Gandhinagar,તા.૬
Gandhinagar નજીક આવેલા રાંધેજા ગામની સીમમાં ખેતરમાંથી મળી આવેલી ટ્રકચાલકની લાશના કેસમાં પોલીસે ગણતરીના કલાકોમાં જ મોટો ખુલાસો કર્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મૃતકના મિત્રએ જ એકતરફી પ્રેમના કારણે આ હત્યાનું કાવતરું રચ્યું હતું. આ મામલે Gandhinagar મહાનગરપાલિકાના એક કર્મચારી સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, ૩૬ વર્ષીય મગનજી ઉર્ફે મનોજ પ્રહલાદજી ઠાકોર ટ્રક ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ૩ જૂનના રોજ તેઓ ઘરેથી કામ માટે નીકળ્યા હતા. ત્યારબાદ સાંજે તેમના પરિવારને જાણ થઈ હતી કે રાંધેજા ગામની સીમમાં આવેલા એક ખેતરમાં તેમનો મૃતદેહ મળી આવ્યો છે.
ઘટનાની જાણ થતાં પેથાપુર પોલીસ સ્થળ પર પહોંચી હતી. મૃતકના ગળા પર નિશાન અને મોઢામાંથી લોહી નીકળતું જોવા મળતાં પોલીસે શંકાસ્પદ મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગળું દબાવી હત્યા કરાઈ હોવાનું બહાર આવ્યું હતું.
પોલીસની તપાસ દરમિયાન જાણવા મળ્યું કે મૃતકનો મિત્ર લાલા ગાભાજી ઠાકોર, જે ગાંધીનગર મહાનગરપાલિકામાં માળી તરીકે ફરજ બજાવે છે, તે મૃતકની પત્ની પ્રત્યે એકતરફી આકર્ષણ ધરાવતો હતો. આ કારણે તેણે પોતાના બે સાગરિતો સુરેશ ડાભી અને દિગ્વિજય ઉર્ફે પિન્ટુ ચૌહાણ સાથે મળીને હત્યાનો પ્લાન ઘડ્યો હતો.
પોલીસ મુજબ, આરોપીઓએ મૃતકને દર્શન અને પાર્ટીના બહાને બોલાવ્યો હતો. ત્યારબાદ ભાડે રાખેલી કારમાં બેસાડીને તેને સાથે લઈ નીકળ્યા હતા. રસ્તામાં ચાલતી કારમાં ગળું દબાવી તેની હત્યા કરવામાં આવી હતી. બાદમાં પુરાવા છુપાવવા માટે મૃતદેહને રાંધેજા નજીકના ખેતરમાં ફેંકી દેવામાં આવ્યો હતો.
પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી લઈને વધુ પૂછપરછ શરૂ કરી છે. તપાસ દરમિયાન મૃતકની પત્નીની ભૂમિકા અંગે પણ કેટલીક શંકાઓ ઉભી થઈ હોવાથી તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે. જોકે, પોલીસ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.આ કેસમાં આરોપીઓના રિમાન્ડ મેળવી ઘટનાનું પુનઃનિર્માણ (રી-કન્સ્ટ્રક્શન) સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પોલીસે સમગ્ર ઘટનાના તમામ પાસાઓની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.

