એવં પરમ્પરાપ્રાપ્તમિમં રાજર્ષયો વિદુઃ
સ કાલેનેહ મહતા યોગો નષ્ટઃ પરન્તપ
(પરન્તપ-હે પરંતપ, એવમ્-આમ, પરમ્પરાપ્રાપ્તમ્-પરંપરાથી પ્રાપ્ત, ઇમમ્-આ યોગને, રાજર્ષયઃ-રાજર્ષિઓએ, વિદુઃ-જાણ્યો પરંતુ, મહતા-ઘણો, કાલેન-સમય વિતી જવાથી, સઃ-તે, યોગઃ-યોગ, ઇહ-આ પૃથ્વીલોકમાં, નષ્ટઃ-લુપ્તપ્રાય થઇ ગયો)
હે પરંતપ ! આમ પરંપરાથી પ્રાપ્ત આ યોગને રાજર્ષિઓએ જાણ્યો પરંતુ ઘણો સમય વિતી જવાથી તે યોગ આ પૃથ્વીલોકમાં લુપ્તપ્રાય થઇ ગયો.(૪/૨)
પરંતપ એટલે શત્રુને તપાવનારો.રાજાનાં બે મુખ્ય લક્ષણો છેઃમિત્રોનું રંજન કરનારો એટલે કે જે મિત્રો હોય તેને ન્યાલ કરી દેનારો,જેથી તેના મિત્ર થવા લોકો પડાપડી કરે.લુખ્ખાનો કોઇ મિત્ર ના થાય. જ્યારે તમારી પાસે શક્તિસામર્થ્ય આવે ત્યારે પ્રથમ કાર્ય સંવાહક મિત્રોની કદર કરી તેમને રાજી રાખવાનું થઇ જાય છે.જે આવું કરતો રહે છે તેના મિત્રો વધતા રહે છે અને જે આવું કરતો નથી તેના મિત્રો તેને છોડી દે છે,આ રાજકારણ છે,આ તો એક ગુણ થયો.રાજાનો બીજો ગુણગુણ શત્રુને બાળતા રહેવાનો છે,જેથી કોઇ શત્રુ થવાનું સાહસ ના કરે.જો શત્રુતા થશે તો ભારે પડી જશે એવો ભય લાગવો જોઇએ અને જે શત્રુ થઇ ચુક્યા હોય તે ફફડતા રહેવા જોઇએ,આ બે ગુણ ના હોય તે રાજા ન થઇ શકે.
આ જે પરંપરા કહી તે પરંપરાથી આગળ વધતો વધતો આ યોગ ઘણા રાજાઓ સુધી પહોચ્યો. રાજાઓ માટે અહી રાજર્ષિ શબ્દ વપરાયો છે.બધા રાજાઓ રાજર્ષિ નથી હોતા.રાજા હોવા છતાં પણ જે ઋષિ જેવું આચરણ કરે તેને રાજર્ષિ કહેવાય છે.પેલા વનના ઋષિ છે,આ રાજમહેલનો ઋષિ છે.વનના ઋષિ થવા છતાં રાજમહેલના ઋષિ થવું ઘણું અઘરૂં કામ છે પણ આ શક્ય બન્યું હતું.આ રાજર્ષિઓ ગૃહત્યાગી કે પત્ની ત્યાગી થયા નહોતા,છતાં જ્ઞાન-અધ્યાત્મમાં જરાય ઉતરતા નહોતા,તે પલાયણવાદી નહોતા, સંગ્રામવાદી હતા.તેથી આ યોગને રાજવિદ્યા રાજયોગ કહ્યો છે.
