સુતજી કહે છે કે આ શ્રીમદ ભાગવતની કથા એવી દિવ્ય છે કે સાત દિવસ પરીક્ષિતે કથા સાંભળી તો તે પ્રભુના ધામમાં ગયા છે,તે વખતે હું ત્યાં બેઠો હતો.મેં નજરે જોયું છે.પરીક્ષિત રાજાને આ કથા સાંભળ્યા પછી મુક્તિ મળી છે.તક્ષક નાગ કરડતાં પહેલાં જ તે પ્રભુના ધામમાં ગયા છે.આ કથા એવી મંગલમય છે.સાત દિવસમાં પરીક્ષિતને જે કથાથી મુક્તિ મળી તે કથા હું તમને સંભળાવું છું.પરીક્ષિતને ખાતરી હતી કે સાતમે દિવસે મારો કાળ આવવાનો છે તેથી તેને તન્મય થઈને કથા સાંભળી હતી.આપણે કાળને ભૂલી જઈએ છીએ.વક્તા શુકદેવજી જેવો અવધૂત હોય અને શ્રોતા પરીક્ષિત જેવો અધિકારી થઈને બેસે તો સાત દિવસમાં મુક્તિ મળે છે.
અવધૂતનો અર્થ છે વાસના રહિત,ઈચ્છારહિત,આશારહિત,જે તત્વનિષ્ઠ છે તે.શુકદેવજી બ્રહ્મદ્રષ્ટિ સ્થિર કરી પ્રભુની પ્રેરણાથી કથા કરવા આવ્યા છે.વક્તા અને શ્રોતા અધિકારી હોવા જોઈએ.કરંટ અને ગોળો બંને સારા હોવા જોઈએ તો જ પ્રકાશ થાય.વક્તા અને શ્રોતા અધિકારી હોય તો આ કથા મુક્તિ અપાવે છે.કથા સાંભળીને પરીક્ષિતને લેવા વિમાન આવ્યું.પરીક્ષિત મહારાજને સદગતિ મળી છે.આજકાલ લોકો બહુ કથા સાંભળે છે પણ તેઓને લેવા વિમાન કેમ નથી આવતું? વિમાન આવતું નથી તેનું એક જ કારણ છે કે વક્તા-શ્રોતા અધિકારી નથી.જે ભાગવતમાં લખ્યું છે તે સાચું લખ્યું છે કે પરીક્ષિતને લેવા વિમાન આવ્યું.વક્તા શુકદેવજીનો આદર્શ જીવનમાં ઉતારીને કથા કરે અને શ્રોતા પરીક્ષિત જેવા જિજ્ઞાસુ થાય તો જરૂર વિમાન આવે.
મનુષ્ય જ્યાં સુધી વિકાર-વાસનામાં ફસાયેલો છે ત્યાં સુધી વિમાન આવતું નથી,મુક્તિ મળતી નથી અને વિમાન આવે તો પણ તે વિમાનમાં બેસવાનો નથી કેમ કે જેનું મન વિકાર-વાસનાથી ભરેલું છે તેને સંસાર છોડવાની ઈચ્છા ક્યાં થાય છે? વિષ્ઠાનો કીડો વિષ્ઠામાં જ રત રહે છે,તેમાંથી બહાર નીકળવાનું તેને ગમતું નથી.આપણે બધાં વિકાર અને વાસનામાં ફસાયેલાં છીએ.પત્ની,પુત્ર,ઘર,ધનમાં ફસાયેલાં છીએ, આસક્ત છીએ.આ આસક્તિ જ્યાં સુધી છૂટે નહિ ત્યાં સુધી મુક્તિ મળતી નથી.જેના મનમાં વિકાર-વાસના નથી,જે કૃષ્ણ પ્રેમમાં રંગાયો છે,જેનું મન કૃષ્ણ ચિંતનમાં કૃષ્ણાકાર થયું છે,જેનું મન પરમાત્માના રંગથી રંગાયેલું છે તે જ્યાં બેઠો છે ત્યાં જ મુક્તિ છે.તેના માટે વિમાન આવે તો પણ શું? અને ના આવે તો પણ શું? ઈશ્વર સાથે તન્મયતા થાય તેથી જે આનંદ મળે છે તેથી વિશેષ આનંદ વૈકુંઠમાં નથી.વૈકુંઠમાં જઈએ અને પછી મુક્તિ મળે તેના કરતાં શરીરને જ કેમ વૈકુંઠ ન બનાવીએ? દેશ-કાળ અને દેહનું ભાન ભૂલે તો તે જ્યાં બેઠો છે ત્યાં જ વૈકુંઠ છે.વૈકુંઠ નામે કોઈ ગોખલો નથી કે જઈને બેસી જવાય.જીવન મુક્તિ એ જ મુક્તિ છે.
