Surendranagar,તા.૬
સુરેન્દ્રનગર શહેરના રતનપર વિસ્તારમાં પોલીસ કર્મચારી સંજયસિંહ રાઠોડના ઘરમાં ચાલી રહેલા ગેરકાયદેસર શેર બજારના ડીલિંગ નેટવર્ક મુદ્દે હવે તપાસ શરૂ કરવામાં આવી છે. સુરેન્દ્રનગર પોલીસ પાસેથી તપાસ આંચકી લઈ અને હવે જેતપુર પોલીસને આ તપાસ સોંપવામાં આવી છે. પ્રાથમિક તપાસ કરવામાં આવતા ૧૦ લેપટોપમાંથી ૧૦૦ કરોડથી વધુના લેતીદેતીના હિસાબો મળી આવ્યા છે. જેમાં એક લેપટોપમાંથી જ સરેરાશ ૧૦ કરોડથી વધુનું ડીલીંગ થયું હોવાનું સામે આવ્યું છે.
મુંબઈ, હૈદરાબાદ, ચેન્નઈ સહિતના રાજ્યોમાંથી બ્રોકરોનો સંપર્ક કરવામાં આવતો હતો અને ત્યારબાદ મોબાઈલ ફોન આધારિત તેમનો કોન્ટેક કરી અને ગેરકાયદેસર રીતે શેર બજાર ડીલિંગ નેટવર્ક ઊભું કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.
જોકે આ મુદ્દે હવે પ્રાથમિક તપાસ જેતપુર પોલીસને સોંપવામાં આવતા જેતપુર પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અલગ અલગ ૧૦ જેટલા લેપટોપ ૨૯ મોબાઈલ ૦૪ પેન ડ્રાઈવ ૫૦થી વધુ સીમકાર્ડ ૨૭ જેટલી ડાયરી અંગે ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જેમાં હાર જીતની રકમ સુરેન્દ્રનગરના આંગડિયા પેઢીઓમાં આવતી હોવાનું સામે આવ્યું છે. ત્યારે હવે આંગડિયા પેઢી ઉપર પણ ટૂંક સમયમાં કાર્યવાહીના એંધાણ વરતાઈ રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા અત્યાર સુધીમાં આંગડિયા પેઢીના લેતીદેતીના હિસાબો ચેક કરવામાં નથી આવ્યા અને રોજનું કરોડો રૂપિયાનું ટર્નઓવર આંગડિયા પેઢીમાં થઈ રહ્યું છે. જેમાં બેનામી વ્યવહારો પણ ઝડપાવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ અંગે પણ હવે વધુ તપાસ શરૂ કરાઇ છે.
છેલ્લા ત્રણ વર્ષથી આ શેર બજારનું ગેરકાયદેસર ટ્રેડિંગ કરવામાં આવતું હતું. હાર-જીતનો જુગાર પણ ચાલી રહ્યો હતો. કોલ સેન્ટર ઊભું કરવામાં આવી રહ્યું હતું. તે છતાં પણ સુરેન્દ્રનગર પોલીસ દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવી ન હતી. પ્રથમ તબક્કામાં સંજયસિંહ રાઠોડને સસ્પેન્ડ કરાયા છે. તેના ઘર ઉપર પણ હવે તપાસ ચાલી રહી છે. ત્યારે લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ સામે પણ હવે ટૂંક સમયમાં કાર્યવાહી થાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. ૧૦૦ કરોડથી વધુના બેનામી વ્યવહારો મળી આવ્યા છે આ દિશા માં પણ તપાસ શરૂ છે.
આગળ શું કાર્યવાહી થઈ શકે?
આ સમગ્ર તપાસ ઉપર હવે ગુજરાતભરની ટોચ કક્ષાની એજન્સીઓની નજર છે. ત્યારે આ અંગે હવે ટૂંક સમયમાં નીચે મુજબની એજન્સીઓ તપાસમાં ઝંપલાવી શકે છે
ટૂંક સમયમાં હવે ઇડી દ્વારા આ અંગે વધુ તપાસમાં જંપલાવી અને જે બેનામી આર્થિક લેતી દેતીના હિસાબો છે તે અંગે તપાસ હાથ ધરવામાં આવી શકે છે અને ગુજરાતભરના મોટા માથાઓ પણ આ રેકેટમાં સામેલ હોવાની શંકા છે.
ટૂંક સમયમાં સંજયસિંહ રાઠોડ સામે એસીબીમાં પણ ગુનો દાખલ થઈ શકે છે. જેમાં આવક કરતા વધુ સંપત્તિનો ગુનો દાખલ કરી અને એસીબી એજન્સી પણ આ અંગે વધુ તપાસ હાથ ધરી શકે તેવી શક્યતા છે.
સુરેન્દ્રનગરની આંગડિયા પેઢીમાં ૧૦૦ કરોડના લેતીદેતીના હિસાબો મુદ્દે પણ આંગડિયા પેઢીઓ ઉપર પણ દરોડા પડવાની પૂરી શક્યતા છે. ગેરકાયદેસર આર્થિક લેવડદેવડના હિસાબો માટે આંગડિયા પેઢીનો ઉપયોગ કરાતા હોવાનું તપાસમાં ખુલ્યું છે.
શેર એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા દ્વારા પણ આ અંગે ટૂંક સમયમાં પોલીસ ફરિયાદ દાખલ કરી અને તેમના નિયમ અનુસાર પણ કાર્યવાહી કરવામાં આવશે.ડબ્બા ટ્રેડિંગ કૌભાંડ મુદ્દે લેપટોપ અને મોબાઈલ ફોનમાં ઇન્ટરનેશનલ લોકો સાથેના સંપર્ક પણ ખોલવાની પૂરી શક્યતા છે. ત્યારે આ આધારે પણ તપાસ ચાલી રહી છે.

