(નયના દવે દ્વારા)
Jamnagar તા.૨ઃ
Jamnagar શહેરના નવીવાસ વિસ્તારમાં રહેતા એક આધેડ વ્યક્તિએ દારૂની લત અને પારિવારિક તણાવના કારણે ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ગંભીર હાલતમાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર, નવીવાસ વિસ્તારમાં મચ્છુમાતા મંદિર સામે રહેતા શાંતિભાઈ કાળુભાઈ ટાંક (ઉ.વ. ૪૮), પ્રજાપતિ કુંભાર સમાજના હતા. તેમને દારૂ પીવાની ટેવ હોવાથી પરિવારજનો સાથે વારંવાર વિવાદ સર્જાતો હતો. આ પરિસ્થિતિથી કંટાળી તેમની પત્ની મંજુલાબેન અલગ રહેવા જતાં રહ્યા હતા.આ બાબતને લઈને શાંતિભાઈ માનસિક રીતે વ્યથિત રહેતા હતા. દરમિયાન તા. ૦૯ મે, ૨૦૨૬ના રોજ બપોરે આશરે સાડા ત્રણ વાગ્યે તેમણે પોતાના નિવાસસ્થાને કોઈ ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.
બનાવ બાદ તેમને તાત્કાલિક સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.જોકે, લાંબી સારવાર છતાં તેમની તબિયતમાં સુધારો ન થતાં તા. ૦૧ જૂન, ૨૦૨૬ના રોજ બપોરે સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું.આ અંગે પત્ની મંજુલાબેન શાંતિભાઈ ટાંકની જાણના આધારે જામનગર સિટી-એ ડિવિઝન પોલીસ મથકે બી.એન.એસ.એસ. કલમ ૧૯૪ મુજબ અકસ્માત મૃત્યુ ની નોંધ કરવામાં આવી છે. બનાવ અંગે આગળની તપાસ પોલીસ હેડ કોન્સ્ટેબલ વાય. એન. સોઢા ચલાવી રહ્યા છે.

