તંત્રની રહેમનજર હેઠળ પડદા પાછળ બીજો માળ ખડકાયો, સ્ટે. ચેરમેનનું તપાસનું રટણ
Rajkot તા.૧૭
રાજકોટ શહેરમાં કાયદો માત્ર સામાન્ય પ્રજા માટે હોય તેવું લાગી રહ્યું છે. આમ આદમી સામે કાયદાનો કોરડો વીંઝતું તંત્ર રાજકીય વગ ધરાવતા નેતાઓ સામે સાવ નતમસ્તક થઈ જાય છે, તેનો જીવતો-જાગતો પુરાવો સામે આવ્યો છે. જેમાં પૂર્વ મેયર નયનાબેન પેઢડિયાનું ગેરકાયદેસર બાંધકામ નોટિસ છતાં યથાવત છે. ત્રણેક મહિના અગાઉ નોટિસ આપવામાં આવી હોવા છતાં આ બાંધકામ યથાવત રહ્યું છે. અને તંત્રની રહેમનજર હેઠળ પડદા પાછળ આખો બીજો માળ ખડકી દેવાયો છે. જો કે આ બાબત પોતાના ધ્યાનમાં ન હોવાનું અને આ અંગે તપાસ કરી પગલાં લેવામાં આવનાર હોવાનું સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન પરેશ પીપળીયાએ જણાવ્યું છે.
પ્રાપ્ત વિગત મુજબ શહેરના સામાકાંઠા વિસ્તારમાં પૂર્વ મેયર નયનાબેન પેઢડીયા દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવતું હોવાનું ત્રણેક મહિના અગાઉ જ સામે આવ્યું હતું. જે-તે સમયે મામલો મીડિયામાં આવતા જ આ બાંધકામને નોટિસ આપી અટકાવી દેવામાં આવ્યું હતું. જોકે મહાનગરપાલિકા દ્વારા કાયદેસરની નોટિસ ફટકારવામાં આવી હોવા છતાં, પૂર્વ મેયરના આ સ્થળ પર બાંધકામ થોડા દિવસ બાદ ફરી શરૂ કરી દેવામાં આવ્યું હતું.
આ ગેરકાયદેસર બાંધકામ મીડિયા કે જનતાની નજરે ચડે નહીં તે માટે બાંધકામની આગળ મોટા-મોટા પડદા લગાવી દેવામાં આવ્યા છે. જેની આડમાં રાત-દિવસ કામ ચાલુ રાખીને કાયદાની મજાક ઉડાવવામાં આવી રહી છે. હાલ આ સ્થળ પર દુકાનોના શટર પણ ફીટ કરી દેવાયા છે અને તેની ઉપર આખેઆખો બીજો માળ ખડકી દેવામાં આવ્યો છે. જ્યારે કોર્પોરેશને સૌપ્રથમ આ ગેરકાયદેસર બાંધકામ અંગે નોટિસ આપી ત્યારે અહીં માત્ર એક જ માળનું બાંધકામ હતું, પરંતુ સત્તાના જોરે નોટિસને ઘોળીને પી જઈને અત્યારે બીજા માળનું બાંધકામ પણ લગભગ પૂરું કરી દેવામાં આવ્યું છે.

એક તરફ ચોમાસાની ઋતુ હોવા છતાં હિંગળાજનગર જેવા વિસ્તારોમાં ગરીબ અને સામાન્ય વર્ગના લોકોના કાચા-પાકા મકાનો અને રોડ પરના દબાણો તોડી પાડવા માત્ર ૨૦-૨૦ દિવસની ટૂંકી નોટિસ અપાય છે, બીજી તરફ પૂર્વ મેયરના આ બહુમાળી ગેરકાયદેસર બાંધકામને વહેલી તકે તોડવાને બદલે તેને પૂર્ણ થવાની પૂરેપૂરી તક આપવામાં આવી રહી છે. તંત્રની આ બેવડી નીતિને કારણે લોકોમાં કાયદો માત્ર સામાન્ય પ્રજા માટે હોવાની ચર્ચાઓ ઉઠી રહી છે.
આ ગંભીર મામલે રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પીપળીયાએ બચાવ મુદ્રામાં આવતા જણાવ્યું હતું કે, આ વિષય અત્યાર સુધી મારા ધ્યાનમાં આવ્યો નહોતો. અને મીડિયાના માધ્યમથી જ મને આ સમગ્ર ઘટનાની જાણ થઈ છે. ભૂતકાળમાં જ્યારે આ બાંધકામનો વિવાદ સામે આવ્યો હતો ત્યારે જે-તે સમયે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે બાંધકામ અટકાવી દેવાની કડક સૂચના આપવામાં આવી હતી. પરંતુ જો નોટિસ આપ્યા પછી પણ પડદા બાંધીને બાંધકામ સતત ચાલુ રખાયું હોય અને બીજો માળ પણ બની ગયો હોય, તો આ બાબત ખરેખર ગંભીર છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, હું તાત્કાલિક અસરથી ટીપી શાખાના અધિકારીઓ સાથે બેઠક યોજીને બાંધકામની સંપૂર્ણ વિગતો અને અત્યાર સુધી થયેલી તપાસનો અહેવાલ મગાવીશ. અને નિયમ મુજબ કાર્યવાહી પણ કરવામાં આવશે. રાજકીય ઓથ ધરાવતા કોઈ વ્યક્તિને કાયદામાંથી કોઈ વિશેષ મુક્તિ કે છૂટછાટ આપવામાં આવતી નથી. અને હિંગળાજનગરના કિસ્સામાં પણ ચોમાસાને ધ્યાનમાં રાખીને હાલ પૂરતી તે કામગીરી સ્થગિત રાખવાની સૂચના અપાઈ છે. પૂર્વ મેયરના આ કેસમાં ટીપી શાખા દ્વારા અત્યાર સુધીમાં વહીવટી સ્તરે શું પગલાં લેવાયા છે અને આ આખી ફાઈલ કયા સ્ટેજ પર અટકેલી છે, તેની તટસ્થ અને ઘનિષ્ઠ તપાસ કરાવીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

