ચાંદની હત્યા ,સામૂહિક બળાત્કાર સહિત ૧૨ ગુના નોંધાયા હતા ,૩૦ વર્ષની સજામા ૧૬ માસથી ફરાર થયો તો
Junagadh,તા.10
જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ અને પેરોલ ફર્લો સ્ક્વોડે ‘ઓપરેશન કારાવાસ-૨’ અંતર્ગત મુંબઈથી એક મોટી સફળતા મેળવી છે. દાતાર પર્વત પરના ચકચારી “ચાંદની હત્યાકાંડ” ગંભીર ગુનાઓમાં ૩૦ વર્ષની સજા પામેલો અને છેલ્લા ૧૬ મહિનાથી જેલમાંથી ફરાર રીઢો ગુનેગાર મોહન હમીર ગોહિલ આખરે મુંબઈના બોરીવલી રેલ્વે સ્ટેશનથી ઝડપાઈ ગયો છે. જૂનાગઢ પોલીસે મજૂરનો વેશ ધારણ કરી ૫ દિવસની સખત વોચ બાદ તેને દબોચી લઈ ફરી રાજકોટ મધ્યસ્થ જેલ હવાલે કર્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ, મોહન હમીર ગોહિલ (રહે. બિલખા રોડ, જૂનાગઢ). તેના પર ૫ ખૂન, ૨ દુષ્કર્મ અને દારૂ સહિત ૧૨ ગુના નોંધાયેલા છે. કોર્ટે તેને ૩૦ વર્ષની સજા ફટકાર્યો હતો. રાજકોટ જેલમાં સજા ભોગવતો મોહન હાઈકોર્ટના આદેશથી ૧૪ દિવસની પેરોલ રજા પર છૂટ્યો હતો. તા. ૦૫/૦૨/૨૦૨૫ના રોજ તેને જેલમાં હાજર થવાનું હતું, પરંતુ તે હાજર ન થઈને ફરાર થઈ ગયો હતો.આરોપી વેશપલટો કરીને મુંબઈના બોરીવલી રેલ્વે સ્ટેશન પર છુપાયો હોવાની બાતમી પેરોલ ફર્લો સ્ક્વોડના એ.એસ.આઈ. ઉમેશભાઈ વેગડાને મળી હતી. જેથી પોલીસે ત્યાં પહોંચી સતત ૫ દિવસ સુધી ‘મજૂરનો વેશ’ ધારણ કરી વોચ ગોઠવી આરોપીને દબોચી લીધો હતો. આ ઓપરેશન જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચના પી.આઈ. કે. એમ. પટેલ, પી.એસ.આઈ. સોલંકી અને એ.એસ.આઈ. ઉમેશચંદ્ર વેગડા સહિતની ટીમે પાર પાડ્યું છે.

