Chotila, તા.14
ચોટીલા-રાજકોટ નેશનલ હાઈવે પર સાંગાણી ગામ નજીક ગત મોડી રાત્રે એક કાળજું કંપાવનારો અકસ્માત સર્જાયો છે. રાજકોટ તરફથી ચોટીલા તરફ જઈ રહેલી ખાનગી ટ્રાવલ્સની બસ અને ડામર ભરેલા ટેન્કર વચ્ચે થયેલી અથડામણમાં 4 મુસાફરો જીવતા સળગી ગયા છે. હવે તેમની ઓળખ કરવા માટે DNA જ એક રસ્તો છે. જ્યારે અન્ય 10 મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ, મોડી રાત્રે આશરે 1ઃ30 વાગ્યાના સુમારે હાઈવે પર જઈ રહેલા ડામર ભરેલા ટેન્કરનું અચાનક ટાયર ફાટ્યું હતું. ટાયર ફાટવાને કારણે ટેન્કરની ગતિ ખોરવાઈ હતી અને પાછળથી પૂરઝડપે આવી રહેલી ખાનગી ટ્રાવેલ્સ તેની સાથે ધડાકાભેર અથડાઈ હતી.
ટેન્કરનું ટાયર ફૂટતા પાછળથી આવતી ટ્રાવેલ્સ ટેન્કર સાથે અથડાઈ હતી. અથડામણ એટલી ભીષણ હતી કે બસમાં તાત્કાલિક શોર્ટ સર્કિટ થયું હતું અને જોતજોતામાં આખી ટ્રાવેલ્સ આગની લપેટમાં આવી ગઈ હતી. ઊંઘમાં રહેલા મુસાફરોને બહાર નીકળવાની તક મળે તે પહેલા જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.
ઈજાગ્રસ્તોમાં (1) વિધિ પટોડીયા (18 વર્ષ), મેંદરડા, જુનાગઢ, (2) નરેન્દ્ર રાઠોડ ( 50 વર્ષ) લીમડી, સુરેન્દ્રનગર (3) નાગરાજ રાણા ( 30 વર્ષ) તાલાળા, ગીર સોમનાથનું પ્રથમ સારવાર ચોટીલા આપ્યા બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા છે
આ ઘટનામાં 4 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે, જ્યારે અકસ્માતમાં 10 લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી છે. લીંબડીના રહેવાસી નરેન્દ્રભાઈનો હાથ સળગી જવાથી તેમને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે.
ઘટનાની જાણ થતા જ સ્થાનિક વહીવટી તંત્ર અને ફાયર ફાઈટરની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. મૃતકોના મૃતદેહોને પીએમ અર્થે ચોટીલા રેફરલ હોસ્પિટલ ખાતે રાખવામાં આવ્યા છે. ઈજાગ્રસ્તોને રાજકોટ સિવિલ હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા છે. હાલ પોલીસ દ્વારા અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે
ડામર ભરેલા ટ્રક સાથે બસ અથડાઈ
ઘટના અંગે ચોટીલા SDM એચ.ટી. મકવાણાએ કહ્યું કે, મોડી રાત્રે દોઢ વાગ્યે ચોટીલા-રાજકોટ હાઇવે ઉપર સાંગાણી જે ગામ આવેલું છે ત્યાં પાટીયાની નજીક એક ખાનગી ટ્રાવેલ્સ અને ડામર લઈ જતું ડમ્પર વચ્ચે અકસ્માત થયેલો છે.
આ અકસ્માતની અંદર 4 લોકોના મૃત્યુ થયેલા છે અને જે ચારે ચાર લોકોને ચોટીલા રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવેલ છે. સાથે સાથે નાની-મોટી જે ઇજા થયેલી છે તેવા પણ 10 લોકોને 108 દ્વારા રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલા છે અને તમામની સારવાર ચાલુ છે.
બસ અમદાવાદથી રાજકોટ સાઈડ જતી હતી અને જે આગળ જે ડમ્પર જતું હતું જે ડામર ભરેલું હતું. ડમ્પરનું પ્રાથમિક દ્રષ્ટિએ ટાયર ફાટતાં, એ ટાયર સળગી ગયું હતું અને પાછળની સાઈડ આ ટ્રાવેલ્સમાં અથડાય એવી વિગત સામે આવેલ છે. 35થી 40 લોકોને બચાવી લેવામાં આવ્યા છે.”