એવં પરમ્પરાપ્રાપ્તમિમં રાજર્ષયો વિદુઃ-સૂર્ય,મનુ,ઇક્ષ્વાકુ વગેરે રાજાઓએ કર્મયોગને સારી રીતે જાણીને તેનું પોતે પણ આચરણ કર્યું અને પ્રજા પાસે પણ તેવું આચરણ કરાવ્યું.આ રીતે રાજર્ષિઓમાં આ કર્મયોગની પરંપરા ચાલી.આ રાજાઓની ખાસ પોતાની વિદ્યા છે,એટલા માટે પ્રત્યેક રાજાએ આ વિદ્યા જાણવી જોઇએ.આ રીતે પરીવાર,સમાજ,ગામ વગેરેની જે મુખ્ય વ્યક્તિઓ હોય તેમણે પણ આ વિદ્યા અવશ્ય જાણવી જોઇએ.પ્રાચીન કાળમાં કર્મયોગને જાણવાવાળા રાજાઓ રાજ્યના ભોગોમાં આસક્ત થયા વિના સુચારૂ રૂપથી રાજ્યનું સંચાલન કરતા હતા.પ્રજાના હિતમાં તેમની સ્વાભાવિક પ્રવૃત્તિ રહેતી હતી.
કર્મયોગનું પાલન કરવાના કારણે તે રાજાઓને વિલક્ષણ જ્ઞાન અને ભક્તિ આપમેળે પ્રાપ્ત થતાં.આ જ કારણ હતું કે પ્રાચીનકાળમાં મોટા મોટા ઋષિઓ પણ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે તે રાજાઓની પાસે ગયા હતા.શ્રીવેદવ્યાસજીના પૂત્ર શુકદેવજી પણ જ્ઞાનપ્રાપ્તિના માટે રાજર્ષિ જનકજી પાસે ગયા હતા.ગીતા ૩/૨૦માં જનક વગેરે રાજાઓને અહી સૂર્ય,મનુ,ઇક્ષ્વાકુ વગેરે રાજાઓને કર્મયોગી બતાવીને ભગવાન અર્જુનનું જાણે એ તરફ લક્ષ્ય દોરે છે કે ગૃહસ્થ અને ક્ષત્રિય હોવાના સબંધે તારે પણ પોતાના વંશપરંપરા ના પૂર્વજો અનુસાર કર્મયોગનું પાલન અવશ્ય કરવું જોઇએ.
સ કાલેનેહ મહતા યોગો નષ્ટઃ પરમાત્મા નિત્ય છે અને તેમની પ્રાપ્તિનાં સાધનો-કર્મયોગ,જ્ઞાનયોગ, ભક્તિયોગ વગેરે પણ પરમાત્મા દ્વારા નિશ્ચિત કરેલાં હોવાથી નિત્ય છે.આથી તેમનો કદી અભાવ હોતો નથી.એ આચરણમાં આવતાં હોવાનું નહી દેખાવા છતાં પણ નિત્ય રહે છે,એટલા માટે અહી નષ્ટઃ પદનો અર્થ અભાવ થવાનો નહી પરંતુ લુપ્ત,અપ્રગટ થવાનો જ છે.આ અવિનાશી કર્મયોગના તત્વનું વર્ણન કરવાવાળા ગ્રંથોનો અને તેના તત્વને જાણવાવાળા તથા એને આચરણમાં લાવવાવાળા શ્રેષ્ઠ પુરૂષોનો આ લોકમાં જાણે અભાવ થઇ ગયો છે.
જ્યાંથી જે વાત કહેવામાં આવે છે,ત્યાંથી તે પરંપરાથી જેટલી દૂર ચાલી જાય છે તેટલું જ તેમાં આપમેળે અંતર પડતું ચાલ્યું જાય છે-આ નિયમ છે.ભગવાન કહે છે કે કલ્પના આદિમાં મેં આ કર્મયોગ સૂર્યને કહ્યો હતો,પછી પરંપરાથી તે રાજર્ષિઓએ જાણ્યો.આથી તેમાં અંતર પડતું જ ગયું અને ઘણો સમય વિતી જવાથી હાલ આ યોગ આ મનુષ્યલોકમાં લુપ્તપ્રાય થઇ ગયો.આ જ કારણ છે કે વર્તમાનમાં આ કર્મયોગની વાત સાંભળવા તથા દેખવામાં બહુ જ ઓછી આવે છે.
