Bengaluru,તા.17
બેંગ્લુરૂ ટેસ્ટના પ્રથમ દિવસે વરસાદના કારણે મેચ કેન્સલ રહી હતી. પરંતુ બીજા દિવસે ભારતીય ક્રિકેટર્સ સારો દેખાવ કરી શકી ન હતી. ટેસ્ટ સિઝનના બીજા દિવસે પ્રથમ સેશનમાં જ ભારતની છ વિકેટ પડી હતી. લંચ સુધી ટીમે માંડ 34 રન બનાવ્યા હતા. રોહિત-જાયસ્વાલ, વિરાટ કોહલી, સરફરાજ, કેએલ રાહુલ અને જાડેજા જેવા ધુરંધરો પેવેલિયન પરત ફર્યા હતા. વિરાટ કોહલીએ પણ લોકોને નિરાશ કર્યા હતા.
ટીમ ઈન્ડિયાનો સુપરસ્ટાર દિગ્ગજ બેટર કોહલી રન રેટ ખોલી પણ શક્યો ન હતો. વિલિયમ ઓરોર્કેએ વિકેટ ઝડપી લેતાં તે ખાતું ખોલ્યા વિના જ પેવેલિયન પરત ફર્યો હતો.
ઝીરોમાં નંબર વન વિરાટ
બેંગ્લુરૂ ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં જ વિરાટ કોહલી ખાતું ખોલ્યા વિના જ ઝીરો રન પર આઉટ થનારો નંબર વન બેટર બન્યો છે. વિરાટ કોહલીનો ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 38 વખત ડક થયો છે. આ સાથે ઝીરો રન પર આઉટ થવાનો શરમજનક રેકોર્ડ કોહલીના નામે થયો છે. ન્યૂઝીલેન્ડનો ઝડપી બોલર ટીમ સાઉદી પણ 38 વખત ઝીરો રન પર આઉટ થનારો ક્રિકેટર છે. રોહિત શર્મા 33 વખત ઝીરો રન પર આઉટ થયો છે. ઝીરો રન પર આઉટ થવાની પ્રક્રિયાને ડક તરીકે ઓળખવામાં આવે છે.
વિરાટ કોહલીના ફૂટવર્ક પર સવાલ
બેંગ્લુરૂ ટેસ્ટમાં જે રીતે વિરાટ કોહલીએ પોતાની વિકેટ ગુમાવી છે, ત્યારબાદ કમેન્ટ્રી કરી રહેલા પૂર્વ ક્રિકેટર સંજય માંજરેકરે તેના ફૂટવર્ક પર સવાલો ઉઠાવ્યા છે. માંજરેકરે કહ્યું કે, વિરાટ કોહલીના ફૂટવર્કમાં સમસ્યા જોવા મળી છે. તે દરેક બોલ રમતાં પહેલાં ફ્રન્ટ ફૂટ પર આવી રહ્યો હતો. જે બોલ પર તે આઉટ થયો તે બોલ બેકફૂટ પર સરળતાથી રમી શકાય તેવો હતો.