4 માણસો ભડથું થઈ ગયા એ નીકળે શકે એમ જ ન હતા : પ્રત્યક્ષદર્શી
ઘટનાના પ્રત્યક્ષદર્શી અજય મેવાડાએ જણાવ્યું કે રાત્રે અંદાજિત દોઢ વાગ્યાની આસપાસ એક ટ્રક પંચર થયેલો પડેલો હતો. અને એની પાછળ મધુરમ કંપનીની ટ્રાવેલ્સ આવી અને કંટ્રોલ ન થતાં અથડાઇ હતી.
ભટકાઈ ગઈ એટલે બસમાં ધીરે ધીરે ધીરે ધીરે આગ લાગવા માંડી હતી. એટલે પછી ત્યાં બાજુમાં પેટ્રોલ પંપ છે મારે, ત્યાંથી હું ફાયરના બાટલા લાવ્યો પણ ડામર ટેન્કરમાં ભરેલો હતો એ ડામર ઢોળાતો હતો, એના કારણે આગ વધારે વધારે વધતી જતી હતી, એટલે કંટ્રોલ ન થઈ. બસમાં આગ વિકરાળ રૂપ લઈ લીધું જેમાં 4 માણસો ભડથું થઈ ગયા હતા, એ નીકળે એવી પોઝીશન જ ન હતી અને બાકીના માણસોને અમે બચાવી લીધા હતા.. અંદાજિત 20 થી 25 માણસોને કાચ પાઇપ અને ધોકા વડે કાચ તોડીને બચાવ્યા.
BSF જવાને પણ અનેકના જીવ બચાવ્યાં
લીમડી રહેતા કિરીટભાઈ રાઠોડે જણાવ્યું હતું કે, મારા મોટાભાઈ નરેન્દ્રભાઈ રાઠોડ જ્યારે રજા ઉપર આવે છે ત્યારે તાલાલા દર્શન કરવા માટે જાય જ છે. જેઓ દર્શન કરવા માટે રાત્રે નીકળ્યા હતા અને આ અકસ્માત સર્જાયો હતો. જેઓ અમદાવાદથી ગઈકાલે રાત્રે 8 વાગ્યા આસપાસ બસમાં નીકળ્યા હતા.
જોકે ઓવરટેક કરવા જતા ડમ્પર સાથે લક્ઝરી બસ અથડાઈ હતી. એ પોતે પડી ગયા અને દાઝી ગયા હતા. જેને અન્ય લોકોને પણ બસ માંથી બહાર કાઢી બચાવ્યા હતા. અકસ્માતને લીધે બસ આખી સળગી ગઈ હતી. મારા મોટાભાઈ અત્યારે આસામના મણીપુરમાં બીએસએફમાં ફરજ બજાવે છે અને હાલ રજા ઉપર છે.
વધુમાં જણાવ્યું હતું કે હાઈવે ઉપર અનેક જગ્યાએ બંધ પડેલા ટેન્કર હોય છે. જેની પાછળ રેડિયમ પટ્ટી લગાવેલી હોતી નથી અને તેને કારણે આ પ્રકારના ગંભીર અકસ્માતો થાય છે. જે બાબતે સરકારે ધ્યાન આપવું જોઈએ અને આ પ્રકારના ટેન્કર જો હાઈવે ઉપર પડ્યા હોય તો સાઈડમાં રાખવા જોઈએ કે જેથી કરીને આ પ્રકારની દુર્ઘટના ન થાય તેવું લોકો કહેતા હતા.
જીવ બચાવવા અનેક લોકોએ કુદકા માર્યા
જ્યારે દીપકભાઈ વોરાએ જણાવ્યું હતું કે, આ અમારા સગા થાય છે. રાત્રે 2 વાગ્યે બનાવ બન્યો હતો. અમારા સગા મારફત અમને આ અકસ્માતની જાણ થઈ. અમારા સગાનું કહેવું છે કે બંધ કન્ડિશનમાં ડામરનું ટેન્કર પડયું હતુ અને ઓવરટેક કરવામાં લક્ઝરી બસ અથડાઈ ગઈ હતી. જેને લીધે આગ લાગી ગઈ હતી.
