Jamnagarતા.4
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના દલદેવળિયા ગામે મારામારીનો બનાવ સામે આવ્યો હતો. મચ્છા નામના શખ્સે મનોજ નામના યુવાનને ટેમ્પાના ફેરા કરવા જેવી સામાન્ય બાબતે કુહાડીના ઘા ઝીંકી ઇજા પહોંચાડી હતી. ફરિયાદના આધારે પોલીસે મચ્છા સામે ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
જામજોધપુર તાલુકાના દલદેવળિયા ગામે રહેતાં મનોજભાઇ ખેડાભાઇ વકાતર (ઉ.વ.33) નામના યુવાને ગામના જ રહેવાસી મચ્છાભાઇ ઘુસાભાઇ હાડગરડા નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. જેની જાણ મુજબ ફરિયાદી મનોજભાઇ ગત્ તા.29-4-2026 ના રોજ રાત્રીના આઠેક વાગ્યાના અરસામાં દલદેવળિયા ગામથી સડોદર ગામ તરફ જઇ રહ્યાં હતાં.
દરમિયાન આરોપી મચ્છાભાઇએ તેને સામે મળ્યો હતો અને કહ્યું હતું કે, તું ગામમાં તારા ટેમ્પાના ફેરા કેમ કરે છે? હવે ફેરા કરતો નહિ.. નહિતર તારા ટાંટીયા ભાંગી નાખીશ અને જીવતો નહિ રહેવા દવ તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વધુમાં ગાળાગાળી કરી કુહાડી વડે મનોજભાઇને ડાબા કાન ઉપર એક ઘા મારી તથા માથાના પાછળના ભાગે બીજો ઘા મારી ઇજા પહોંચાડી હતી.
પોલીસે મનોજભાઇની ફરિયાદના આધારે આરોપી મચ્છાભાઇ સામે બીએનએસની કલમ કલમ 118(1), 117(2), 352, 351(3) તથા જી.પી.એકટ કલમ 135(1) મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

