Gandhinagar,તા.૩
ગાંધીનગર શહેર અને આસપાસના વિસ્તારમાં જમીનો તથા મકાનોના ભાવ આસમાને પહોંચતાં લોકોના ઈરાદા ખરાબ થઈ રહ્યા છે. મફતમાં પચાવી પાડવાની દાનત પણ જોવા મળી રહી છે. ત્યારે સુઘડ ગામની સીમમાં આવેલો બંગલો વેચાણ આપવાના બહાને અમદાવાદના એક યુવક અને તેની પત્ની પાસેથી ?૫૭.૫૦ લાખ પડાવી લઈને છેતરપિંડી આચરવામાં આવી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. મકાનનો દસ્તાવેજ કરી આપ્યો નહીં અને નાણાં પરત માગતાં ધાક-ધમકીઓ આપનારા શાહીબાગના દંપતી સામે ગુનો નોંધાયો છે.
મળતી વિગતો અનુસાર, અમદાવાદના નારણપુરા વિસ્તારમાં રહેતા અને હરિયાણાની ખાનગી કંપનીમાં નોકરી કરતા હાર્દિક મોહનભાઈ પરીખ પોતાના પરિવાર માટે ગાંધીનગરમાં મકાન શોધી રહ્યા હતા. ભાટ સર્કલ પાસેના એક જાહેરાત બોર્ડ પરથી તેમનો સંપર્ક શાહીબાગના સત્યમ એપાર્ટમેન્ટમાં રહેતા યશવંત બંશીલાલ ઈનાણી સાથે થયો હતો. યશવંત ઈનાણીએ સુઘડમાં આવેલી સંસ્કાર વાટિકા સોસાયટીમાં આવેલો પોતાનો બંગલો ફર્નિચર સાથે ૨.૩૦ કરોડમાં વેચવાનું નક્કી કર્યું હતું.
મકાન પસંદ આવતાં હાર્દિકભાઈએ ટોકન અને બાના પેટે બેંક ખાતામાંથી તેમજ રોકડ સ્વરૂપે રકમો ચૂકવવાનું શરૂ કર્યું હતું. યશવંત ઈનાણી અને તેની પત્ની રીનાબેન ઈનાણીએ તમામ રકમ પોતાના ખાતામાં ન લઈ શકાય તેમ કહીને પોતાના સગા-સંબંધીઓ, બિલ્ડર તથા પરિચિતોના ખાતામાં આરટીજીએસ અને આઇએમપીએસ મારફતે પૈસા ટ્રાન્સફર કરાવ્યા હતા. હાર્દિકભાઈએ પોતાની પર્સનલ લોન લઈને, સંબંધીઓ પાસેથી ઉછીના નાણાં મેળવીને તથા પત્નીના દાગીના ગીરવે મૂકીને તબક્કાવાર ૫૭.૫૦ લાખ જેટલી મોટી રકમ ચૂકવી આપી હતી.
જોકે, રકમ મેળવ્યા બાદ પણ સબ-રજિસ્ટ્રાર કચેરીએ દસ્તાવેજ કરવા માટે એપોઈન્ટમેન્ટ લીધા છતાં દંપતી બહાના બતાવી હાજર રહ્યા ન હતા. પાછળથી રૂપિયા પરત માગતાં હાથ-પગ ભાંગી નાખવાની અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી હતી. આ મામલે હાર્દિકભાઈની ફરિયાદના આધારે ઈન્ફોસિટી પોલીસ દ્વારા દંપતી સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

