(નયના દવે દ્વારા)
Jamnagar તા.૧૦
જામનગરના મહાવીરનગર વિસ્તારમાં આવેલા વૃંદાવન રેસીડેન્સીના પાર્કિંગમાં પાંચ શખ્સો દારૂના નશામાં ગાળો બોલી અંદરોઅંદર ઝઘડો કરતા હોવાની જાણ થતાં ૧૧૨ જનરક્ષક ટીમે સ્થળ પર પહોંચી પાંચેયને ઝડપી લીધા હતા. પોલીસ તપાસમાં પાંચેય શખ્સો નશાની હાલતમાં હોવાનું જણાયું હતું અને તેમની પાસે દારૂ પીવાની કોઈ પાસ-પરમીટ ન હોવાનું સામે આવતાં પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.
આ અંગે મહાવીરનગર વિસ્તારમાં રહેતા ધીરેનભાઈ વિનોદભાઈ સોલંકીએ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, તેઓ બપોરના સમયે પોતાના મકાને હતા ત્યારે બિલ્ડિંગના પાર્કિંગમાં પાંચ અજાણ્યા શખ્સો દારૂ પીધેલી હાલતમાં ગાળો બોલી અંદરોઅંદર બોલાચાલી અને ઝઘડો કરતા હતા. જેથી તેમણે બપોરે આશરે ૨ વાગ્યે ૧૧૨ નંબર પર ફોન કરતાં જનરક્ષક ટીમ સ્થળ પર પહોંચી હતી.
પોલીસે પાંચેય શખ્સોને કબજામાં લઈ પૂછપરછ કરતાં તેમની ઓળખ આસીફભાઈ ભીખુભાઈ ઊડેજા (ઉ.વ.૩૬), સવજીભાઈ ડાયાભાઈ પાટલીયા (ઉ.વ.૪૫), સુનીલભાઈ નવીનભાઈ વાણીયા (ઉ.વ.૩૦), રવી નાથાભાઈ ચૌહાણ (ઉ.વ.૩૦) અને ક્રિષ્ના પ્રકાશભાઈ વાણીયા (ઉ.વ.૧૮) તરીકે થઈ હતી. પોલીસે પંચોની હાજરીમાં તપાસ કરતાં પાંચેયની આંખો નશાથી ઘેરાયેલી જણાઈ હતી અને શરીરનું સંતુલન જાળવી શકતા ન હોવાનું પણ નોંધાયું હતું.
પોલીસે પાંચેયને કેફી પીણું પી જાહેરમાં નીકળવા અંગે પાસ-પરમીટ રજૂ કરવા જણાવતાં કોઈ પરમીટ ન હોવાનું જણાવ્યું હતું. જેથી પાંચેય શખ્સો સામે પ્રોહિબિશન એક્ટની કલમ ૬૬(૧)(બી) અને ૮૫(૧) મુજબ ગુનો નોંધી ધોરણસર કાર્યવાહી કરવામાં આવી હતી.

