New Delhi,તા.27
કોકરોચ જનતા પાર્ટીના જંતર મંતર સહિત દેશભરમાં થયેલા આંદોલનના પગલે હવે નીટ સહિતના પરિક્ષા-ભરતી પેપર લીક રોકવા એક બાદ એક પગલા લઈ રહેલી મોદી સરકાર હવે આજે લોકસભામાં એન્ટી પેપર લીક ખરડો રજુ કરશે. કોકરોચ આંદોલન સમયે જ વડાપ્રધાન મોદીએ પેપર લીકમાં 10 વર્ષની જેલ સજા 10 કરોડના દંડ સહિતની મહત્વની જોગવાઈ સાથે ખાસ ખરડો લઈ આવવા જાહેરાત કરી હતી.
ગઈકાલે જ ટાસ્ક ફોર્સ રચવા જાહેરાત કરી છે તો આજે લોકસભામાં પીએમઓ કાર્યાલયના મંત્રી શ્રી જીતેન્દ્રસિંહ હવે વડાપ્રધાનની જાહેરાત મુજબનું એન્ટી પેપર લીક ખરડો રજુ કરાશે અને તેના પર 10 કલાકની ચર્ચાનો સમય ફાળવવામાં આવ્યા છે.
આ નવા ખરડામાં પેપર લીક અંગે ફાસ્ટટ્રેક કોર્ટ રચવા બે માસમાં તપાસ પુરી કરવાની જોગવાઈ છે. જેમાં દોષીતને ઓછામાં ઓછી પાંચ વર્ષની જેલ સજા અને મહત્વની 10 વર્ષ તથા સંગઠીત અપરાધ બદલ 7 વર્ષની જેલ સજા તથા રૂા.10 કરોડના દંડની જોગવાઈ છે.
ભાજપે હવે કોકરોચ આંદોલન બાદ તેની યુવા બ્રિગેડને હવે આગળ કરવા નિર્ણય લીધો છે. ખરડા પર ચર્ચામાં ભાગ લેવા યુવા સાંસદ બાંસુરી સ્વરાજ તથા તેજસ્વી સુર્યા ઉપરાંત તૃણમુલના બાગીઓમાં સયોની ઘોષ અને મિતાલી બાગ, શિવસેનાના શ્રીકાંત શિંદે તથા એનસીપીના સુનિલ તટકરે તો અપનાદળના અનુપ્રિયા પટેલ અને લોજપના અરુણ ભારતીને આગળ ધરશે.
આજે નવા શિક્ષણમંત્રી પ્રહલાદ જોષીની પ્રથમ પરિક્ષા છે અને પ્રશ્ન કાળમાં શિક્ષણ વિભાગના અનેક પ્રશ્નોના જવાબ આપશે. શ્રી જોષીએ શનિવારે નવી જવાબદારી મળતા જ તેમના મંત્રાલયમાં શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સામે બેઠકોનો દૌર ચલાવ્યો હતો.
રાજયસભામાં વંદેમાતરમ ખરડા પર ચર્ચા થશે જે શનિવારે જ રજુ થઈ ચૂકયુ છે. જેમાં વંદેમાતરમના ગાયન સમયે તેના અપમાનની સ્થિતિમાં સજાની જોગવાઈ છે.

