સંજય ચેતરીયાની ધરપકડ, પાંચ દિવસના રિમાન્ડ મંજૂર,સઘન પૂછપરછ
(નયના દવે દ્વારા)
Jamnagar તા.૪
જામનગરના નવરાત્રિ સંચાલક સંજય ચેતરિયા સામે વધુ એક ગુનો નોંધાતા તેમની સામે નોંધાયેલી ફરિયાદોની સંખ્યા પાંચ પર પહોંચી છે. પંચકોશી ’એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક વેપારીએ ફરિયાદ નોંધાવી છે કે પોતાના ગોડાઉન પર આવી વીડિયો બનાવી પુરવઠા વિભાગમાં પકડાવી દેવાની તથા યુટ્યુબ ચેનલ પર અપલોડ કરી વેપાર-ધંધો બંધ કરાવી દેવાની ધમકી આપી તેની પાસેથી રૂ. ૩ લાખ બળજબરીપૂર્વક પડાવવામાં આવ્યા હતા, અને ત્યારબાદ વધુ રૂ. ૨ લાખની માંગણી કરી સતત ધમકીઓ આપવામાં આવતી હતી.
પોલીસ ફરિયાદ મુજબ, હાપા માર્કેટિંગ યાર્ડમાં વેપાર કરતા અને પટેલ પાર્ક વિસ્તારમાં રહેતા નયનભાઈ સુરેશભાઈ ભાયાણીએ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તેમના હાપા વેરહાઉસ પાછળ આવેલા શ્રીજી ઇન્ડસ્ટ્રીઝ એસ્ટેટના ગોડાઉન પર સંજય ચેતરિયા પહોંચ્યો હતો. ગોડાઉનમાં રહેલા સસ્તા અનાજના ઘઉંનો વીડિયો ઉતારી પુરવઠા વિભાગમાં ફરિયાદ કરી પકડાવી દેવાની તેમજ પોતાની ’સનાતન સત્ય સમાચાર’ યુટ્યુબ ચેનલમાં વીડિયો મૂકી વેપાર-ધંધો બંધ કરાવી દેવાની ધમકી આપી હતી. વેપાર ચાલુ રાખવો હોય તો રૂપિયા આપવા પડશે તેમ કહી ગેરશબ્દો બોલી મોબાઇલ ફોન તથા વોટ્સએપ કોલ મારફતે પણ સતત ધમકીઓ આપવામાં આવી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
ફરિયાદ અનુસાર સંજય ચેતરિયાએ વેપારીને મૃત્યુનો ભય ઉભો કરી પોતાના સાગરીત દીપકભાઈને મોકલી બળજબરીપૂર્વક રૂ. ૩ લાખ પડાવ્યા હતા. ત્યારબાદ વધુ રૂ. ૨ લાખ મેળવવા માટે પણ ધમકીઓ ચાલુ રાખી કાવતરું રચ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ફરિયાદના આધારે પંચકોશી ’એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સંજય ચેતરિયા, દીપકભાઈ તથા તપાસ દરમિયાન નામ ખુલતા અન્ય શખ્સો સામે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૩૦૮(૫), ૩૫૬(૧), ૩૫૧(૩), ૩૫૨ અને ૬૧(૨) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. સમગ્ર મામલે પોલીસ ઇન્સ્પેક્ટર એમ. એન. શેખના માર્ગદર્શન હેઠળ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
જામનગરના નવરાત્રી સંચાલક સંજય ચેતરીયા સામે શહેરના અલગ-અલગ પોલીસ મથકોમાં નોંધાયેલી ૫ ફરિયાદોના અનુસંધાને પંચકોશી-બી પોલીસે તેની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે આરોપીના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરતાં હાલ પોલીસ દ્વારા સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે.પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સંજય ચેતરીયા સામે સિટી-એ ડિવિઝન, સિટી-બી ડિવિઝન તથા પંચકોશી-બી પોલીસ મથકમાં મળીને કુલ૫ ફરિયાદ નોંધાવાઈ છે. જેમાં પંચકોશી-બી પોલીસ મથકમાં બે અલગ-અલગ ફરિયાદો નોંધાતા પોલીસે તપાસ આગળ ધપાવી હતી.
એક ફરિયાદ મુજબ વર્ષ ૨૦૨૩ દરમિયાન નવરાત્રીના આયોજન માટે રાજકોટના જમીન લે-વેચના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારી પાસેથી રૂ. ૧૨.૫૦ લાખ લીધા હતા. જેમાંથી રૂ. ૫ લાખ પરત આપ્યા બાદ બાકીની રકમ પરત ન કરતાં અને વિવિધ બહાનાં તેમજ ખોટા વીડિયો બતાવી ગેરમાર્ગૅ દોર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
બીજી ફરિયાદમાં એક પ્રસંગ દરમિયાન જમણવારની વ્યવસ્થા માટે કરાયેલ કામના આશરે રૂ. ૮.૫૦ લાખનું ચુકવણું ન કરી ધમકી આપ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.આ ઉપરાંત જે.સી.આર. સિનેમા ગ્રાઉન્ડના ભાડા અને નુકસાન સંબંધિત મુદ્દે નોટિસ આપનાર વેપારીને ધમકી આપવામાં આવી હોવાનો મામલો પણ પોલીસ ચોપડે નોંધાયો હોવાનું જાણવા મળે છે.આ તમામ ફરિયાદોના આધારે પંચકોશી-બી પોલીસ સ્ટેશનના પીઆઈ વી.જે. રાઠોડ અને તેમની ટીમે આરોપી સંજય ચેતરીયાની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરતાં હાલ પોલીસે વિવિધ મુદ્દાઓ અંગે ઊંડી પૂછપરછ શરૂ કરી છે.