તુકારામને લેવા વિમાન આવ્યું,તુકારામજી પોતાની પત્નીને કહે છે કે આ જીવનમાં હું તને કોઈ સુખ આપી શક્યો નથી પણ પરમાત્માએ આપણા માટે વિમાન મોકલ્યું છે તો ચાલ તને વિમાનમાં બેસાડી પરમાત્માના ધામમાં લઇ જાઉં પણ પત્નીએ માન્યું નહિ અને મહારાજને કહ્યું કે તમારે જવું હોય તો જાવ મારે જગત છોડીને આવવું નથી,તે ગઈ નહિ.સંસારનો મોહ છોડવો કઠણ છે પણ તુકારામ જવા તૈયાર થઇ ગયા,આનંદમાં નાચી ઉઠીને કહે છે કે હું જાઉં મારા સાચા ગામ,મારા સર્વને રામ-રામ,રામ-કૃષ્ણ,વિઠ્ઠલ બોલી તુકારામ જાય છે વૈકુંઠ ભણી.
વાસના ઉપર અંકુશ ન આવે ત્યાં સુધી શાંતિ મળતી નથી.કથાનો એકાદ સિધ્ધાંત પણ જો મગજમાં ઠસી જશે તો જીવન મધુર બની જશે.વાસના વધી,ભોગો વધ્યા તેથી સંસાર ખારો ઝેર બન્યો છે. વાસનાઓ મનથી ક્ષીણ ના થાય ત્યાં સુધી મુક્તિ મળવાની નથી.પૂર્વ જન્મનું શરીર ગયું પણ મન ગયું નથી.લોકો તનની-કપડાંની કાળજી રાખે છે પણ મર્યા પછી જે સાથે આવે છે તે મનની કાળજી રાખતા નથી.મર્યા પછી હાથમાં વીંટી હશે તો તે પણ લોકો કાઢી લેશે.તનને ગમે તેટલું સાચવો પણ તે ક્ષીણ થવાનું જ છે.ક્ષીણ થવાના સ્વભાવ વાળું હોવાથી તો તેને શરીર કહે છે.(શીર્યતે-ઇતિ શરીર).શરીરને ક્ષય રોગ લાગુ પડ્યો છે,શરીરનો ક્ષય થવાનો જ છે.બહુ કાળજી રાખો તો પણ એક દિવસ તો તે બગડવાનું જ છે માટે જ મહાપુરુષો તનને નહિ મનને સાચવે છે.મનને સાચવે તે મહાન બને છે.તન-ધનને સાચવે તે સંસારી અને મનને સાચવે તે સન્યાસી-સંત છે.
શું કરવું કે શું ના કરવું એ તમારા મનને ના પૂછો પણ શાસ્ત્રને પૂછો (ગીતાઃ૧૬/૨૪) શાસ્ત્ર કહે તે પ્રમાણે કરો.સદાચાર એ પાયો છે અને સદવિચાર એ મકાન છે.આચાર બગડે એટલે વિચાર બગડે છે. આચાર-વિચાર શુદ્ધ રાખો.એના વગર મનની શુદ્ધિ થતી નથી અને મનની શુદ્ધિ ના થાય ત્યાં સુધી ભક્તિ થઇ શકતી નથી.વિવેકથી સંસારનો અંત ના લાવો ત્યાં સુધી સંસારનો અંત આવવાનો નથી.જીવનમાં સદાચાર-સંયમ જ્યાં સુધી ના આવે ત્યાં સુધી પુસ્તકમાંનું જ્ઞાન કંઈ કામ લાગશે નહિ.કેવળ જ્ઞાન શા કામનું? એક ગૃહસ્થનો પુત્ર મરણ પામ્યો.ગૃહસ્થ રૂદન કરે છે.તેને ત્યાં જ્ઞાની સાધુ આવે છે અને ઉપદેશ આપે છે કે “આત્મા અમર છે,મરણ શરીરનું થાય છે તેથી તમારા પુત્રના મરણનો શોક કરવો ઉચિત નથી”
થોડા દિવસ પછી જ્ઞાની સાધુની બકરી મરી ગઈ તેથી તે રડવા લાગ્યો.સાધુને રડતો જોઈ પેલા ગૃહસ્થે સાધુને કહ્યું બાપજી ! તમે મને ઉપદેશ આપતા હતા કે કોઈના મરણ માટે શોક કરવો નહિ ત્યારે તમે રૂદન કેમ કરો છો? સાધુએ કહ્યું કે છોકરો તારો હતો પણ બકરી મારી છે તેથી રડું છું.આવું પરોપદેશે પાંડિત્યમ..બીજાને ઉપદેશ આપવાનો હોય ત્યારે પંડિત થઇને ઉપદેશ આપવો તે શા કામનું? જ્ઞાનનો અનુભવ કરો.મુક્ત થવા માટે જ્ઞાનનો ઉપયોગ છે.કથા જીવનને સુધારે છે,જીવનનો પલટો કરે છે.કથા સાંભળ્યા પછી જીવનનો પલટો ના થાય તો માનજો કે મેં કથા બરાબર સાંભળી નથી.કથા મુક્તિ આપે છે એ વાત સાચી છે.રોજ મૃત્યુને એક બે વાર યાદ કરો.કદાચ આજે મને યમદૂત પકડવા આવશે તો મારી શું દશા થશે? એમ રોજ વિચારો તો પાપ થશે નહિ.મનુષ્યો રોજ મરણનો વિચાર કરતા નથી પણ ભોજનનો વિચાર રોજ કરે છે.
