New Delhi,તા.04
નીટ પેપર લીકના મુદે છેડાયેલા જંતર મંતર પરના જેન-ઝી આંદોલન બાદ હવે રાજકીય પક્ષો ખાસ કરીને ભાજપને 2029 અને તે પુર્વે આવનારી ધારાસભા ચુંટણીમાં જેન-ઝીનો પ્રભાવ ચિંતા કરાવવા લાગ્યા છે અને ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઈન્સ્ટાગ્રામ પર સક્રીય બની ગયા છે અને કેન્દ્રીય મંત્રીઓને પણ રિલ બનાવવા માટે સલાહ આપી છે.
તો હવે આરએસએસના વડા મોહન ભાગવત પણ ચુંટણી પુર્વે જેન-ઝીને મનાવવા મેદાનમાં આવ્યા છે અને શ્રી ભાગવત તા.6 ઓગષ્ટના દેશના 100થી વધુ શહેરોમાં જેન-ઝીને તથા જેન-અલ્ફા સાથે સેવા વર્ચ્યુઅલ કરશે. આ કાર્યક્રમ મુંબઈમાં અંબાણી સેન્ટરમાં યોજાશે. આ માટે સંઘે ઈન્ડીયાઝ ઈન્ટરનેશનલ મુવમેન્ટ ટુ યુનાઈટેડ નેશન્સની 15મી વર્ષગાંઠને પસંદ કરી છે.
આ કાર્યક્રમમાં ભાગવત દેશના 100 શહેરોમાં વિડીયો કોન્ફરન્સથી જોડાઈને તા.6 ઓગષ્ટે સંવાદ કરશે. આ મંચની સ્થાપના 2011માં થઈ હતી અને સંઘના જણાવ્યા મુજબ તેનું સંચાલન યુવા જ કરે છે. આ આયોજનમાં 15થી19 વર્ષના જેન-ઝીનો સમાવેશ કરાયો છે.
અગાઉ જંતર મંતર આંદોલન સમયે જ મોહન ભાગવતે યુવાઓ સાથે સંવાદ કરવા સરકારને સલાહ આપી હતી જેના કલાકોમાં કેન્દ્ર સરકારે જંતર મંતર પરના આંદોલનકારીઓ સાથે વાતચીત શરૂ કરી હતી.
શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું પણ લેવાની ફરજ પડી હતી. શ્રી ભાગવતે નવી પેઢીના મન કી બાતની આવશ્યકતા દર્શાવી હતી. તેઓએ એ પણ મંતવ્ય દર્શાવ્યું કે પરિવર્તન એ સ્વાભાવિક પ્રક્રિયા છે અને તેથી તેને સ્વીકારવો જોઈએ તેનો વિરોધ કરવો એ યોગ્ય નથી.એક તરફ સમયનો તકાજો પારખી આરએસએસ વડા મોહન ભાગવત જેન-ઝી સાથે ખુદ સીધો સંવાદ કરવા જઈ રહ્યા છે તો સંઘના સહ સરકાર્યવાહ અતુલ લિમયે એ દિલ્હીમાં જંતરમંતર પરના કોકરોચ જનતા પાર્ટીના આંદોલનને દેશ વિરોધી ગણાવી દીધુ છે અને આ આંદોલન દેશના બંધારણ વિરોધી ગણાવ્યુ છે.
તેઓએ છત્રપતિ સંભાજીનગરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના એક કાર્યક્રમમાં ચોકાવનારા વિધાનો કર્યા હતા. તેઓએ જણાવ્યું કે વિદ્યાર્થીઓએ એક કેસ સ્ટડી તરીકે આ કાર્યક્રમને જોવો જોઈએ. તેઓએ આંદોલનને બંધારણ વિરુદ્ધ દેશ વિરોધી બતાવ્યું તથા રાઈટ વિંગ- જમણેરી વિચારધારા ધરાવતા વિદ્યાર્થીઓએ પણ વિરોધના પ્રકાર, સમર્થન તંત્ર તથા વૈચારિક આધાર પર તેનો અભ્યાસ કરવો જોઈએ.
તેઓએ જણાવ્યું કે, પેપર લીક સામે વિદ્યાર્થીઓની નારાજગી યોગ્ય હતી પણ બાદમાં આંદોલને રાજકીય સ્વરૂપ લઈ લીધુ હતું તેના માધ્યમથી ડાબેરી પક્ષો વૈકલ્પિક રાજકારણની રણનીતિની ચકાસણી કરતા હતા.
તેઓએ દાવો કર્યો કે આંદોલન ખોટા હાથોમાં ચાલ્યુ ગયુ છે. અભિજીત દીપકે ને ભારતમાં આવતા મર્યાદીત સમર્થન હતુ પણ બાદમાં અચાનક જ વધી ગયું તથા અચાનક જ આંદોલનનું સ્વરૂપ બદલાઈ ગયુ હતું.

