વડોદરા શહેર સહિત સમગ્ર વિસ્તારમાં આવેલા મહાદેવ મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી
Vadodara,તા.૧૫
અધિક જેઠ માસની આજે સોમવતી અમાસે મહાદેવ મંદિરોએ તથા નર્મદા કાંઠે કરનાળીના કુબેર ભંડારી ખાતે મહાદેવ ભક્તો ઉમટી પડ્યા. શહેરના તમામ મહાદેવ મંદિરો હર હર મહાદેવથી ગુંજી ઉઠ્યા હતા.
અધિક જેઠ માસની સોમવતી અમાસના પવિત્ર દિને વડોદરા શહેર સહિત સમગ્ર વિસ્તારમાં આવેલા મહાદેવ મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી.
ભગવાન શિવની વિશેષ પૂજા-અર્ચના, જળાભિષેક, દુધાભિષેક અને બિલ્વપત્ર અર્પણ કરવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મંદિરોમાં ઉમટી પડ્યા હતા. શહેરના ઇએમઈ મંદિર, નીલકંઠ મહાદેવ, સિદ્ધનાથ મહાદેવ સહિત વિવિધ શિવાલયોમાં “ૐ નમઃ શિવાય”ના જાપથી ધાર્મિક માહોલ સર્જાયો હતો.
નર્મદા કાંઠે આવેલ પ્રસિદ્ધ કરનાળી સ્થિત કુબેર ભંડારી ધામ ખાતે પણ હજારો ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. સોમવતી અમાસ અને અધિક માસના સંયોગને અત્યંત શુભ માનવામાં આવતા ભક્તોએ નર્મદામાં પવિત્ર સ્નાન કરીને ભગવાન શિવ અને કુબેર ભંડારીના દર્શન કર્યા હતા. મંદિરમાં લાંબી કતારો જોવા મળી હતી અને ભક્તોની સુવિધા માટે ટ્રસ્ટ તથા સ્થાનિક તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી.
મહિલાઓએ પરિવારના સુખ, સમૃદ્ધિ અને કલ્યાણ માટે વ્રત-ઉપવાસ રાખી પૂજા કરી હતી. દિવસભર મંદિરોમાં ધાર્મિક કાર્યક્રમો, ભજન-કીર્તન અને આરતી યોજાતા ભક્તિમય વાતાવરણ છવાઈ ગયું હતું. સોમવતી અમાસના પાવન પર્વે મહાદેવના દર્શન માટે શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતાં તમામ શિવાલયો ભક્તોથી ઉભરાઈ ગયા હતા.

