Bhavnagar ,તા.૯
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ બોટાદમાં મોટી ઘટના બની છે. ચૂંટણીની દાઝ રાખીને આમ આદમી પાર્ટીના નેતા પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. ગઢડા તાલુકા પંચાયતના આપના સદસ્ય પ્રવિણ મકવાણા પર કેટલાક લોકોએ લાકડીથી હુમલો કર્યો હતો. આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે આ અંગે ટ્વીટ કરીને સવાલો ઉઠાવ્યા છે.
બોટાદના ગઢડા તાલુકા પંચાયતના સદસ્ય પર જીવલેણ હુમલો કરવાની ઘટનાથી સૌરાષ્ટ્રના રાજકારણમાં મોટી હલચલ જોવા મળી છે. ગત રોજ તાલુકા પંચાયતના સદસ્ય અને મોટા સખપર ગામના પ્રવિણ મકવાણા ઉપર જીવલેણ હુમલો કરાયો હતો. પ્રવિણ મકવાણા આમઆદમી પાર્ટીના મોટા સખપર તાલુકા પંચાયતની બેઠકના સદસ્ય છે. પ્રવિણ મકવાણા પર કેટલાક અજાણ્યા શખ્સોએ લાકડીઓ અને પાઈપ વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં તેઓ લોહીલુહાણ થઈ ગયા હતા.
પ્રવિણ મકવાણાને ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેમાં ચૂંટણીની દાઝ રાખી તાલુકા પંચાયતના સદસ્ય પર હુમલો કરાયો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
આ ઘટના મુદ્દે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ટિ્વટ કરતા કહ્યું કે, ગુજરાતના બોટાદ જિલ્લાના મોટા સખપર તાલુકા પંચાયત બેઠક પર ભાજપ સામે જીતનારા આમ આદમી પાર્ટીના સદસ્ય પ્રવિણ મકવાણા પર ભાજપના ગુંડાઓએ જીવલેણ હુમલો કર્યો છે. લોકતંત્રમાં સૌને ચૂંટણી જીતવાનો અધિકાર છે, પરંતું ભાજપાઈ ગુંડાઓની સામે એક સામાન્ય માણસ જીત હાંસિલ કરે છે તો ભાજપાઈ ગુંડાઓ હુમલા કરે છે, શું આ નવું ભારત છે?
તો અરવિંદ કેજરીવાલે કહ્યું કે, હું પ્રવીણ મકવાણાના જલ્દી સાજા થવા પર શુભકામના આપું છું. તમારી હિંમત અને ગુજરાતને ભાજપના અત્યાચારોથી મુક્ત કરવવાનો સંકલ્પ આ ગુંડાઓને વધુ ખૂંચી રહ્યો છે. તેમનાથી સહન નથી થઈ રહ્યું કે, ગુજરાતનો સામાન્ય માણસ ઉભો થઈ રહ્યો છે. આ હુમલો માત્ર પ્રવીણભાઈ પર નથી, પરંતું દરેક એ ગુજરાતી પર છે, જે ભાજપની ગુંડાગીરીથી ત્રસ્ત થઈ ચૂક્યો છે. હવે તે બદલો ઈચ્છે છે. ગુજરાતના લોકો હવે ભાજપને જરૂર જવાબ આપશે. સમગ્ર ભાજપ મૂંઝવણમાં છે. આ લોકોને સમજાઈ નથી રહ્યું કે, આમ આદમી પાર્ટીને કેવી રીતે રોકે. કોંગ્રેસ તો પહેલા જ સરેન્ડર થઈ ગઈ છે. પરંતું આ ઝાડુવાળા કઈ માટીના બન્યા છે, જે રોકાવાનું નામ નથી લેતા.

