મુંબઈમાં કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા
Mumbai,તા.૪
પોતાના જમાનાના સુપરસ્ટાર અભિનેતા અને ફિલ્મ નિર્દેશક મનોજકુમારનું ૮૭ વર્ષની ઉંમરે નિધન થયું છે. તેમણે મુંબઈની કોકીલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. મનોજકુમાર છેલ્લા ઘણા સમયથી બીમાર હતા. મનોજકુમાર તેની દેશભક્તિની ફિલ્મો માટે પ્રખ્યાત હતા અને તેમને ભારત કુમાર નામથી ખાસ ઓળખ મળી હતી. મનોજકુમારનું સાચું નામ હરિકૃષ્ણ ગીરી ગોસ્વામી હતું. ૨૪ જુલાઈ ૧૯૩૭ ના રોજ જન્મેલા મનોજકુમાર દિલીપકુમારને આદર્શ માનતા હતા. જ્યારે ભારતીય સિનેમામાં ફેરફાર થઈ રહ્યો હતો ત્યારે મનોજકુમાર એ તેના ફિલ્મી કરિયરની શરૂઆત કરી. મનોજકુમારએ તેની ફિલ્મો દ્વારા દેશભક્તિ અને સામાજિક ચેતનાને જીવંત કરી હતી.
મનોજકુમાર એ તેના અભિનય કરિયરની શરૂઆત ૧૯૫૭માં આવેલી ફિલ્મ ફેશનથી કરી હતી. પરંતુ તેમના કરિયરમાં યુ ટર્ન ૧૯૬૫ માં આવેલી શહિદ ફિલ્મ થી આવ્યો. આ ફિલ્મથી તેમને નવી ઓળખ મળી અને તે સુપરસ્ટાર બનવા તરફ આગળ વધી ગયા. ત્યાર પછી તેમણે એક પછી એક સુપરહીટ ફિલ્મોમાં કામ કર્યું. મનોજકુમારની ફિલ્મ ઉપકારનું ગીત મેરે દેશ કી ધરતી સોના ઉગલે આજે પણ દેશભક્તિની ભાવના જગાવનાર ગીત તરીકે સાંભળવા મળે છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી હતી અને સાથે જ તેના ગીત પણ સુપરહિટ રહ્યા હતા.
ભારતીય સિનેમામાં તેમના અપાર યોગદાન માટે બોલિવૂડ હંમેશા તેમને યાદ રાખશે. પદ્મશ્રી અને દાદાસાહેબ ફાળકે પુરસ્કાર વિજેતા મનોજ કુમારનું નિધન ભારતીય સિનેમા માટે એક મોટું નુકસાન છે. મનોજ કુમારે આજે સવારે ૩ઃ૩૦ વાગ્યે ઉંમર સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે અંતિમ શ્વાસ લીધા. છેલ્લા કેટલાક અઠવાડિયાથી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલ મેનેજમેન્ટે આ માહિતી આપી છે.મનોજ કુમારના અંતિમ સંસ્કાર આવતીકાલે સવારે ૯ વાગ્યે પવન હંસ સ્મશાનગૃહ ખાતે કરવામાં આવશે.
મનોજ કુમારને ભારતીય સિનેમામાં તેમના યોગદાન બદલ ૧૯૯૨માં પદ્મશ્રી અને ૨૦૧૫માં દાદાસાહેબ ફાળકે એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. તેમની દેશભક્તિની ફિલ્મો ઉપરાંત, તેઓ ’હરિયાલી ઔર રાસ્તા’, ’હૂ હતી’, ’હિમાલય કી ગોડ મેં’, ’દો બદન’, ’પત્થર કે સનમ’, ’નીલ કમલ’ અને ’ક્રાંતિ’ જેવી ઘણી મહાન ફિલ્મોમાં અભિનય કરતા જોવા મળ્યા હતા.