કર્મયોગનું આચરણ લુપ્તપ્રાય થવા છતાં તેનો સિદ્ધાંત-પોતાને માટે કંઇ ના કરવું સદૈવ રહે છે કેમકે આ સિદ્ધાંતને અપનાવ્યા વિના યોગ એટલે કે જ્ઞાનયોગ,કર્મયોગ,ભક્તિયોગ વગેરેનું નિરંતર સાધન થઇ શકતું નથી.કર્મ તો મનુષ્યમાત્રને કરવાં જ પડે છે.હા,જ્ઞાનયોગી વિવેક દ્વારા કર્મોને નાશવાન માનીને કર્મોને સાથે સબંધ-વિચ્છેદ કરે છે અને ભક્તિયોગી કર્મોને ભગવાનને અર્પણ કરીને કર્મો સાથેનો સબંધ-વિચ્છેદ કરે છે.આથી જ્ઞાનયોગી અને ભક્તિયોગીને કર્મયોગનો સિદ્ધાંત તો અપનાવવો જ પડશે.ભલેને તેઓ કર્મયોગનું અનુષ્ઠાન ન કરે.તાત્પર્ય એ છે કે વર્તમાનમાં કર્મયોગ લુપ્તપ્રાય થવા છતાં પણ સિદ્ધાંત ના રૂપમાં વિદ્યમાન જ છે.
વાસ્તવમાં જોવામાં આવે તો કર્મયોગમાં ‘કર્મ’ લુપ્ત થયાં નથી પરંતુ કર્મોનો પ્રવાહ પોતાની તરફ હોવાથી ‘યોગ’ જ લુપ્ત થયો છે.જેવી રીતે સંસારના પદાર્થો કર્મ કરવાથી મળે છે તેવી રીતે પરમાત્મા પણ કર્મ કરવાથી જ મળશે-આ વાત સાધકોના અંતઃકરણમાં એટલી દ્રઢતાથી બેસી ગઇ છે કે ‘પરમાત્મા નિત્ય પ્રાપ્ત છે’ આ વાસ્તવિકતા તરફ તેમનું જતું જ નથી. ‘કર્મ’ હંમેશાં સંસારને માટે થાય છે અને ‘યોગ’ પોતાને માટે થાય છે.‘યોગ’ના માટે કર્મ કરવાનું હોતું નથી,તે તો સ્વયં સિદ્ધ છે.આથી યોગને માટે એ માની લેવું કે તે કર્મ કરવાથી થશે,આ જ યોગનું લુપ્ત થવું કહેવાય.
મનુષ્ય શરીર કર્મયોગનું પાલન કરવા માટે એટલે કે બીજાઓની નિઃસ્વાર્થભાવે સેવા કરવા માટે જ મળ્યું છે,પરંતુ આજે મનુષ્ય દિવસ-રાત પોતાની સુખ-સુવિધા,માન-સન્માન વગેરેની પ્રાપ્તિમાં જ લાગેલો છે,સ્વાર્થ અધિક વધી જવાના કારણે બીજાઓની સેવા તરફ એનું ધ્યાન જ નથી.આ રીતે જેને માટે મનુષ્ય શરીર મળ્યું છે તેને ભુલી જવું એને જ કર્મયોગનું લુપ્ત થવું કહેવાય.મનુષ્ય સેવા દ્વારા પશુ-પક્ષીથી માંડીને મનુષ્ય,દેવતા,પિતૃઓ,ઋષિ,સંતમહાત્મા અને ભગવાનને પણ પોતાના વશમાં કરી શકે છે,પરંતુ સેવાભાવને ભુલીને મનુષ્ય પોતે ભોગોને વશ થઇ ગયો જેને પરીણામે નરકોમાં તથા ચૌરાશી લાખ યોનિઓમાં પડવાનું થાય છે-આ જ કર્મયોગનું અદ્રશ્ય થવું છે.
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)

