Mumbai , તા.6
એર ઇન્ડિયા દ્વારા તાજેતરમાં મુંબઈથી સિંગાપુર અને થાઈલેન્ડ જતી ફ્લાઇટોના શેડ્યૂલમાં કરવામાં આવેલા વારંવારના ફેરફારોને કારણે હજારો મુસાફરો અને ટ્રાવેલ ઉદ્યોગને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
મુસાફરોએ મહિનાઓ અગાઉથી વિશ્વાસપૂર્વક એર ઇન્ડિયામાં બુકિંગ કરાવ્યું હતું, પરંતુ અચાનક કરવામાં આવેલા શેડ્યૂલ ફેરફારોને કારણે તેમની સંપૂર્ણ પ્રવાસ યોજના ખોરવાઈ ગઈ છે.
અનેક કિસ્સાઓમાં મુસાફરોને મુંબઈ એરપોર્ટ પર 22 કલાકથી વધુ સમય સુધી રાહ જોવી પડી રહી છે, જેના કારણે હોટેલ બુકિંગ, ક્રૂઝ, બિઝનેસ મીટિંગ, પરિવાર સાથેનો સમય અને આગળની મુસાફરી પર ગંભીર અસર થઈ રહી છે.
સૌથી વધુ ચિંતાજનક બાબત એ છે કે આ પરિસિ્થતિમાં મુસાફરોને પૂરતી મદદ મળતી નથી. એર ઇન્ડિયા સ્ટાર એલાયન્સનો સભ્ય હોવા છતાં, ઉપલબ્ધતા હોય ત્યારે પણ મુસાફરોને અન્ય સ્ટાર એલાયન્સ એરલાઇન્સમાં સમાયોજિત કરવામાં આવતા હોવાના અહેવાલો નથી.
તેના બદલે, ઘણા મુસાફરોને બુકિંગ રદ કરીને નવા ભાવે ટિકિટ ખરીદવાની સલાહ આપવામાં આવી રહી છે, જ્યારે નવા ભાડા ઘણીવાર મૂળ ભાડા કરતાં બમણા કે તેથી પણ વધુ છે. જેના કારણે પ્રવાસીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.
અનેક મુસાફરોના અનુભવ પ્રમાણે લાંબા વિલંબ દરમિયાન હોટેલની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નથી. ભોજન અને અન્ય જરૂરી સહાય દરેક કિસ્સામાં ઉપલબ્ધ થઈ નથી. વૈકલ્પિક ફ્લાઇટ વિકલ્પો મર્યાદિત રહ્યા છે. સમયસર અને સ્પષ્ટ માહિતીના અભાવે મુસાફરો અનિશ્ચિતતાનો સામનો કરી રહ્યા છે.
આ પરિસ્થિતિથી માત્ર આર્થિક નુકસાન જ નહીં, પરંતુ પરિવાર સાથે પ્રવાસે નીકળેલા લોકો, વરિષ્ઠ નાગરિકો, હનીમૂન કપલ્સ, વિદ્યાર્થીઓ અને બિઝનેસ પ્રવાસીઓ ભારે માનસિક તણાવનો પણ સામનો કરી રહ્યા છે.
ટ્રાવેલ એસો.ના જણાવ્યા પ્રમાણે માર્ગદર્શન તથા સહાય ન મળવાથી એરલાઇન પ્રત્યેનો વિશ્વાસ ઘટે છે. મુંબઈ-સિંગાપુર અને મુંબઈ-થાઈલેન્ડ રૂટ પર સ્થિર અને વિશ્વસનીય ફ્લાઇટ શેડ્યૂલ પુનઃસ્થાપિત કરવામાં આવે. લાંબા વિલંબનો સામનો કરતા મુસાફરોને યોગ્ય વૈકલ્પિક ફ્લાઇટ, સહાય અને ગ્રાહક સેવા ઉપલબ્ધ કરાવવામાં આવે.
મુસાફરો અને ટ્રાવેલ એજન્ટોને સમયસર અને પારદર્શક માહિતી આપવામાં આવે. આગામી તહેવારો અને વેકેશન દરમિયાન આવા વિક્ષેપોને ઘટાડવા માટે તાત્કાલિક પગલાં લેવામાં આવે. એર ઇન્ડિયા દેશની અગ્રણી એરલાઇન છે અને વર્ષોથી મુસાફરો તથા ટ્રાવેલ ઉદ્યોગનો વિશ્વાસ જીતતી આવી છે.
અમારી આશા છે કે કંપની આ મુદ્દાને ગંભીરતાથી લઈ તાત્કાલિક યોગ્ય પગલાં ભરશે, જેથી મુસાફરોને અનાવશ્યક મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે અને એર ઇન્ડિયા પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત બને. તેવી માંગણી ઉઠાવી છે.

