧૫૦ જેટલી નોટિસ અમને આપવામાં આવી છે. આ નોટિસ આપ્યા બાદ અમારી જાણ વિના કંપનીએ સર્વે કર્યો છે અને અમને કોઈને જાણ કરી નથી, જેથી અમારો વિરોધ છે. કંપનીને સર્વે કરવો હોય તો ખેડૂતને સાથે રાખીને સર્વે કરવો જોઈએ. સાથે જ ખેતીને ઘણું નુકસાન થાય છે. જો આ જ રીતે એમને કરવું હોય તો કાયદામાં રહીને સમગ્ર કાર્યવાહી કરે તો બંને પક્ષને ફાયદો થાય. સાથે જ અમને જે રીતની મૂળ કિંમત છે તેના ચાર ગણું વળતર ચૂકવવામાં આવે તો અમને કોઈ વાંધો નથી. પરંતુ ખેડૂતોને સાથે રાખીને આ સર્વેની કાર્યવાહી કરવી જોઈએ.
વિરોધ પ્રદર્શન બાદ ખેડૂત હિત રક્ષક સમિતિએ મોટી જાહેરાત કરી. આગામી ત્રણ દિવસ સુધી પડઘરી ગામે પ્રતિક ઉપવાસનું આંદોલન ચાલશે. સમિતિના સભ્યો વારાફરતી ઉપવાસમાં બેસશે. સમિતિએ જિલ્લાભરના ખેડૂતોને અપીલ કરી છે કે, તેઓ મોટી સંખ્યામાં જોડાય અને આ આંદોલનને સમર્થન આપે.
ખેડૂતોએ કહ્યું કે “ખેડૂતોની એવી માંગ હતી કે વીજપોલ ઊભા કરવાથી તેમની કિંમતી જમીન પાણીના ભાવે હાલ વેચાઈ રહી છે અને જેના કારણે ખેડૂતને નુકસાન થઈ રહ્યું છે. બીજી તરફ ખેડૂતોનો વિરોધ માત્ર એટલો જ છે કે જે રીતે બજાર ભાવ હોય, તેના કરતા ચાર ગણું વળતર ચૂકવવામાં આવે. આ માંગ સાથે આજે ધરણા કરવામાં આવ્યા છે.સમિતિના હોદ્દેદારોએ ચેતવણી આપી કે જો તંત્ર દ્વારા વાટાઘાટ માટે પહેલ નહીં કરવામાં આવે, તો આગામી તબક્કામાં રેલી અને રાજ્ય સ્તરનું આંદોલન પણ કરવામાં આવશે. હાલ તંત્ર તરફથી આ મામલે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી. પરંતુ ખેડૂતો પોતાની માંગ પર અડગ છે.

