(નયના દવે દ્વારા)
Jamnagar તા.૧૦ઃ
Jamnagar શહેરમાં એક પરિણીત મહિલાએ પોતાના પતિ, સાસુ, સસરા તેમજ અન્ય બે સાસરીયાઓ સામે શારીરિક અને માનસિક ત્રાસ, ગાળાગાળી તથા જાનથી મારી નાખવાની ધમકી આપવાના આક્ષેપો સાથે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ, Jamnagarના કાલાવડ નાકા બહાર વિસ્તારમાં રહેતી અને ખાનગી શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી ઉઝમાબાનુ એ પોતાના પતિ તોશીફભાઈ હુસેનભાઈ બ્લોચ, સાસુ રોશનબેન, સસરા હુસેનભાઈ બ્લોચ, મામાજી સસરા મહમદ હુસેનભાઈ બ્લોચ અને મામીજી સાસુ સમીમબેન સામે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદીના જણાવ્યા અનુસાર જાન્યુઆરી-૨૦૨૪માં નિકાહ થયા બાદ શરૂઆતના થોડા સમય પછીથી પતિ અને સાસરીયાઓ દ્વારા નાની-નાની બાબતોમાં ઝઘડા, ગાળાગાળી, મેણાટોણા તેમજ માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. ફરિયાદમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે પતિએ તેમના નામે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કર્યો હતો અને તેની બાકી રકમ ફરિયાદીએ ચૂકવવી પડી હતી.મહિલાએ વધુમાં જણાવ્યું છે કે ગર્ભાવસ્થા દરમિયાન યોગ્ય સારસંભાળ રાખવામાં આવી નહોતી અને ગર્ભપાત થયા બાદ પણ પતિ દ્વારા અપમાનજનક વર્તન કરવામાં આવ્યું હતું. ઉપરાંત તલાકની ધમકીઓ આપી પાંચ લાખ રૂપિયા માંગ્યાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.
ફરિયાદ મુજબ, બાદમાં પતિએ માવતરના ઘરે પહોંચી ઝઘડો કર્યો હતો અને સાસરીયાઓએ ઘરનો સામાન બહાર ફેંકી દેતા મહિલાને ઘરેથી કાઢી મૂકવામાં આવી હતી. ત્યારબાદ તા. ૧૯ મે, ૨૦૨૬ના રોજ નુરી ચોકડી નજીક પતિએ જાહેર માર્ગ પર રોકી ઝઘડો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ઘટનાના પગલે મહિલાએ ૧૧૨ ઇમરજન્સી સેવા બોલાવી હતી તેમજ મહિલા પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરી હતી.
સમાધાન ન થતા અંતે મહિલાએ ઉચ્ચ પોલીસ અધિકારીઓને અરજી કર્યા બાદ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૮૫, ૩૫૨, ૩૫૧(૨) અને ૫૪ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

