૨ વર્ષની જેલ અને ૧ લાખના દંડની જોગવાઈ અંગે અપાઈ સમજ: અભયમ ૧૮૧, ચાઇલ્ડ હેલ્પલાઇન અને પાણશીણા પોલીસના સંયુક્ત સહયોગથી જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા ત્વરિત કાર્યવાહી
Surendranagar તા.૧૧ઃ
સુરેન્દ્રનગર જિલ્લામાં બાળલગ્ન જેવી સામાજિક બદીને ડામવા માટે જિલ્લા વહીવટી તંત્ર સદાય કટિબદ્ધ રહ્યું છે. તાજેતરમાં લીંબડી તાલુકાના દેવપુરા ગામે એક સગીરાના બાળલગ્ન થવાના હોવાની ચોક્કસ બાતમી મળતા જ તંત્ર હરકતમાં આવ્યું હતું. જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી કચેરીના ચીફ ઓફિસરશ્રી ચિંતન એન. પટેલ દ્વારા મળેલી અરજી અન્વયે ટીમ દ્વારા તાકીદે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, દેવપુરા ગામની સગીરાના લગ્ન ધોળકા તાલુકાના સરગવાળા ગામના યુવક સાથે યોજાવાના હતા, જેને કાયદેસર રીતે અટકાવવામાં આવ્યા છે.
આ સફળ કામગીરી અભયમ ૧૮૧, ચાઇલ્ડ હેલ્પલાઇન અને પાણશીણા પોલીસના સંયુક્ત સહયોગથી પાર પાડવામાં આવી હતી. અધિકારીઓ દ્વારા સ્થળ પર જઈ બંને પક્ષોને ’બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ-૨૦૦૬’ ની કડક જોગવાઈઓથી માહિતગાર કરવામાં આવ્યા હતા. આ કાયદા મુજબ, બાળલગ્ન કરાવવા અથવા તેમાં સહભાગી થવા બદલ ૨ વર્ષની જેલની સજા અને રૂ. ૧ લાખ સુધીના દંડની જોગવાઈ હોવાની ગંભીરતા સમજાવવામાં આવી હતી. તંત્રના સમજાવટભર્યા પ્રયાસોને અંતે વાલીઓએ પોતાની ભૂલ સ્વીકારી હતી અને દીકરીના પુખ્ત વય થયા બાદ જ લગ્ન કરવાની ખાતરી આપી હતી.
બાળલગ્નથી સમાજમાં થતી વિપરીત અસરો અંગે જાગૃતિ લાવવી ખૂબ જ જરૂરી છે. નાની ઉંમરે લગ્ન કરવાથી દીકરી પર સામાજિક અને આર્થિક જવાબદારીઓનું ભારણ અકાળે વધી જાય છે. આ ઉપરાંત, કુમળી વયે થતા લગ્ન દીકરા-દીકરી બંનેના શારીરિક અને માનસિક આરોગ્ય પર ગંભીર નકારાત્મક અસરો પાડે છે, જે તેમના ઉજ્જવળ ભવિષ્યમાં અવરોધક બને છે.