ભાગવતના મહિમાનું વર્ણન ઘણાં પુરાણોમાં કરવામાં આવ્યું છે પણ નિયમ એવો છે કે પદ્મ પુરાણ અંતર્ગત માહાત્મ્યનું વર્ણન કરવું.હવે ભાગવતના મહિમાનું વર્ણન કરવામાં આવે છે.આ ભાગવત કથાનું માહાત્મ્ય એક વાર સનત્કુમારોએ નારદજીને કહી સંભળાવ્યું હતું.માહાત્મ્યમાં એવું લખ્યું છે કે મોટા મોટા ઋષિઓ-દેવો,બ્રહ્મલોક છોડી વિશાલા ક્ષેત્રમાં આ કથા સાંભળવા આવ્યા છે.બ્રહ્મલોક છોડીને સનત્કુમારો વિશાલા ક્ષેત્રમાં આવ્યા છે.પરદેશમાં ભૌતિક સુખ વધારે હશે.ભારત એ અધ્યાત્મવાદી દેશ છે. ભારત એ સુવર્ણભૂમિ છે.ભારતમાં ભગવાનના અવતારો થાય છે.ભારતમાં જેટલા ભગવાનના અવતારો થયા છે તેટલા બીજા કોઈ દેશમાં થયા નથી.બ્રહ્મવિદ્યામાં ભારત શ્રેષ્ઠ છે.ભોગનું ભલે પરદેશમાં મહત્વ હશે પણ ભારતમાં ત્યાગી પૂજાય છે.બ્રહ્મલોકમાં બધાં ધ્યાન કરે છે.ત્યાં ધ્યાનનો આનંદ છે પણ સત્સંગનો આનંદ નથી.સત્સંગનો આનંદ ભારતમાં છે.કથામાં જે આનંદ મળે છે તે બ્રહ્માનંદ કરતાં પણ શ્રેષ્ઠ છે.યોગી એકલો તરે છે પણ સત્સંગી પોતે તરે છે અને-સંગમાં આવેલા સર્વને તારે છે.બદ્રીકાશ્રમમાં સનત્કુમારો પધાર્યા છે.જેને લોકો બદ્રીકાશ્રમ કહે છે તે વિશાલા ક્ષેત્ર છે.વિશાલ રાજાએ ત્યાં તપશ્ચર્યા કરી હતી તેથી તેને વિશાલા ક્ષેત્ર કહે છે.વિશાલ રાજાને પ્રભુનાં દર્શન થયા હતા.પ્રભુએ કહ્યું તું કાંઇક માગ,ત્યારે રાજાએ કહ્યું કે હું તમારા સતત દર્શન કરૂં તેથી આપ મારી તપોભૂમિમાં અખંડ વિરાજો.પ્રભુએ કહ્યું તું કાંઇક વધારે માંગ.રાજાએ કહ્યું કે હજારો વર્ષ મેં તપશ્ચર્યા કરી ત્યારે આપના દર્શન થયા છે પણ પ્રભુ ! એવી કસોટી બધાની કરશો નહિ.જે આ ક્ષેત્રમાં મેં તપ કર્યું છે ત્યાં આવીને જે કોઈ તપ કરે તેને તરત તમારા દર્શન થાય.
પ્રભુએ કહ્યું કે તથાસ્તુ.તારૂં નામ વિશાલ છે તેમ તારૂં હૃદય પણ વિશાલ છે.આ ક્ષેત્રનું નામ વિશાલા કહેવાશે.સ્કંદ પુરાણમાં કથા છે કે બદ્રીનારાયણ વિશાલરાજા માટે પધાર્યા.જે ભક્તને માટે ભગવાન આવે તે ધન્ય છે.બદ્રીનારાયણમાં પ્રભુ પોતે તપ-ધ્યાન કરી જગતને તપ-ધ્યાનનો આદર્શ બતાવે છે.તે બતાવે છે કે હું ઈશ્વર છું છતાં ધ્યાન કરૂં છું.તપશ્ચર્યા વગર શાંતિ મળતી નથી પણ જીવ તપશ્ચર્યા કરતો નથી તેથી ભગવાન આદર્શ બતા
બદ્રીનારાયણના મંદિરમાં લક્ષ્મીજીની મૂર્તિ મંદિરની બહાર છે તે બતાવે છે કે સ્ત્રીસંગ અને બાળકોનો સંગ તપશ્ચર્યામાં વિઘ્નરૂપ છે.આમાં કોઈ સ્ત્રીની નિંદા નથી પણ કામની નિંદા છે.કોઈ સ્ત્રી બાળકોનો ત્યાગ કરવાનો નથી પણ અહીં કહેવું પડે છે કે ઘરમાં સ્ત્રી-બાળકોની વચ્ચે રહીને ભગવાનનું ભજન કરજો તેવી જ રીતે તપસ્વીની સ્ત્રી માટે પુરૂષનો સંગ ત્યાજ્ય છે.
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)