અમારા સગા નરેન્દ્રભાઈ ડ્રાઇવરના પાછળના સોફામાં બેસીને મુસાફરી કરતા હતા. જોકે અકસ્માત થયો ત્યારે આ ભાઈએ બારીનો કાચ તોડી ત્યાંથી કૂદકો મારી પોતાનો જીવ બચાવી લીધો હતો પરંતુ અન્ય ઘણા હતા કે જેઓ લકઝરી બસમાં ફસાઈ ગયા હતા.
દરમિયાન સાઈડમાં એક ગાડી જતી હતી તે ભાઈએ ખૂબ મદદ કરી. બારીના કાચ તોડી અને મુસાફરોને બચાવ્યા. 4 વ્યક્તિઓ તો ગાડીમાં જ સળગીને મૃત્યુ પામ્યા હતા. જ્યારે અમુક લોકો કૂદીને નીચે પડ્યા હતા જેને કારણે તેઓને પણ ફ્રેકચર જેવી નાની મોટી ઈજાઓ પહોંચી હતી.
સળગતી બસમાંથી મુસાફરોને બહાર કાઢવા દોટ મુકી, બચાવ કાર્યમાં નાગરાજભાઈ પણ દાઝી ગયા
ડમ્પરમાં ડામર ભર્યો હતો. બસ સાથે ધડાકાભેર અકસ્માત થતા ડામર રોડ પર અને બસની ઉપર ઢોળાયો હતો. જેથી આગ લાગી ગઈ હતી. હાઈવે પર ચીચીયારી બોલી ગઈ હતી. આ વખતે અન્ય એક બસ લઈ ત્યાંથી પસાર થયેલ નાગરાજભાઈ બાવનભાઈ રાળા (ઉ.30, રહે. સાંગોદરા, તા.તાલાલા)એ સળગતી બસ જોઈ પોતાની બસ એક સાઈડ પાર્ક કરી રોડ પર દોટ મુકી હતી.
સળગતી બસમાંથી અનેક મુસાફરોને જીવતા બહાર કાઢયા હતા. જોકે રોડ પર ઢોળાયેલ ડામર અને બસમાં લાગેલી આગતી નાગરાજભાઈ પણ દાઝી ગયા હતા. તેમને રાજકોટ સિવિલમાં દાખલ કરાયા છે. નાગરાજભાઈ બસ ડ્રાઈવર છે. તેમણે બહાદુરી બતાવી અનેક મુસાફરના જીવ બચાવી લીધા હતા.
બીસીએની છાત્રા માસીના ઘરેથી પરત આવતી હતી
અમદાવાદ હાઈવે પર ચોટીલા પાસેના ડમ્પર બસના અકસ્માતમાં સ્લીપર કોચ બસમાં નીચેની બાજુએ સોફા પર સુતેલી મેંદરડાની વિધિ પ્રવિણભાઈ પટોળીયા (ઉ.વ.18) સુતી હતી. અકસ્માત થતા ધડાકાનો અવાજ આવતા તે જાગી ગઈ હતી. કોઈ પણ રીતે તે બસની બહાર નીકળી ગઈ હતી. જોકે, ડામર ઉડવાથી અને ભડકો થવાથી વિધિ અમુક અંશે દાઝી ગઈ હતી. તેને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. વિધિ બીસીએનો અભ્યાસ કરે છે. તે અમદાવાદ ખાતે પોતાના માસીના ઘરે ગઈ હતી. જયાંથી પરત પોતાના ઘરે મેંદરડા જતી હતી.
ઈજાગ્રસ્તોને રાજકોટ ખસેડાયા
ચોટીલાના સાંગાણી ગામ પાસે ગઈકાલે રાત્રે દોઢ વાગ્યા આસપાસ સ્લીપર કોચ બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં કેટલાક ઈજાગ્રસ્તોને રાજકોટ ખસેડાયા હતા. જેમાં વિધિ પ્રવિણભાઈ પટોડીયા (ઉ.વ.18, રહે.મેંદરડા, તા.જી. જુનાગઢ, નાગરાજભાઈ બાવનભાઈ રાળા (ઉ.વ.30) (રહે. સાંગોદરા, તાલાલા), નરેન્દ્રભાઈ બેચરભાઈ રાઠોડ (ઉ.વ.50, રહે. લીંબડી)ને ઈજા થતા દાઝી જતા ચોટીલાની હોસ્પિટલમાં સારવાર અપાયા બાદ રાજકોટ સિવિલમાં દાખલ કરાયા હતા.

