Kolkata, તા.3
પશ્ચિમ બંગાળના રાજકારણમાં ભારે રસાકસી જામી છે. લોકસભા કે વિધાનસભા ચૂંટણી બાદ પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનરજીએ સત્તાધારી પાર્ટી તરફ એક મોટો `બાઉન્સર’ નાખતા વળતો પ્રહાર મળ્યો છે.
તેઓ તેમના ભત્રીજા અભિષેક બેનરજી પર થયેલા હુમલા અને હિંસાના વિરોધમાં કોલકાતામાં રસ્તા પર ધરણા પર બેસી ગયા હતા.મમતા બેનરજીના આ આંદોલન આક્રમણ સામે નવા મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ પણ મોટો વળતો પ્રહાર કરતા સીધી ‘સિક્સર’ જ ફટકારી દીધી હતી.
મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે કે, બુધવારથી જ રાજ્યના લાયક નાગરિકોના બેંક ખાતામાં ‘અન્નપૂર્ણા યોજના’ના પૈસા સીધા ટ્રાન્સફર કરી દેવાશે. મમતાના વિરોધ પ્રદર્શન વચ્ચે જનતાને સીધો આર્થિક ફાયદો કરાવીને સુવેન્દુ સરકારે બંગાળમાં મોટો રાજકીય ‘ખેલા’ શરૂ કરી દીધો છે.
હુગલીથી આ મોટી યોજનાની જાહેરાત કરતી વખતે મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ મમતા બેનરજીની કોર વોટ બેંક ગણાતા ઘૂસણખોરો પર આકરા પ્રહારો કર્યા હતા.તેમણે કડક ચેતવણી આપી છે કે, દેશના કાયદાનું ઉલ્લંઘન કરનારા, સરકારી રસી ન લેનારા કે બાળકોને સામાન્ય શાળામાં ન મોકલનારા ઘૂસણખોરોને આ યોજનાનો એક પણ રૂપિયો નહીં મળે.
આ સાથે જ તેમણે બંગાળની દરેક શાળામાં ‘વંદે માતરમ’ અને ‘જન ગણ મન’ ફરજિયાત કરવાની જાહેરાત કરીને સ્પષ્ટ કહ્યું છે કે, દેશમાં રહેવું હોય તો રાષ્ટ્રીય પ્રતીકો અને દેશના કાયદાનું સન્માન કરવું જ પડશે.

