સરકારી અનાજની ગેર કાયદેસર હેરાફેરી કરતા અનાજ માફીયાઓમાં ફફડાટ
જીતુ પરમાર
Mangrol, તા.૨૫
માંગરોળમાં રેશનના અનાજના કાળા બજાર સામે મામલતદાર કચેરીની મોટી કાર્યવાહી મામલતદાર માંગરોળના માર્ગદર્શન હેઠળ નાયબ મામલતદાર (પુરવઠા) અને ટીમે રેશનકાર્ડ હેઠળ વિતરણ થતું સરકારી અનાજ ગેરકાયદેસર રીતે લઈ જવામાં આવી રહ્યું હતું ત્યારે મોડી રાત્રે દરોડો પાડી કાર્યવાહી કરી હતી.
કાર્યવાહી દરમિયાન ૩૫૦ કિલો ઘઉં અને ૩૦૦ કિલો ચોખા સહિત કુલ ૬૫૦ કિલો અનાજ જપ્ત કરવામાં આવ્યું હતું. અનાજ સાથે એક છકડો રીક્ષા પણ કબજે લેવામાં આવ્યો છે. જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત અંદાજે રૂ. ૧.૬૫ લાખ હોવાનું જણાવાયું છે.
જપ્ત કરાયેલો અનાજનો જથ્થો સરકારી ગોડાઉનમાં જમા કરાવવામાં આવ્યો છે, જ્યારે વધુ કાયદેસરની કાર્યવાહી માટે રીક્ષાને માંગરોળ પોલીસને સોંપવામાં આવી છે. મામલાની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