મનોજ કુમાર માત્ર એક અભિનેતા અને દિગ્દર્શક જ નહોતા, પરંતુ તેમણે ફિલ્મ ઉદ્યોગમાં પટકથા લેખક, ગીતકાર અને સંપાદક તરીકે પણ પોતાની પ્રતિભા સાબિત કરી હતી. ભારતીય સિનેમામાં તેમના યોગદાન માટે તેમને હંમેશા યાદ રાખવામાં આવશે. તેમના નિધનથી બોલિવૂડમાં શોકનો માહોલ છે અને સ્ટાર્સ સતત પોતાનો શોક વ્યક્ત કરી રહ્યા છે. મનોજ કુમારના અંતિમ સંસ્કાર આવતીકાલે સવારે ૯ વાગ્યે પવન હંસ સ્મશાનગૃહ ખાતે કરવામાં આવશે.
ફિલ્મ ઉદ્યોગ અને તેમના ચાહકો આ પીઢ અભિનેતાના નિધન પર શોક વ્યક્ત કરી રહ્યા છે. ફિલ્મ નિર્માતા અશોક પંડિતે કહ્યું, ’મહાન દાદા સાહેબ ફાળકે પુરસ્કાર વિજેતા, આપણા પ્રેરણા અને ભારતીય ફિલ્મ ઉદ્યોગના ’સિંહ’ મનોજ કુમાર જી હવે રહ્યા નથી… આ ઉદ્યોગ માટે એક મોટું નુકસાન છે અને સમગ્ર ઉદ્યોગ તેમની ખોટ અનુભવશે.’ તેઓ લાંબા સમયથી બીમાર હતા, તેમણે કોકિલાબેન હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. અમને મનોજજીની યાદ આવશે, અમે તેમને ઘણી વાર મળતા હતા, તેઓ એક ખુશખુશાલ વ્યક્તિ હતા જે નવી ઉર્જાથી ભરેલા હતા. આખી ઇન્ડસ્ટ્રી તેમની ખોટ સાલશે. હવે ઇન્ડસ્ટ્રીમાં તેમના જેવો કોઈ અભિનેતા અને દિગ્દર્શક નથી.
આનંદ મહિન્દ્રાએ પણ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું અને પોતાની પોસ્ટમાં લખ્યું, ’મને એવું લાગે છે કે મેં મારા બાળપણનો એક મહત્વપૂર્ણ ભાગ ગુમાવ્યો છે.’ મારા પરિવારે મનોજ કુમારની એક પણ ફિલ્મ ચૂકી નથી. અને મને યાદ છે કે જ્યારે ફિલ્મ “પૂર્વ ઔર પશ્ચિમ” રિલીઝ થઈ હતી, ત્યારે ફિલ્મે જે દેશભક્તિની ભાવના જગાડી હતી તે અભૂતપૂર્વ હતી. મનોજ કુમાર એક અભિનેતાથી દરેક પરિવારના સભ્ય બન્યા. આજે હું પરિવારના એક સભ્યના અવસાન પર શોક વ્યક્ત કરું છું. ઓમ શાંતિ’
ટ્રેડ એક્સપર્ટ તરણ આદર્શે પણ મનોજને યાદ કર્યા અને લખ્યું, ’એક યુગનો અંત.. મનોજ કુમાર સાહેબનું અવસાન.. એક અભિનેતા, નિર્માતા અને દિગ્દર્શક તરીકે, તેઓ અસંખ્ય યાદગાર અને પ્રતિષ્ઠિત ફિલ્મોનો અભિન્ન ભાગ હતા.. ઓમ શાંતિ.’ મને મનોજ કુમાર સાહેબ સાથે ઘણી વાર વાત કરવાનો લહાવો મળ્યો, જે કિંમતી યાદો હું હંમેશા માટે સાચવી રાખીશ. દિગ્દર્શક મધુર ભંડારકરે પોતાની પોસ્ટમાં લખ્યું, ’મહાન અભિનેતા અને ફિલ્મ નિર્માતા મનોજ કુમાર સરના નિધનથી હું દુઃખી છું. મને ઘણી વખત તેમની સાથે વાતચીત કરવાનો લહાવો મળ્યો અને તેઓ ખરેખર ભારતીય સિનેમાના એક પ્રતિક હતા. તેમની વાર્તાઓ અને ફિલ્મોમાં તેમના ગીતોનું ફિલ્માંકન રાષ્ટ્રીય ગૌરવને પ્રેરિત કરે છે અને પેઢી દર પેઢી ગુંજતું રહેશે. તેમના પરિવારના સભ્યો અને ચાહકો પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના. ઓમ શાંતિ.